Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

એસીબીના કેસના કારણે ૨ મહિનાથી તણાવમાં રહેતા અને ભ્રષ્‍ટાચાર આચર્યાનું દુઃખ થતા અમદાવાદના મહિલા તલાટીનો આપઘાત

અમદાવાદઃ અમદાવાદમાં નારોલ વિસ્તારમાં એક મહિલાએ ઘરમાં આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મહિલાની આત્મહત્યાના સમાચાર મળતાં નારોપ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે, આત્મહત્યા કરનારા મહિલા શીતલ વેગડા તલાટી તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ 4000ના લાંચ કેસમાં પકડાયેલા હતા.

પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, શ્રીનાથ રેસિડેન્સીમાં રહેતા શીતલ વેગડા મેમનગરમાં તલાટી તરીકે ફરજ બજાવતા હતા. 14 મે, 2019 ના રોજ એક વ્યક્તિને વારસાઈ પેઢીનું પ્રમાણપત્ર આપવા અંગે 4 હજારની લાંચ કેસમાં રંગેહાથ પકડાઈ જતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. 

આ ઘટના અંગે નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એ. જાદવે જણાવ્યું કે, "બપોરે 4 કલાકે શ્રીનાથ રેસિડન્સીમાં એક મહિલાએ આત્મહત્યા કર્યાનું જાણવા મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલા શીતલ વેગડા મહિલા તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા હતા અને તેમણે બપોરના સમયે ઘરમાં એકલા હતા ત્યારે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પોલીસને ઘરમાંથી એક સ્યુસાઈડ નોટ મળી આવી છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે."

પીઆઈ જાદવે વધુમાં જણાવ્યું કે, "મહિલાએ સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, તેઓ એસીબીના કેસના કારણે છેલ્લા બે મહિનાથી સતત તણાવમાં રહેતા હતા. તેમને ભ્રષ્ટાચાર આચર્યા બાબતે દુખ હતું."

(5:19 pm IST)