Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

અમદાવાદમાં કોરોના મહામારીમાં દર્દીઓને મદદ કરવા ૩ નર્સનો માનવતાવાદી નિર્ણયઃ નિવૃત્તિ પછી પણ ફરજ ઉપર હાજર

અમદાવાદ: સમગ્ર વિશ્વમાં 12મી મે ના દિવસને વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.કોવીડ મહામારીમાં આરોગ્યકર્મીઓ અગ્રેસર રહ્યા. જીવની પરવા કર્યા વિના દર્દી નારાયણને બચાવવા માટે અવિતર સંઘર્ષ કરતા રહ્યાં. રાજ્ય, દેશ અને દુનિયાના તબીબો, નર્સિંગ સ્ટાફ અને સફાઈ કર્મચારીઓએ ઘાતક વાયરસથી માનવજાતને બચાવવા માટે મથતા રહ્યા છે. કેટલોક સ્ટાફ તબીબી સેવામાંથી નિવૃત્ત થઈ ગયો હતો પણ ફરજના સાદે તેમને પરત હોસ્પિટલમાં આણ્યા.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અગાઉ ફરજ બજાવતા વિદુલા પટેલ, ભારતી મહેતા અને અંજના ક્રિશ્ચિયન સિવિલમાં નિવૃત્તિ બાદ ફરી વાર કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા માટે ફરજ પર હાજર થયા છે. તેઓ દ્રઢપણે માને છે કે,માનવસેવા માટેનો આ ઉત્તમ અવસર છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિટેન્ડેન્ટ વિદુલા પટેલ ૩૪ વર્ષની સેવા બાદ ૩૦ એપ્રિલ, ૨૦૨૧એ નિવૃત્ત થયા હતા, પણ ખરાબ પરિસ્થિતિને ઓળખીને તેઓ સ્વૈચ્છીક રીતે સેવામાં જોડાયા છે. વિદુલાબહેન ૧૯૮૬માં સિવિલમાં ફરજ પર જોડાયા હતા, ત્રણ દાયકાની કામગીરી બાદ તેમણે સિવિલ હોસ્પિટલમાં નવી ઈનિંગની શરુઆત કરી.

વિદુલાબહેન કહે છે, આ કપરા સમયમાં ફરજ બજાવવા અને યથાશક્તિ યોગદાન આપવા માટે હું તત્પર છું. વિદુલાબહેનની મુખ્યત્વે કામગીરી સ્ટાફ મેનેજમેન્ટની છે.  વિદુલાબેનની જેમ જ ભારતીબેન મહેતા પણ નિવૃત્તિ બાદ ફરી સિવિલ મેડિસીટીમાં સ્થિત 1200 બેડ હોસ્પિટલમાં એ-૪ વોર્ડમાં ફરજ બજાવે છે. ભારતીબેનું કહેવુ છે કે, મને અહીં કોવીડના દર્દીઓની સેવાનો મોકો મળ્યો તેની ખુશી છે.

સિવિલ હોસ્પિટલમાં ૨૫ વર્ષ સેવા બાદ નિવૃત્ત થયેલા અંજનાબેન ક્રિશ્ચિયન ફરી સેવારત થયા છે. હાલ તેઓ ઈ.એન.ટી વિભાગમાં કામ કરે છે. જેમાં મોટાભાગે મ્યુકોરમાઈકોસિસના દર્દીઓની સારવારનું કામ હોય છે. તેઓ કહે છે કે, આ પરિસ્થિતિમાં દર્દીઓને મદદરુપ થવાનો આનંદ અનેરો હોય છે.

સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. જે.વી. મોદી કહે છે કે, કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારમાં તબીબોની લગોલગ નર્સિંગ સ્ટાફની ભૂમિકા પણ ચાવીરૂપ રહી છે. સિવિલ હોસ્પિટલની કોરોના ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ અને મંજુશ્રી હોસ્પિટલમાં ૧૫૭૪  જેટલો નર્સિંગ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કોરોના ગ્રસ્ત દર્દીઓની સારવારમાં તૈનાત રહે છે. અત્યાર સુધીમાં ૪૦૩ જેટલા નર્સિંગ સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયા બાદ પણ એ જ ઉત્સાહ સાથે પુનઃ ફરજ પર હાજર થયા છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા ગામે  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત સમગ્ર દેશમાં કોરોનામુક્ત થવામાં અગ્રેસર રાજ્ય હશે. કદાચ, આવી પરિચારિકા બહેનો જેવી ઉત્તમ ભાવનાના પગલે જ ગુજરાતના આ સપનાને ઝડપથી સાકાર કરશે.

(4:33 pm IST)