Gujarati News

Gujarati News

News of Friday, 12th February 2021

લોકસભા ચૂંટણી લડનાર કિન્નર નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજીએ હવે કોર્પોરેશનની ચૂંટણીમાં નોંધાવી ઉમેદવારી

અપક્ષમાંથી સરસપુર રખિયાલ વૉર્ડમાંથી ઉમેદવારી કરનાર કિન્નરે ચૂંટણી ચિહન બંગડીનું રાખ્યું

અમદાવાદ મહા નગરપાલિકાની ચૂંટણીમાં કિન્નર નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજીએ પણ ઉમેદવારી નોંધાવી છે. આ પહેલાં પણ તેઓ ત્રણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે તેમજ જ્યાં સુધી જીતશે નહીં ત્યાં સુધી ચૂંટણી લડતા રહેવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદના સરસપૂર્ણ બોમ્બે હાઉસિંગમાં રહેતા નરેશ જયસ્વાલ ઉર્ફે રાજુ માતાજી નામના કિન્નરે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષમાંથી સરસપુર રખિયાલ વૉર્ડમાંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે. તેમણે પોતાનું ચૂંટણી ચિહન બંગડીનું રાખ્યું છે. કિન્નર રાજુ માતાજીએ પોતાના વિસ્તારની સમસ્યા અને લોકોની સેવા કરવાના હેતુથી ઉમેદવારી નોંધાવી છે. આ અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભા અને લોકસભામાં પણ તેમણે ઉમેદવારી નોંધાવી હતી.

આ પહેલાંની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 1706 મત મળ્યા હતા, જ્યારે વિધાનસભા ચૂંટણીમાં 2,303 અને લોકસભા ચૂંટણીમાં 2,571 મત મેળવ્યા હતા. આ ચૂંટણીમાં પણ જંગી મત મળશે અને જીત મેળવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

રાજુ માતાજીએ જણાવ્યું હતું કે સરસપુર અને એની આસપાસ સ્લમ વિસ્તાર આવેલો છે. અહી અનેક સમસ્યાઓ છે. પ્રતિનિધિઓ ચૂંટાયા બાદ વચનો પુરા કરતા નથી. જો હું ચૂંટાઇ તો સ્લમ વિસ્તારની પાયાની જરૂરિયાતોને પુરી કરીશ. મને ઉમેદવારી પત્ર ખેંચવા માટે લાલચ સૂંધા આપવામાં આવી છે. પરંતુ હું મારા નિર્ણય પર અડગ રહીશ. અન્ય લોકોએ પણ મને કિન્નર હોવાને કારણે અનેક સવાલો કર્યા હતા છતાં લોકોને જવાબ પણ આપ્યા હતા. જ્યાં સુધી જીત નહીં મળે ત્યાં સુધી હું ચૂંટણી લડીશ.

(12:39 am IST)