Gujarati News

Gujarati News

News of Wednesday, 12th May 2021

રાજ્યોમાં કોરોના પછી નવા રોગે વધાયું ટેન્શન

ફંગસથી ફેલાતા 'મ્યુકરમાયકોસિસ'ની સારવારનો ખર્ચ જ થાય છે ૧૧ થી ૧૪ લાખ : ૮૦ થી ૧૫૦ ઇન્જેકશન લેવા પડે

૧ ઇન્જેકશનનો ભાવ રૂ. ૨૬૯ થી રૂ. ૭૯૦૦નો છે : સારવાર ખર્ચાળ ! દર્દી થઇ જાય પાયમાલ

અમદાવાદ,તા.૧૨:કોરોના પછી દરદીઓમાં મ્યુકરમાયકોસીસના દર્દીઓને શરીરના વજન પ્રમાણે ૮૦થી માંડીને ૧૫૦ જેટલા ઇન્જેકશન લેવાના થતાં હોવાથી તેના ભાવને નિયંત્રણમાં લેવા જરૂરી છે. બીજું આ ઇન્જેકશનદીઠ મહત્ત્।મ ભાવ રુ. ૭૯૦૦ અને ઓછામાં ઓછા રુ. ૨૬૯ ભાવ છે. દર્દીને આ દવાના ઓછોમાં ઓછા અંદાજે ૮૦ અને વધુમાં વધુ ૧૫૦ કે તેથી વધુ ઇન્જેકશન આપવા પડી શકે છે.

ફંગસથી ફેલાતા આ રોગમાં માત્ર આ દવાનો જ ખર્ચ રૂ. ૧૧ લાખથી ૧૪ લાખનો થઈ શકે છે. આ ખર્ચ ઉપરાંત અન્ય દવા અને હોસ્પિટલના ખર્ચને જોવામાં આવે તો તેની સારવાર લેનાર દર્દીઓની આર્થિક પાયમાલ થઈ જવાની સંભાવના છે. આ પાયમાલીના ખપ્પરમાં દર્દીઓને હોમાતા અટકાવવા માટે સરકારે નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઇસિંગ ઓથોરિટીના માધ્યમથી દવાના ભાવ નિયંત્રિત કરવા જરૂરી છે.

મ્યુકરમાયકોસીસની પ્રવાહી અને પાવડર દવાના ભાવ વચ્ચેનો મોટો ગાળો દૂર કરવામાં નહિ આવે તો તેના દર્દીઓની સંખ્યા વધતા તેના પણ કાળાં બજાર ચાલુ થઈ જશે. તેના કાળાં બજાર ન થાય તે માટે આગોતરું આયોજન કરવું જરૂરી હોવાનું ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ એક પત્ર લખીને કેન્દ્રના રસાયણ મંત્રી મનસુખ માંડવિયાને એક પત્ર લખીને જણાવ્યું છે.

મ્યુકરમાયકોસીસના કેસો વધી જાય તો તેવા દર્દીઓને સારવાર આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરની સિવિલ હોસ્પિટલ્સમાં મ્યુકોમાયરોસિસના દર્દીઓ માટે અલાયદા વોર્ડ્સ શરૂ કરવામાં આવશે.

ગુજરાત સરકારે મ્યુકરમાયકોસીસની સારવાર માટે રુ. ૩ કરોડ ૧૨ લાખના ખર્ચે એમ્ફોટિસીરીનના ૫૦૦૦ ઇન્જેકશન ખરીદવા ઓર્ડર આપી દીધો છે, પરંતુ એક દર્દીને આપવાના અંદાજે ૮૦થી ૧૫૦ ઇન્જેકશનની ગણતરી કરવામાં આવે તો તેનાથી ૫૦ દર્દીથી વધુને સારવાર આપી શકાય તેમ નથી. ગુજરાતમાં મ્યુકોમાયરોસીસના ૧૦૦થી વધુ કેસ ધ્યાનમાં આવ્યા છે. અમદાવાદમાં તેના ૧૯થી વધુ દર્દીઓ છે.તબીબી ક્ષેત્રની જાણકારી ધરાવતા સૂત્રોનું કહેવું છે કે મ્યુકરમાઈકોસિસ ફૂગ માનવ શરીરમાં શ્વાસ કે ત્વચા પરના ઘા થકી પ્રવેશે છે. રોગપ્રતિકારક શકિત ઓછી હોય તેવી વ્યકિતમાં પ્રવેશેલી મ્યુકરમાયકોસીસની ફૂગ શરીર પર હાવી થઈ પ્રસરવા લાગે છે.

અનકંટ્રોલ્ડ ડાયાબીટીઝ, કેન્સર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, ડ્રગનું સેવન કરનાર, લાંબા સમયથી સ્ટિરોઇડ અપાયું હોય, ભેજવાળો ઓકિસજન લેનારી, કુપોષિત કે અવિકસીત નવજાત બાળક, સ્ટેમસેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવી હોય, ત્વચા પરની કોઈ સર્જરી- ઘા કે દાઝેલી ત્વચા વાળી વ્યકિતને મ્યુકોમાયરોસિસનો રોગ લાગુ પડવાની શકયતા વધુ છે.

તબીબી સૂત્રોનું કહેવું છે કે મ્યુકરમાયકોસીસના દર્દીઓમાં એક બાજુનો ચહેરો સોજી જવો, માથાનો દુખાવો થવો, નાક બંધ થવું કે સાઇનસની તકલીફ થવી, મોઢામાં તાળવે કે નાસિકાઓમાં કાળો ગઠ્ઠો જમા થવા, આંખમાં દુખાવો, ઓછું કે ઝાંખુ દેખાવું, તાવ આવવો, કફ વધવો, છાતીમાં દુખાવો થવો, શ્વાસ રૃંધાવો, પેટનો દુખાવો થવો, ઉબકા આવવા કે ઉલટી થવી, આંતરડામાં રકતાવ થવો જેવા લક્ષણો જોવા મળે છે.

ગુજરાત સરકારના જણાવ્યા પ્રમાણે મ્યુકરમાયકોસિસની સારવાર માટે એમ્ફોટેરિસિન-બી, પોસાકોનાઝોલ કે ઇસાવ્યુકોનાઝોલ અસરકારક ગણાય છે. મનસુખ માંડવિયાને ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલે લખેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સરકારે દર્શાવેજી એમ્ફોટેરિસિન-બી નામની મ્યુકોરમાયરોસિસની દવા લિકિવડના સ્વરૂપમાં મળે છે. તેમ જ લાયોફિલાઈઝ લિપોસોમલ એમ્પોટેરિસિન -બી બારીક પાવડરના કણના સ્વરૂપમાં મળે છે.

બારીક પાવડરના સ્વરૂપમાં મળતી દવા અને લિકિવડ દવા વચ્ચેના ભાવમાં આસમાન જમીનનો તફાવત છે. પાવડર ફોર્મ મળતી દવા ટોર્ગેટેડ અવયવ સુધી જાય છે. જયારે લિકિવડ દવા આખા શરીરમાં જતી હોવાથી કીડની અને લીવર પર અવળી અસર કરતી હોવાનું જાણકારો કહે છે. કોવિડની અસરમાંથી રિકવર થયા પછી આ રોગ દર્દીઓમાં દેખા દે છે. તેનાથી દર્દીના શરીરમાં ખાસ પ્રકારની ફુગ વધી જાય છે. આ ફૂગ આંખ, નાક અને ગળા તથા કાન પર અસર કરે છે.

એમ્ફોટેરિસિન-બી લિકિવડનું પાવડરના ફોર્મમાં લિકિવડ દવાનું રૂપાંતર કરવાની પ્રક્રિયા ખર્ચાળ નથી. તેથી તેની કિંમત અને લિકિવડ દવાની કિંમત વચ્ચેનો ગાળો અંદાજે રૂ. ૭૫૦૦થી વધુનો છે તે ઓછો કરવા માટે સરકારે ત્વરિત પગલાં લેવા જોઈએ. તેમ કરવામાં નહિ આવે તો તેને પરિણામે સસ્તી દવાઓના કાળાં બજાર થવા માંડશે.

પ્રધાન મંત્રી જન ઔષધી યોજના હેઠળ લોકોને સસ્તી દવા આપવાની ખાતરી કેન્દ્રની ભાજપ સરકારે આપી છે, પરંતુ કોરોનાના આ કપરાં કાળમાં લોકોની મસમોંઘી દવા મેળવવા પાછળ દોટ મૂકવી પડી રહી છે. આ સ્થિતિમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પ્રજાને મદદરૂપ થવા માંગતી હોય તો કોરોનાની દરેક દવાઓ સસ્તા દામે જનઔષધી કેન્દ્ર મારફતે વેચવાનું શરૂ કરવું જોઈએ.

મ્યુકોમાયરોસિસના એક ઇન્જેકશનની સરકારે રુ. ૬૨૪૦ની કિંમત ચૂકવી હોવાનું જણાઈ રહ્યું છે. મ્યુકોમાયરોસિસના એક દર્દીને ઓછામાં ઓછા ૮૦ ઇન્જેકશન આપવા પડે તો પણ તે માટે સરકારે પ્રતિ દર્દી રુ. ૭ લાખનો ખર્ચ કરવો પડી શકે છે. આ ઉપરાંત અન્ય સારવાર આપવાનો ખર્ચનો વધારાનો બોજ વેંઢારવાની નોબત આવી શકે છે. મ્યુકોમાયરોસિસના દર્દીઓની સંખ્યા વધી રહી છે. આગામી દિવસોમાં તેની સંખ્યા દ્યણી વધી જાય અને સમગ્ર રાજય અને દેશમાં હોબાળો થાય તે પૂર્વે જ સરકારે તેના બજાર પર નિયંત્રણ લાવી દેવું જોઈએ.

. મ્યુકરમાયકોસિસ મટયા બાદ પણ ફરી થવાનું જોખમ

મ્યુકોરમાઇકોસિસમાં એક પ્રકારની ચેપી ફૂગ કાન, નાખ, આંખ, મગજ અને ફેફસાંમાં ફેલાય છે. આ રોગમાં ઝડપી સારવાર ન મળે તો દર્દીનું મૃત્યુ થવાની પણ શકયતા છે. આ ચેપ ગેંગરીન પ્રકારનો હોવાથી અમુક કેસમાં દર્દીઓનું અંગ કાપી ફૂગને ફેલાતી અટકાવવામાં આવે છે. આ પ્રકારના ઓપરેશન બાદ દર્દીની દવા અને સારવાર કરવામાં આવે છે અને ઓપરેશન બાદ પણ દર્દીને ૨૫-૩૦ દિવસ સુધી તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવે છે.

. મ્યુકરમાયકોસિસના લક્ષણો

કોરોનાની સારવાર ચાલી રહી હોય ત્યારે અથવા સાજા થયા બાદ મુખ્યત્વે ૪૦ થી વધુની ઉંમરના દર્દીઓમાં આ રોગ જોવા મળે છે. ડાયાબિટીસ સંતુલનમાં ન રહેતું હોય, કિડની અને કેન્સરની બીમારી ધરાવતા દર્દીઓ પર આ રોગ જલદી અસર કરે છે.શરૂઆતમાં નાકમાં સાયનસ ઇન્ફેકશન થતું જોવા મળે છે અને નાકમાંથી દુર્ગંધ આવે છે. આ ઉપરાંત વારંવાર શરદી અને નાક બંધ થવાની સમસ્યા, નાક અને સાયનસના ભાગે સોજો પણ જોવા મળે છે. આ ઉપરાંત નાક અને ગાલ કાળા પડવા પણ મ્યુકોરમાઇકોસિસના લક્ષણો હોઇ શકે છે.

. મ્યુકરમાયકોસિસ સામે શું કાળજી લેવી ?

સુગર વધે નહીં તેનું ધ્યાન રાખવું, બે માસ્ક પહેરવા, ખાનપાનમાં કાળજી અને નિયંત્રણ રાખવા, સતત હાથ સાફ કરતાં રહેવું, જરૂર હોય તેટલાં સ્ટીરોઇડ જ લેવાં, વધુ સ્ટીરોઇડ ન લેવાં, સામાન્ય લક્ષણ જણાય તો કાન-નાક-ગળાના સર્જનની સલાહ લેવી, દર્દી ઘરમાં જ આઇસોલેશનમાં રહે

(10:14 am IST)