Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

૭૫ નગરપાલિકાની ચૂંટણીમાં ૬૦૩૫થી વધુ ઉમેદવારો હશે

૧૭મી ફેબ્રુઆરીએ ૭૫ નપાઓ માટે મતદાન : નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ ૧૯મીએ જાહેર કરાશે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોની વચ્ચે રસાકસીભર્યો જંગ

અમદાવાદ,તા. ૧૨ : રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે, ત્યારે નગરપાલિકાઓની આ ચૂંટણી માટે કુલ ૫૨૯ વોર્ડની ૨૧૧૬ બેઠકો માટે કુલ ૬૦૩૫થી વધુ ઉમેદવારો મેદાનમાં છે.  તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ સવારે આઠ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી અમદાવાદ જિલ્લાની ધંધુકા, બાવળા, સાણંદ સહિતની રાજયની ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે.  નગરપાલિકાઓની ચૂંટણીનું પરિણામ તા.૧૯મી ફેબ્રુઆરીએ જાહેર કરાશે.  રાજયની ૭૫ નગરપાલિકાઓ સાથે પ્રસંગોપાત ખાલી પડેલી જે તે બેઠકોની પેટા ચૂંટણી પણ યોજાશે. જેમાં છ નગરપાલિકાઓની પેટા ચૂંટણી અને રાજકોટ મહાનગરપાલિકાના એક વોર્ડની પેટાચૂંટણીનો સમાવેશ થાય છે. વિધાનસભાની ચૂંટણી બાદ ફરી એકવાર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો ચૂંટણી જંગ જામશે. તો નગરપાલિકાઓની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોએ મોટી સંખ્યામાં ઝંપાલવ્યું છે. રાજયના નાયબ ચૂંટણી કમિશનર એ.એ.વ્યાસ, મુખ્ય ચૂંટણી સચિવ મહેશભાઇ જોષી અને મદદનીશ ચૂંટણી અધિકારી વી.એમ.પટેલે આ અંગે જણાવ્યું હતું કે, રાજયની ૭૫ નગરપાલિકાઓ માટે યોજાનારી ચૂંટણી માટે કુલ ૬૦૩૫થી વધુ ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના સમર્થિત ૧૯૩૪, કોંગ્રેસ સમર્થિત ૧૭૮૪, અપક્ષ ૧૭૯૪ અને અન્ય ૫૨૩ ઉમેદવારોનો સમાવેશ થાય છે. તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ રાજયની ૭૫ નગરપાલિકાઓના ૫૨૯ વોર્ડની કુલ ૨૧૧૬ બેઠકો માટેની ચૂંટણી યોજાશે. જેમાં ૫૧ બેઠકો તો પહેલેથી જ બિનહરીફ જાહેર થઇ છે. નગરપાલિકાઓની ચૂંટણી માટે આશરે ૧૯ લાખથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તેવી શકયતા છે. આ જ પ્રકારે તા.૨૧મી ફેબ્રુઆરીના રોજ રાજયની બનાસકાંઠા અને ખેડા એમ બે જિલ્લા પંચાયતોની અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાશે. બે જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ૨૭૩ ઉમેદવારો મેદાનમાં છે, જયારે ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણી માટે ૧૦૦૫ ઉમેદવારો મેદાનમાં છે.

બે જિલ્લા પંચાયત અને ૧૭ તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ તા.૨૩મી ફેબ્રુઆરીએ જાહેર કરાશે. રાજયની ૭૫ નગરપાલિકાઓ, બે જિલ્લા પંચાયતો અને ૧૭ તાલુકા પંચાયતોની ચૂંટણીને લઇ રાજય ચૂંટણી પંચ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. આ ચૂંટણીમાં પણ મતાધિકાર માટે ઇવીએમનો ઉપયોગ કરાશે. તો, મતદારો નોટાના વિકલ્પનો પણ ઉપયોગ પોતાના મતાધિકાર દરમ્યાન કરી શકશે.

(8:30 pm IST)