Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

અગમ્ય કારણોસર વિજલપોરમાં આગ ભભૂકતા બે તરુણી મોતને ભેટી

નવસારી:વિજલપોરનાં રામનગરમાં રહેતા ગુપ્તા પરિવારનાં ઘરમાં આજે ભેદી રીતે આગ લાગતા પરિવારની બે તરૂણીઓ આગની લપેટમાં આવી જતાં મોતને ભેટી હતી. જ્યારે તરૂણીની માતાને ગંભીર હાલતમાં નવસારીની હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

આગમાં ઘરવખરી સહિત સરસામાન રાખ થયો હતો. ૩ કલાકની જહેમત બાદ નવસારી અને વિજલપોરનાં ફાયર ફાઇટરોએ આગને કાબુમાં લીધી હતી.

મૂળ ઉત્તરપ્રદેશનાં અને હાલમાં વિજલપોરનાં રામનગર-૨માં રહી ચીકીનો વ્યવસાય કરતા મોહનભાઇ પ્રહલાદભાઇ ગુપ્તાના ઘરમાં આજે સવારે ૧૧-૩૦ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતાં ઘરની અંદર રસોઇ કરતી સંધ્યાબેન મોહનભાઇ ગુપ્તા (ઉ.વ. ૪૫) અને તેમની બે  માસુમ પુત્રી  રોશની (ઉ.વ. ૧૬) અને વંદના (ઉ.વ. ૧૪) આગની લપેટમાં આવી ગયા હતા.

વિજલપોર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી એફ.એસ.એલ.ની મદદથી તપાસ હાથ ધરી છે. ઘરમાં આગ લાગવાનું શું કારણ હતું? તેની કોઇ જાણકારી હજી સુધી મળી શકી નથી. આ ભેદી આગની ઘટનામાં બે બાળકીનાં કરૂણ મોત થવા સાથે તેમની માતા ૯૦ ટકા દાઝી ગઇ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે.

(5:29 pm IST)