Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

દિવાળી રજાઓમાં SOU પહોંચનારમાં જંગી વધારો

પ્રથમ વર્ષે ૨૭૧૭૪૬૮ પ્રવાસી પહોંચ્યા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચતા પ્રવાસીઓની સરેરાશ સંખ્યા દરરોજ ૯૦૬૩ રહે છે : અહેવાલમાં દાવો કરાયો

અમદાવાદ, તા. ૧૨ : નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે નવા ઉમેરવામાં આવેલા આકર્ષણ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળીના વેકેશન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. દિવાળીની રજાઓ દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી. નવી સુવિધાઓ અહીં વિકસિત કરવામાં આવ્યા બાદ લોકોનો જોરદાર ધસારો જોવા મળી રહ્યો છે. રાફ્ટિંગ, સાઇકલિંગ, બોટિંગ, બટરફ્લાય પાર્ક જેવી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી ચુકી છે જેના પરિણામ સ્વરુપે શ્રદ્ધાળુઓનો જોરદાર ધસારો રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના તેના પ્રથમ વર્ષના ગાળા દરમિયાન ૨૭૧૭૪૬૮ પ્રવાસીઓ અહીં પહોંચી ચુક્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચતા પ્રવાસીઓની સરેરાશ સંખ્યા ૯૦૬૩ જેટલી નોંધાઈ છે. સામાન્ય રીતે કારોબારી દિવસો દરમિયાન દરરોજ ૭૦૩૦ જેટલા પ્રવાસીઓ અહીં પહોંચી રહ્યા છે. પ્રવાસીઓની સંખ્યામાં રજાઓના ગાળા દરમિયાન વધુ વધારો થઇ રહ્યો છે.

                    વિકેન્ડ ઉપર સરેરાશ પ્રવાસીઓની સંખ્યા દરરોજ ૧૩૦૭૧ જેટલી પહોંચે છે. દેશમાં પ્રથમ વર્ષ દરમિયાન કોઇપણ નવા આકર્ષણ ખાતે આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા નથી. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે તેના અનાવરણ થયા બાદથી પ્રવાસીઓનો ધસારો અવિરતપણે રહ્યો છે. પ્રથમ વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. સ્થળથી જે આવક ઉભી કરવામાં આવી રહી છે તે આવકનો આંકડો પણ ૮૦.૬૫ કરોડ સુધી પહોંચી ગયો છે. ૧૦મી નવેમ્બર ૨૦૧૯ સુધીના આંકડાને ધ્યાનમાં લેવામાં આવે તો પ્રવાસીઓની સંખ્યા કેવડિયા ખાતે ૨૯૩૨૨૨૦ જેટલી નોંધાઈ છે જે પૈકી ૧૦ ટકા અથવા તો ૨૯૧૬૪૦ પ્રવાસીઓ હાલના દિવાળી વેકેશન દરમિયાન પહોંચ્યા છે. પ્રવાસીઓની સરેરાશ સંખ્યા દિવાળીની રજાઓ દરમિયાન ૨૨૪૩૪ રહી છે. દિવાળીની રજાઓમાં ગયા વર્ષે આંકડો ૧૪૯૧૮નો રહ્યો હતો. જો સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે તો આંકડો અગાઉના વર્ષની સરખામણીમાં વધારે છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં અંગેના અહેવાલ પ્રકાશિત થયા બાદ આની સંખ્યાને લઇને ચર્ચાઓ જોવા મળી રહી છે.

જોરદાર આકર્ષણ.......

*          સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અનેક નવા આકર્ષણ ઉમેરાયા

*          રાફ્ટિંગ, સાઇકલિંગ, બોટિંગ, બટરફ્લાય પાર્ક જેવી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી

*          નવી સુવિધાઓ ઉમેરાતા પ્રવાસીઓમાં પણ વધારો

*          પ્રથમ વર્ષના ગાળા દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૨૭૧૭૪૬૮ પ્રવાસી પહોંચ્યા

*          એસઓયુની મુલાકાત લેનાર પ્રવાસીઓની સરેરાશ સંખ્યા ૯૦૬૩ જેટલી દરરોજની રહી છે

*          સામાન્ય વર્કિંગ ડે દરમિયાન દરરોજ ૭૦૩૦ પ્રવાસી પહોંચે છે

*          વિકેન્ડ દરમિયાન સ્થળ પર પહોંચનાર પ્રવાસીઓની સંખ્યા ૧૩૦૭૧ સુધી પહોંચે છે

*          ૩૧મી ઓક્ટોબર ૨૦૧૮ના દિવસે નર્મદા જિલ્લામાં કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ થયું હતું

(9:14 pm IST)