Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

કાનૂની જંગમાં DYSP બાદ હવે બંન્ને PI નો પણ અદાલતમાં પરાજય

જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડ-સુરતના પીઆઇ ચૌહાણ અને વડોદરાના ડી.કે.રાવની ઉપલી અદાલતમાં પીછેહટઃ પોલીસ ઇન્સ્પેકટર દિલીપ રાવની એસીબી દ્વારા ધરપકડ : એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં કાયદે આઝમો દ્વારા નીચલી કોર્ટથી લઇ સુપ્રિમ કોર્ટ સુધી ધારદાર દલીલો

રાજકોટ, તા., ૧૨: એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શન હેઠળ વિવિધ સરકારી ખાતાઓ કે લોકોને જેઓની સાથે રોજબરોજનો પનારો રહે છે તેવા વિભાગના  કર્મચારીઓ અને મોટા માથાઓને લાંચના છટકામાં ઝડપાવા માટે વ્યાપક અભિયાનની સાથોસાથ આવા મોટા મગરમચ્છો કાનૂની છટકબારીનો લાભ લઇ મુકત ન થઇ જાય તે માટે કાયદે આઝમોની મદદથી ચલાવાતા  કાનૂની જંગમાં વધુ એક વખત સફળતા સાંપડી છે. મોટી રકમની લાંચના આરોપસર  ઝડપાયેલા જેતપુરના ડીવાયએસપી માફક સુરત અને વડોદરાના પોલીસ ઇન્સ્પેકટરોને પણ ઉપલી અદાલત સુધી સફળતા સાંપડી નથી.

નિવૃતી પહેલાના ૩ દિવસ અગાઉ જ લાંચના છટકામાં ઝડપાયા બાદ લાંબો સમય ફરારી રહેવા છતા અદાલતમાંથી જામીન મેળવવામાં નિષ્ફળ બનેલા વડોદરા પીઆઇ ડી.કે.રાવની એસીબીએ ધરપકડ કર્યાનું સૂત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે સુરતના સરથાણા પોલીસ મથકના પીઆઇ એન.ડી.ચૌધરીએ કામરેજ ખાતે સ્ટાર ઓટો ગેરેજવાળા પાસેથી  આરટીઓ ટેકસ ન ભરવો પડે તે માટે કરેલા મસમોટા કૌભાંડ માટે સૌ પ્રથમ એક કરોડની લાંચ માંગ્યા બાદ ૩૦ લાખમાં સેટલમેન્ટ કરી લીધેલું. ઉકત મામલામાં એસીબીએ  કાર્યવાહી કરતા સંબંધક પીઆઇ ફરારી બનેલ. સુપ્રિમ કોર્ટ સુધી જામીન ન મળતા એસીબીના શરણે  થવુ પડેલ.

આજ રીતે જેતપુરના ડીવાયએસપી જે.એમ.ભરવાડે હથીયારના ગુન્હામાં ઝડપાયેલા શખ્સ પાસેથી પોલીસમેન વિશાલ  સોનારા મારફત ૮ લાખની લાંચ લીધા બાદ  ફરારી બનેલ. એસીબી વડા કેશવકુમારના આદેશથી ધોરાજી અદાલત તથા હાઇકોર્ટમાં કાનૂની તજજ્ઞો ઉપરાંત બોર્ડર રેન્જ ભુજ એસીબીના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહીલ હાજર રહી જામીન નામંજુર કરાવેલ.

વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં જે તે સમયે ફરજ બજાવતા પીઆઇ દિલીપસિંહ  કિશોરસિંહ રાવ (ડી.કે.રાવ) અને પોલીસમેન નિતીન પ્રજાપતિ દ્વારા એક અરજીના સમાધાન પેટે એક લાખની માંગણી કરેલ. એક લાખ પૈકી ૩૦ હજાર અગાઉ અપાઇ ગયા હતા બાકીની રકમની માંગણીથી ત્રાહીમામ પોકારેલા ફરીયાદીએ એસીબીમાં ફરીયાદ કરતા  એસીબીએ કાર્યવાહી કરી હતી. આ મામલામાં પોલીસમેન અને પીઆઇ ડી.કે.રાવ કે જેઓ ૩ દિવસ પછી નિવૃત થવાના હતા તેઓ નાસી છુટયા હતા. લાંબો સમય ફરારી રહયા બાદ સેસન્સ કોર્ટ અને હાઇકોર્ટમાંથી જામીન મેળવવામાં નિષ્ફળ નિવડેલા પીઆઇની એસીબીએ ધરપકડ કરી લીધી હતી. (૪.૪)

(12:19 pm IST)