Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સિવિલમાં બાળકી પર રેરેસ્ટ ઑફ ધ રેર સર્જરી કરાઇ

બાળકી છ મહિનાથી પથારીવશ હતી : ૯૫ ડિગ્રી જેટલી ખુંધ નિકળતાં હલન-ચલન નહીં કરી શકતી ૧૨ વર્ષની સલોની હવે સરળતાથી ચાલી શકશે

અમદાવાદ,તા.૧૧ : અમદાવાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના તબીબોએ કરોડરજ્જુની "પોસ્ટ લેમિનક્ટોમી સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી" બીમારીથી પીડાતી ૧૨ વર્ષની સલોની પર સફળ સર્જરી કરી છે. પીઠના ભાગે ૯૫ ડિગ્રી અંશે ખુંધ થઈ જતાં તેના કરોડરજ્જુ પર દબાણ સર્જાતાં તે છેલ્લા છ મહિનાથી પથારીવશ હતી. સિવિલ હોસ્પિટલના તબીબોની ટીમે બાળકી પર સફળ સર્જરી કરીને નવજીવન આપ્યું છે. સલોની જ્યારે પાંચ વર્ષની હતી ત્યારે તેના પીઠના મણકામાં ગાંઠ થઈ હતી જેને મેડીકલ ભાષામાં "ઓસ્ટિઓકોન્ડ્રામા" બીમારી કહેવાય છે જે માટે ન્યુરોસર્જન દ્વારા "લેમિનેક્ટોમી" ઓપરેશન કરવામાં આવ્યુ હતું. ઓપરેશનમાં મણકાના જે ભાગમાં ગાંઠ હતી તેની ઉપરનું અને નીચેનું સ્તર નિકાળી દેવામાં આવ્યું હતુ તે સમયે સલોની પીડામુક્ત થઇ હતી પરંતુ સર્જરી કર્યા બાદ ફિક્સેશન ન કરવાના પરિણામે સાત વર્ષ દરમિયાન ધીમે-ધીમે તેની ખુંધ વધતી ગઈ.

            સલોનીની ઉંચાઈ અને શરીરનો વિકાસ થતાં મણકા તથા કરોડરજ્જુમાં વિકૃતિ આવતાં તેની ખુંધ ૯૫ ડિગ્રી અંશે વધી ગઈ હતી. જે વિકૃતિને કારણે કરોડરજ્જુ ઉપર દબાણ સર્જાતાં તે પગના હલનચલનના નિયંત્રણ પર અસર થતા તે સંપૂર્ણપણે પથારીવશ થઈ હતી.સર્વાઈકોડોરસલ લેવલ કાઈફોસિસ ડીર્ફોમીટી કરેક્શનનું ઓપરેશન ખૂબજ જટિલ હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ વાર આવા પ્રકારનું ઓપરેશન કરવામાં આવ્યું છે. આ ઓપરેશન દરમિયાન ન્યુરો-મોનિટરીંગની પણ જરૂર પડે છે. આ પ્રકારના ઓપરેશન બાદ દર્દીની સ્થિતિ ગંભીર થઈ શકે છે અને દર્દીને આઈ.સી.યુમાં પણ લઈ જવાની જરૂર પડે છે તેમજ દર્દીના જીવને પણ જોખમ રહે છે. અનેક પ્રકારની મુશ્કેલીઓ હોવા છતાં પણ ખૂબ જ સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે.આ સફળ સર્જરી થતાં સલોની સંપૂર્ણપણે સ્વસ્થ છે. ૯૫ ડિગ્રી અંશે વધેલી ખુંધની આ સફળ સર્જરીના અંતે કરોડરજજુ પરનું દબાણ દૂર થતાં સલોની હવે સરળતાથી હલન-ચલન કરી શકે છે.

(9:39 pm IST)