Gujarati News

Gujarati News

News of Tuesday, 12th June 2018

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિતે ૩૧ ઓક્ટોબરે નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણઃ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીનું રણશીંગુ ફુંકશેઃ પાટીદારોની નારાજગી દૂર કરવા મદદ કરશે

અમદાવાદઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્‍ટેચ્યુ ઓફ યુનિટીનું ૩૧મી ઓક્ટોબરના રોજ તેમના હસ્‍તે અનાવરણ કરવામાં આવશે. ખંડી પુરુષ સરદાર પટેલનું આ 182 મીટર ઉંચું સ્ટેચ્યુ દુનિયાનું સૌથી વિશાળ સ્ટેચ્યુ હશે. એટલું જ નહીં, આ સ્ટેચ્યુનું અનાવરણ કરવાની સાથે પીએમ મોદી 2019ની લોકસભા ચૂંટણીનું પ્રચાર અભિયાન પણ શરુ કરશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રોજેક્ટ નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે શરુ કરાવ્યો હતો. સરદારના 143મા જન્મદિને તેનું અનાવરણ કરવામાં આવશે. ચીફ સેક્રેટરી જેએન સિંઘે જણાવ્યું હતું કે , 31મી ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જનતા માટે ખૂલ્લું મૂકવામાં આવશે. આ પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ હતો, અને તેનું અનાવરણ તેમના જ હાથે થશે.

31મી ઓક્ટોબરે થનારો આ કાર્યક્રમ માત્ર સરદારના સ્ટેચ્યુને જ ખૂલ્લું મૂકવાનો નહીં હોય. તેના દ્વારા પાટીદાર સમુદાયને પોતાના તરફ ફરી આકર્ષિત કરવાનો પ્રયાસ પણ હશે. મહત્વનું છે કે, અનામતની માગ સાથે પાટીદારો લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યા છે, અને ભાજપથી તેઓ હાલમાં ખફા છે. ભાજપને આશા છે કે, સરદાર પટેલનું સ્ટેચ્યુ પાટીદારોની નારાજગી દુર કરવામાં મદદ કરશે.

આ સ્ટેચ્યુનું ખાતમૂર્હુત 31 ઓક્ટોબર, 2013ના રોજ પીએમ મોદી દ્વારા જ કરવામાં આવ્યું હતું. તેને સરદાર સરોવર ડેમથી 3.32 કિલોમીટર દૂર બનાવવામાં આવી રહ્યું છે. 3000 કરોડ રુપિયાના આ પ્રોજેક્ટને પીપીપી મોડેલ પર બનાવાઈ રહ્યો છે. એલએન્ડટી દ્વારા આ સ્ટેચ્યુનું નિર્માણ થઈ રહ્યું છે.

તેનું કામ શરુ થયું ત્યારે પીએમ મોદીએ આખા ભારતમાંથી તેના માટે ખેડૂતોને લોખંડનું દાન કરવા અપીલ કીર હતી. આ સ્ટેચ્યુ પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તેવી ગુજરાત સરકારને આશા છે. 182 મીટર ઉંચા આ સ્ટેચ્યુમાં લિફ્ટ દ્વારા ઉપર સુધી જઈ શકાય તેવી પણ વ્યવસ્થા છે, અને ત્યાંથી સરદાર સરોવર ડેમનો નયનરમ્ય નજારો જોઈ શકાશે.

(6:27 pm IST)