Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

યુટીએસ એપ દ્વારા રેલ્વેમાં ટિકિટ બુકીંગમાં ડિસ્કાઉન્ટ

ફેબ્રુઆરી મહિના સુધી પાંચ ટકા સુધી ડિસ્કાઉન્ટઃ ડિસ્કાઉન્ટ અને રિચાર્જના લાભ માટે પ્રવાસીએ એન્ડ્રોઇડ આઇઓએસ અને ફ્રી એપ ડાઉનલોડ કરવાની જરૂર રહેશે

અમદાવાદ,તા.૧૨: દિવાળીનાં તહેવારો અને વેકેશન દરમિયાન રેલ મુસાફરી કરતા પ્રવાસીઓમાં મોટો વધારો થાય છે. મોટા ભાગની ટ્રેન આ સમય દરમિયાન હાઉસફૂલ રહે છે એટલું જ નહીં, વેઇટિંગ પણ મોટું રહે છે ત્યારે રેલવે તંત્રએ રેલ પ્રવાસીઓને મોબાઈલ ટિકિટિંગ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા યુટીએસ એપથી રેલવે ટિકિટ બુક કરાવનાર પ્રવાસીને પાંચ ટકા ડિસ્કાઉન્ટનો લાભ ફેબ્રુઆરી માસ સુધી જાહેર કર્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં તમામ રેલવે ડિવિઝનમાં યુટીએસ મોબાઈલ એપ કાર્યરત છે. ૧૩૮ હેલ્પ લાઈન ઉપર પ્રવાસી આ બાબતે વધુ જાણકારી મેળવી શકે છે અને યુટીએસ એપ ડાઉનલોડ કરી શકે છે. પ્રવાસીઓ ડિજિટલ ટિકિટિંગ તરફ આગળ વધે તે હેતુથી રેલવેતંત્ર દરેક રેલ પ્રવાસી દ્વારા આર વોલેટ જનરેટ અથવા તો રિચાર્જ કરવામાં આવશે તો તેના પર પાંચ ટકા બોનસ એટલે કે પાંચ ટકા ડિસ્કાઉન્ટ તંત્ર વોલેટમાં જ જમા કરી દેશે. તેથી પ્રવાસીને ટિકિટબારીથી કે ઓનલાઇન ટિકિટ ખરીદી કરે તેના કરતાં આર વોલેટથી ખરીદી કરશે તો ટિકિટ પાંચ ટકા વધુ સસ્તી મળશે તેવું રેલવેતંત્રના અમદાવાદના પીઆરઓ પ્રદીપ શર્માએ જણાવ્યું હતું. આ પાંચ ટકા બોનસ યોજના આગામી છ માસ સુધી એટલે કે, ર૪ ફેબ્રુઆરી, ર૦૧૯ સુધી કાર્યરત રહેશે. તેના માટે પ્રવાસીએ એન્ડ્રોઇડ આઇઓએસ તથા વિન્ડો બેઝ સ્માર્ટ ફોન પર ગૂગલ પ્લેસ્ટોર પરથી ફ્રી એપ ડાઉનલોડ કરવાની રહેશે. તેના પર અનરિઝર્વ્ડ એટલે કે જનરલ અને સિઝન ટિકિટ બુક કરી શકાશે, તેમાં પેપરલેસ અને પેપર ટિકટ બંનેનાં વિકલ્પ મળશે. ટિકિટનું પેમેન્ટ પણ ઓનલાઇન કરવાનું રહેશે. ટિકિટ બુક થયા બાદ પેમેન્ટનો વિકલ્પ પણ મળશે અને ઈ-વોલેટ એટલે કે આર વોલેટ જનરેટ થશે પ્રવાસી પેટીએમ મોબિક્વિક વગેરે માધ્યમથી પેમેન્ટ કરી શકશે. રેલવે સ્ટેશનની કોઈ પણ ટિકિટ બારી પરથી આર વોલેટ રિચાર્જ કરાવી શકશે. આર વોલેટ ડેબિટકાર્ડ, નેટ બેન્કિંગ અથવા યુપીઆઈ મોડ દ્વારા વેબસાઈટ ડબલ્યુડબલ્યુડબલ્યુ. અટસનમોબાઇલ.ઇન્ડિયનરેલ.ગવ.ઇન પર ઓનલાઇન રિચાર્જ કરાવી શકશે.

(10:22 pm IST)