Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

અમદાવાદ રેલ્વે સ્ટેશનેથી કોરોનાના વધુ 31 પોઝીટીવ કેસ મળ્યા : રાજધાની એક્સપ્રેસમાંથી જ મળેલ કેસનો આંકડો 100ને વટાવી ગયો

સતત છઠ્ઠા દિવસે ટ્રેનથી આવતા મુસાફરોનું ટેસ્ટિંગ : આજે 1713 યાત્રિકોનું ટેસ્ટિંગ કરાયું

અમદાવાદ: અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્રારા  સતત છઠ્ઠા દિવસે પણ દેશના જુદા જુદા સ્થળેથી ટ્રેન મારફતે અમદાવાદ આવતાં મુસાફરોનું ટેસ્ટિંગ કરાયું હતું આજે 1713 મુસાફરોના ટેસ્ટ કર્યા હતા. તેમાંથી 31 કેસો પોઝિટિવ મળ્યા હતા જેમાં આજે પણ સૌથી વધુ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસમાં કોરોનાના 20 કેસો મળ્યા અગાઉના પાંચ દિવસોના ટેસ્ટીંગમાં પણ રાજધાની એક્સપ્રેસમાંથી જ વધુ કોરોના પોઝિટિવ કેસો મળ્યા હતા. આજે આ આંકડો 100ને વટાવી ગયો છે.

પ્રથમ દિવસે 26 અને બીજા દિવસે 13 પોઝિટિવ અને ત્રીજા દિવસે 19 કેસો અને ચોથા દિવસે 20 અને પાંચમા દિવસે 12 મળી આવ્યા હતા. આજના 20 કેસોની ગણતરી કરીએ તો છેલ્લાં છ દિવસમાં સરવાળે એકમાત્ર રાજધાની એક્સપ્રેસમાંથી કુલ કોરોના પોઝિટિવ કેસો 110 પહોચ્યો છે. આમ છેલ્લાં છ દિવસમાં અમદાવાદ આવેલી ત્રણ ટ્રેનોમાં સૌથી વધુ અમદાવાદ દિલ્હી વચ્ચેની રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં કોરોના પોઝિટિવના કેસો વધુ મળી આવ્યા છે.

બીજી તરફ કોરોના પોઝિટિવ ધરાવતા મજૂરો તથા કામદારો અન્ય સાથીદારોમાં સંક્રમણ ઊભું કરે તેવી શકયતા દેખાઇ રહી હતી. જેથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને અમદાવાદમાં પ્રવેશે તે પહેલાં જ પરપ્રાંતિય મજૂરો તથા કામદારોના ટેસ્ટ કરવાનું નક્કી કર્યું હતું. જેના ભાગરૂપે જ અમદાવાદ રેલવે સ્ટેશન પર ટેસ્ટિંગની કામગીરી હાથ ધરી હતી. આજે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવેલી ગોરખપુર એક્સપ્રેસ ટ્રેનમાં આવેલા 361 પ્રવાસીઓના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાંથી 5 પોઝિટિવ કેસો મળ્યા હતા.

તે જ રીતે રાજધાની સ્પેશ્યલ ટ્રેનમાં આવેલા 833 પ્રવાસીઓમાંથી 20 અને મુઝફરપુર એક્સપ્રેસ ટ્રેન મારફતે આવેલા 519 પ્રવાસીઓની ચકાસણીમાં 6 પોઝિટિવ કેસો મળી આવ્યા હતા. આમ સરવાળે કુલ 1713 મુસાફરોનું આજે દિવસ દરમિયાન ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 31 મુસાફરો કોરોના પોઝિટિવ નિકળ્યા હતા. આ મુસાફરોને મેડિકલ ટીમ દ્રારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. તેમ જ તેઓને જરૂરી તબીબી સારવાર અર્થે કોવીડ કેર સેન્ટર/ કોવિડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આગામી સમયમાં પણ મોટાપાયા પર વિવિધ સ્થળોએ ટેસ્ટીંગની કામગીરી ચાલુ રહેશે તેવું કોર્પોરેશને જાહેર કર્યું છે.

(10:25 pm IST)