Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

કાલે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશેઃ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહીઃ 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદઃ સૌથી વધુ બનાસકાંઠાના તલોદમાં 5 ઇંચ

અમદાવાદ: ગુજરાતમાં આજે અને કાલે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જે મુજબ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ દસ્તક આપી શકે છે. આવતીકાલે 13 સપ્ટેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે, જેને પરિણામે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી 122 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો. સૌથી વધું બનાસકાંઠાનાં તલોદમા 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ભાવનગરના વલભીપુર અને ઉમરાળામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આમ, રાજયના 42 તાલુકાઓમાં 1 ઇંચથી લઈને 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સવારે ૮ વાગ્યા સુધીમાં માત્ર 7 તાલુકામાં જ વરસાદ નોંધાયો છે. જોકે, આ સાત તાલુકામાં નહિવત જેટલો વરસાદ વરસ્યો છે.

શેત્રુજી ડેમ ઓવરફ્લો થતા 17 ગામ એલર્ટ પર

ભાવનગરનો શેત્રુંજી ડેમ થયો ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી આવકના પગલે વધુ ડેમના 20 દરવાજા ખોલાયા છે. ડેમના કુલ 40 દરવાજા 1 ફૂટ ખોલી 4000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે. ડેમમાં ઉપરવાસમાંથી 4000 ક્યુસેકની આવક થઈ રહી છે. નીચાણવાળા વિસ્તારના 17 ગામોને હાઈ એલર્ટ અપાયું છે.

ધોરાજી ડેમ ઓવરફ્લો, ભાદર નદીમાં પાણી વધ્યું

ધોરાજીના ભૂખી ગામ પાસે આવેલ ભાદર-૨ ડેમ ઓવરફ્લો થયો છે. ભાદર-2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના ૩ દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે. ૮૩૪૫ ક્યુસેક પાણી ની આવક સામે ૮૩૪૫ ક્યૂસેક પાણીની જાવક રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે મેનેજ કરવા દરવાજા ખોલવામાં આવ્યા છે. ભાદર નદીના સ્ત્રાવ વિસ્તારમાં ન જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

નર્મદાની સપાટીમાં વધારો

નર્મદા ડેમની જળ સપાટીમાં સામાન્ય વધારો થયો છે. નર્મદા ડેમની જળ સપાટી 137.50 મીટરે પહોંચી છે. હાલ, ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, જે હવે 1.18 મીટર દૂર છે. ડેમમાં પાણીની આવક ઘટી છે. આજે આવક 25717 ક્યુસેક છે. આરબીપીએચના તમામ 6 ટર્બાઇન હાલ શરૂ કરવામાં આવ્યા છે. તથા કેનાલ હેડ પાવર હાઉસના 3 ટર્બાઈન ચાલુ કરાયા છે, જેમાંથી 55618 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ધરોઈ ડેમના 3 દરવાજા ખોલાયા

ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાવ ધરોઇ ડેમ 98.45 ટકા ભરાયો છે. ડેમના ત્રણ દરવાજા ખોલાયા છે. 13800 ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. જમણા કાંઠાની કેનાલમાં ૭૫૦ અને ડાબા કાંઠાની કેનાલમાં ૧૦૦ ક્યુસેક પાણી છોડાયું છે. કુલ 11000 ક્યૂસેક પ્રતિસેકન્ડ પાણીની જાવક છે. ડેમમાં પ્રતિસેકન્ડ 2935 ક્યુસેક પાણીની આવક છે. ડેમમાં પાણીની સપાટી ૬૨૧.૬૮ ફુટ એટલે કે ૧૮૯.૪૯૦ મીટર છે. પાણી છોડવાના નિર્ણયને પગલે નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે.

(5:15 pm IST)