Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

રોગ નિયંત્રણ માટે જનજાગૃતિ ખુબ અનિવાર્ય : નીતિન પટેલ

વાહકજન્ય રોગના નિયંત્રણ માટે તંત્ર સતર્ક છે: ગોંડલ તાલુકાના હડમતલા ગામમાં બ્રુસેલા તાવથી ગ્રસ્ત બાળકીની તબિયત સુધાર પર : નાયબ મુખ્યમંત્રીનો દાવો

અમદાવાદ,તા.૧૨: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે વાહક જન્ય રોગોના નિયંત્રણ માટે જનજાગૃતિ અનિવાર્ય છે. આ માટે સ્વચ્છતાથી લઈને તમામ પ્રકારની કાળજી નાગરિકો દ્વારા રાખવામાં આવે એ માટે આપણે સૌ એ સહિયારા પ્રયાસો કરવા અનિવાર્ય છે. વિધાનસભા ખાતે રાજકોટ જિલ્લામાં નાના બાળકોમાં જોવા મળેલ બ્રુસેલા તાવના ટૂંકી મુદ્દતના પ્રશ્નના પ્રત્યુત્તરમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે બ્રુસેલા તાવ એ પશુઓના સંપર્કમાં આવવાથી  થતો રોગ છે.  ગોંડલ તાલુકાના હડમતાળા ગામની નાની બાળકીને અસર થઈ હતી એ આરોગ્ય વિભાગની સતર્કતાને કારણે સત્વરે સારવાર આપવામાં આવતા બાળકી આજે સંપૂર્ણ તંદુરસ્ત છે. તેમણે ઉમેર્યું કે હડમતાળા ગામની આ દીકરીને તાવની અસર જણાતા તેણીના માતા-પિતાએ તેમના ફેમિલી ડોક્ટરની સારવાર લીધી હતી. એની જાણ સોશિયલ મીડીયાના માધ્યમ દ્વારા સરકારી અધિકારીને થતાં જ ત્રાકુડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ દ્વારા ગામની મુલાકાત લઇ તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ પીડીયુ મેડિકલ કોલેજ રાજકોટના મેડિસન બાળરોગ નિષ્ણાંત પીએસએમ વિભાગના નિષ્ણાંત તથા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની રેપિડ રિસ્પોન્સ ટીમે મુલાકાત લઇને સારવાર આપવાનું શરૂ કર્યું હતું. તંત્રની સતર્કતાને કારણે બાળકીની તબિયત સુધારા પર છે અને હાલ બાળકી સંપૂર્ણ તંદુરસ્ત છે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે બ્રુસેલા તાવ પ્રસરે નહીં તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસો હાથ ધરાયા હતા. હડમતાળા ગામની ૨૪૫૪ જેટલી વસ્તીમાં ઘરે ઘરે ફરીને તાવ અને મૃત્યુ પહેલાના અન્ય લક્ષણો ધરાવતા કેસોનું સર્વેલન્સ પણ કરાયું હતું. જેમાં કોઈ નવો કેસ નોંધાયો ન હતો. જે બાળકીને અસર થઇ હતી તે કાચું દૂધ પીવાથી થઈ હતી. દર્દીના કુટુંબના આઠ સભ્યોનું દરરોજ તાવ અને અન્ય લક્ષણોનું પંદર દિવસ સુધી ફોલોઅપ પણ કરવામાં આવશે. આ રોગ પશુઓમાં થતો હોય છે જે મોટે ભાગે કાચા દૂધ કે કાચા દુધની બનાવટો આરોગવાથી થાય છે. આ માટે ગામમાં જાગૃતિ આવે તે આશયથી પશુપાલન સાથે સંકળાયેલા લોકોની શિબિર કરીને માર્ગદર્શન પણ પૂરું પડાયું છે. જેમાં દૂધ ઉકાળીને પીવું, સ્વચ્છતા જાળવવી, પશુઓને રસી મુકાવવી, પશુઓના માસનાં સંપર્ક વખતે ગ્લોવ્ઝનો ઉપયોગ કરવો તેમજ મોં ઉપર માસ્ક પહેરવા માટે માર્ગદર્શન પણ અપાયું છે. સાથે-સાથે હડમતાળા ગામમાં પશુઓને પશુપાલન વિભાગ દ્વારા રસીકરણ કરી રોગ અટકાયતીનાં  પગલાં પણ લેવાયા છે.  રેતી રિસ્પોન્સ ટીમ દ્વારા ગામના આગેવાનો સાથે ચર્ચા કરતા ગામમાં અન્ય કોઈ કેસ ન હોવાનું જણાવ્યું છે.

(9:51 pm IST)