Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

લસુંદ્રા નજીક કેનાલમાંથી યુવક યુવતીની લાશ મળી આવતા રહસ્ય અકબંધ

કઠલાલ:તાલુકાના લસુંદ્રા નજીક નર્મદા કેનાલની પાસેથી યુવક અને યુવતિની લાશો મળી આવી હતી. બનાવના ત્રણ દિવસ બાદ પણ આ લાશો વણઓળખાયેલી રહી છે. જ્યાં સુધી લાશોની ઓળખ ના થાય ત્યાં સુધી પોલીસ માટે આ એક કોયડો બની ગયો છે. પોલીસ હાલમાં લાશોની ઓળખ માટેની કાર્યવાહી તેજ કરી છે. 

કઠલાલ તાલુકાના લસુંદ્રા ગામે થી નર્મદા કેનાલ પસાર થાય છે. આ કેનાલની બાજુમાં ગોચર જમીન આવેલી છે. ત્યાં યુવક અને યુવતિની લાશો હોવાની માહિતી કઠલાલ પોલીસને મળતા તેમણે ઘટનાસ્થળે જઈ લાશોનો કબજો લીધો હતો. અને બંને લાશો પીએમ માટે મોકલી આપી છે. બનાવના ત્રણ દિવસ બાદ પણ હજી આ લાશોની ઓળખ થઈ નથી યુવતિની ઉંમર ૨૦ વર્ષ અને યુવકની ઉંમર ૨૫ વર્ષની આસપાસ છે. તે જોતા આ બંને પ્રેમી પંખીડા હોવાની શક્યતા પણ તેજ બની છે. 

પોલીસે આજુબાજુના પોલીસ સ્ટેશનમાં કોઈ ગુમશુદા વ્યક્તિઓના રિપોર્ટ થયા છે કે નહી તેની તપાસ હાથ ધરી છે. છતાં કોઈ જાણકારી મળી નથી. તે જોતા આ બંને યુવક યુવતિઓ કોઈ દૂરના સ્થળની હોવાની શક્યતા પણ સેવાઈ રહી છે. પીએમ રિપોર્ટના વિસ્તૃત પૃથકરણમાં આ બંને એ આત્મહત્યા કરી છે કે તેની હત્યા થઈ છે તે બહાર આવશે. જોકે જ્યાં સુધી ઓળખ ના થાય ત્યાં સુધી આ એક કોયડો બની ગયો હોવાનું પોલીસ જણાવી રહી છે.

(6:25 pm IST)