Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

આજે સ્વામિનારાયણ ભગવાનનો અક્ષરધામ ગમન દિનઃ સુરત વેડ રોડ ગુરૂકુળમાં ઉજવણી

સુરત વેડ રોડ સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનના અક્ષરધામગમન દિનની ઉજવણી નિમિતે ધાર્મિકવિધિ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા. ૧૨ :. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના અક્ષરધામ ગમન દિન જેઠસુદ-૧૦ તા. ૧૨ જૂનના રોજ 'અંતર્ધાન મહોત્સવ' તરીકે ઉજવાય છે.

બોટાદ જીલ્લાના ગઢડા મુકામે જ ભગવાન શ્રી સ્વામિનારાયણે સ્વધામ જવાનો સંકલ્પ કરેલ. અહીં ગઢડીયા તેઓશ્રી પચ્ચીસ વર્ષ સુધી રહેલા. ગઢડાના દરબાર શ્રી એભલ ખાચર અને તેમના પરિવારની ભકિતથી ભગવાન અહીં ઘર માનીને રોકાયેલા અને અહીંથી સદાને માટે સ્વદેહે વિદાય લીધેલી.

શ્રી પ્રભુ સ્વામીના કહ્યાનુસાર વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સુરતના મહંત શ્રી ધર્મવલ્લભદાસજીના માર્ગદર્શન અનુસાર ત્રિદિનાત્મક ૧૮૯માં 'અંતર્ધાન મહોત્સવ' ઉત્સવ ઉજવવાનો પ્રારંભ હરિ જયંતીના દિવસે કરવામાં આવેલ છે.

આ ઉત્સવમાં સુરતના વિવિધ વિસ્તારના ૬૭૦૦ ઉપરાંત મહિલા પુરૂષોએ તપ, જપ અને પૂજનના નિયમો લીધા છે. વેડરોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળમા ત્રણ દિવસ સવારથી સાંજ સુધી ઓમ નમો ભગવતે શ્રી સ્વામિનારાયણ નમઃ સ્વાહા !! ની આહુતિ સાથે શ્રી સ્વામિનારાયણ યાગ શરૂ કરવામાં આવેલ છે. દરરોજ બપોર પછી ૩.૩૦ થી ૭.૦૦ દરમિયાન ભગવાન શ્રી સ્વામિનારાયણના લીલાચરિત્રોની કથાનું રસપાન શાસ્ત્રીશ્રી વિરકતજીવનદાસજી સ્વામી મુંબઈ, શાસ્ત્રી શ્રી ચૈતન્યસ્વરૂપદાસજી સ્વામી - નીલકંઠ ધામ પોઈચા, શાસ્ત્રી શ્રી મંગલસ્વરૂપ દાસજી તથા પુરાણી શ્રી અક્ષરપ્રિયદાસજી સ્વામી કથામૃતનું પાન કરાવશે. જ્યારે નિત્ય સવારરમાં ૮.૩૦ થી ૫.૩૦ સુધી ભગવાનનુ પોડષોપચાર સાથે હજારો કિલો પુષ્પ પાંખડીઓથી સંતો પૂજન કરશે. નિત્ય સવારે ૬ થી ૭ કિર્તન ગાન ૭ થી ૮.૧૫ દરમ્યાન મહાપૂજન આરતી જનમંગલ પાઠ તથા કથાવાર્તા થશે. રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ ૪૦૦ યુવાનો સમૂહમાં ભકિત નૃત્ય સાથે ભગવદ આરાધના કરશે તથા સાંસ્કૃતિકતા સાથે જીવન લીલા માણશે.

આ પ્રસંગે રાજકોટ ગુરૂકુળથી ગુરૂવર્ય મહંત સ્વામીશ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી બુધવારના દિવસે પધારશે. ગુરૂકુળના બાળકો સંતો અને યુવાનો પૂજ્ય સ્વામીજીના આગમનને વિવિધ રીતે વધાવશે. એ સાથે મુંબઈ, નવસારી, નીલકંઠધામ, પોઈચા, વડોદરા, વર્ણીન્દ્રધામ, પાટડી, કેશોદ, ઉના રાજકોટથી સંતો મહંતો ઉપસ્થિત રહેશે.

વધુમાં પ્રભુસ્વામીએ જણાવ્યુ હતુ કે આજે બુધવારે ભગવાન શ્રી સ્વામિનારાયણ ૧૮૯મી અંતર્ધાન તિથિ હોવાથી બપોરે ૧૧ થી ૧૨ વાગ્યા દરમિયાન ૫૦૦૦ ઉપરાંત ઘરે અને અહીં ગુરૂકુળમા ભગવાનનું વિશિષ્ટ પૂજન, પ્રાર્થના, કિર્તન, આદિ થયેલ. આ સમયે ૧૮૯ વર્ષે સદગુરૂ શ્રી ગોપાલાનંદ સ્વામીએ ભગવાન અંતર્ધાન થવાના સમાચારનો પત્ર વડતાલ અક્ષરાનંદ સ્વામી આદિ ઉપર લખાવેલ તે પત્રનું વાંચન કરાશે.

(4:31 pm IST)