Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

હળવું આલ્કોહોલિક પીણુ : કચ્છી ખજુરમાંથી બનશે વાઇન

હવે ફ્રેન્ચ કે દ્રાક્ષ વાઇનને ભુલી જજો : કચ્છી ખજુરની વાઇન બનશે રસિયાઓની પસંદઃ પોતાની યુનિક પ્રોડકટ માટે પેટન્ટ પણ મેળવી : કચ્છના ખજૂરનો પાક લેતા ખેડૂતોને પણ જબ્બર ફાયદો : બે પેઢીથી ગુજરાતમાં વસતા પંજાબી મૂળના ગુજરાતી મિત્રોનું ઉદ્યોગ સાહસ

અમદાવાદ તા. ૧૨ : વાઇન પીવાના શોખીનો હવે થોડક જ સમયમાં હળવું આલ્કોહોલિક પીણું કચ્છી ખજૂરમાંથી બનેલી વાઇનના ગ્લાસનું ચીયર્સ કરી શકશે. ગુજરાતના ત્રણ યુવા ઉદ્યોગ સાહસિકો મિત્રો દ્વારા આબુરોડ ખાતે શરૂ કરવામાં આવેલ સ્ટાર્ટ અપને ગુજરાતમાં પરમિટ ધરાવતા બારમાં તેમના ખજૂરમાંથી બનાવેલી વાઇન વેચવાની મંજૂરી આપી દેવામાં આવી છે. રાજયના આબકારી ખાતાએ મંજૂરી આપતા આ સ્ટાર્ટ અપ કંપની આ મહિનાના અંત સુધીમાં ખજૂરમાંથી બનાવેલી તેમની વાઇન રાજયની ૬૫ જેટલી પરમિટેડ લિકર શોપમાં પ્રોડકટ પહોંચાડવાનો પ્લાન ધરાવે છે.

વર્ષ ૨૦૧૫માં મહેસાણાના રહેવાસી હરપ્રીત સિંહ અને જસવંત સિંહ તેમજ કચ્છનો રહેવાસી રણજીત સિંહે આઇડિયા આવ્યો હતો કે કેમ કચ્છના ફેમસ ખજૂરમાંથી વાઇન ન બનાવવામાં આવે. જે બાદ તેમણે રુ. ૧૦ કરોડના ભંડોળ વડે આબુ રોડ ખાતે પેઝનટ્સ ફૂડ પ્રોસેસિંગ એન્ડ વાઇનરી પ્રા. લી. નામે વાઇન બનાવવાની ફેકટરી સ્થાપી હતી. જેમાં થોડા મહિના પહેલા પ્રોડકશન સ્ટાર્ટ થઈ ગયું છે. ફેકટરીમાં પ્રતિવર્ષ કચ્છના પ્રખ્ચાત બારાહી ખજૂર(પીળા ખજૂર)માંથી ૨ લાખ લીટર વાઇન બનાવાની ક્ષમતા છે. ત્રણે મિત્રોના પરિવાર ગુજરાતમાં પાછલી ૨ પેઢીથી આવીને વસ્યા છે.

હપપ્રીત સિંહે કહ્યું કે, 'કચ્છમાં મોટા પ્રમાણાં ખજૂરનો પાક થાય છે જેને રૂ.૧૨૦થી ૧૫૦ પ્રતિ કિલો વેચવામાં આવે છે. પરંતુ જયારે માગ ઓછી હોય અને જો ખજૂર વધુ પડતો પાકી જાય તો ખેડૂતને પ્રતિ કિલો માંડ રૂ. ૨૦-૩૦ મળે છે. આ જોઈને રણજીતને આઇડિયા આવ્યો કે આપણે આ ખજૂરમાંથી વાઇન બનાવીએ તો..'

વાઇન બનાવવા માટે ત્રણેય મિત્રોએ પ્રોફેશનલ વાઇન મેકર્સને પણ પોતાને ત્યાં કામ પર રાખ્યા છે. તેણે વધુમાં કહ્યું કે, 'આ વાઈનમાં બહારથી કોઈ સ્પિરિટ કે આલ્કોહોલીક તત્વ એડ કરવામાં આવતું નથી. જે પણ હોય છે તે નેચરલી ખજૂરમાં રહેલો આલ્કોહોલ હોય છે. જે લોકો હાર્ડ લિકર નથી પીવા માગતા તેઓ આ વાઇન પી શકે છે. તેમાં ફકત ૧૩% જેટલો જ આલ્કોહોલ હોય છે.'

તેમની કંપનીને ભારતીય પેટન્ટ ઓફિસ દ્વારા તેમની આ યુનિક પ્રોડકટ માટે પેટન્ટ પણ મળી ગઈ છે. જોકે ત્રણેય મિત્રો સૌથી પહેલા આ યુનિક પ્રોડકટ પોતે જે રાજયમાં જન્મીને મોટા થયા છે ત્યાં જ વેચવા માગતા હતા. જયારે ગુજરાતમાં તો દારુબંધી હોવાથી તેમને પોતાની પ્રોડકટની મંજૂરી માટે અનેક પ્રોસેસમાંથી પસાર થવું પડ્યું હતું. પરંતુ હરપ્રીત કહે છે કે, 'અમે ગુજરાતમાં અમારી બ્રાન્ડનું રજીસ્ટ્રેશન કર્યું અને હવે અમને મંજૂરી મળી ગઈ છે ત્યારે રાજયની ૬૫ જેટલી પરમિટેડ લિકર શોપમાં આ મહિના અંતથી અમારી વાઈન મળવા લાગશે.' ફયુચર પ્લાન જણાવતા તેમણે કહ્યું કે, આ વર્ષના અંત સુધીમાં અમે દાડમમાંથી વાઇન બનાવવાનું પણ શરુ કરી દેશું. આ દાડમ પણ કચ્છમાં અત્યારે સૌથી ઝડપી વધી રહેલા પાક તરીકે જોવામાં આવે છે.(૨૧.૯)

(12:58 pm IST)