Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

ચાંગોદરની પાસે બસ-ડમ્પર વચ્ચે દુર્ઘટનામાં ૧૫ને ઇજા

મોડી રાતે થયેલા અકસ્માતમાં તમામનો બચાવ : બસ અમદાવાદથી વેરાવળની તરફ જઈ રહી હતી ત્યારે દુર્ઘટના સર્જાઈ : ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડાયા

અમદાવાદ,તા. ૧૨ : અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર બાવળા નજીક ચાંગોદર પાસે ગત મોડી રાત્રે પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં ૧પ મુસાફરોને નાની-મોટી ઈજા થઇ હતી. ડમ્પર સાથે બસ અથડાયા બાદ વેર હાઉસની દીવાલ સાથે અથડાયું હતું. મોડી રાતે થયેલા અકસ્માતમાં તમામ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. લકઝરી બસ અમદાવાદથી વેરાવળ જતી હતી. મોડી રાતે અમદાવાદથી પટેલ ટ્રાવેલ્સની લકઝરી બસ વેરાવળ જવા માટે નીકળી હતી. બસ સરખેજથી બાવળા તરફ પુરઝડપે જઇ રહી હતી ત્યારે ચાંગોદર પાસે એક ડમ્પર સાથે તેનો અકસ્માત સર્જાયો હતો. બસની સ્પીડ એટલી વધારે હતી કે, ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવતાં દીવાલ સાથે અથડાઇ હતી.

 ડમ્પર સાથે અથડાતાંની સાથે જ બસ દીવાલ સાથે અથડાઇ હતી. મોડી રાતે થયેલા આ અકસ્માતથી પેસેન્જરોમાં બૂમાબૂમ મચી ગઇ હતી. આ ઘટનામાં બસના ડ્રાઇવર સહિત કુલ ૧પ લોકોને નાની-મોટી ઇજા પહોંચી હતી, જેમને ૧૦૮ ઇમર્જન્સી એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં આસપાસના લોકો બચાવકાર્ય માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ઘટનાની જાણ ચાંગોદર પોલીસને થતાં સ્ટાફનો કાફલો પણ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૃ કર્યો હતો. પોલીસે આ મામલે બસચાલક વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરી છે.

૧પ પેસેન્જરો પૈકી ૯ પેસન્જરને વધુ ઇજા થતાં તેમને સારવાર માટે સોલા સિવિલ અને અન્ય હોસ્પિટલમાં લઇ ગયા હતા. પેસેન્જરોમાં ડિમ્પલબહેન, રાજનભાઇ પટ્ટી, મંજલભાઇ દેલવાના, હીના ચૌહાણ, સચીન શાની, પંકજ સોલંકી, ખુશી કલારિયા, મયૂર કોટેન્દ્રર અને જય ચિતરોડાને વધુ ઇજા પહોંચી છે. જો કે, બસના તમામ મુસાફરોનો બચાવ થઇ જતાં સૌકોઇએ રાહતનો દમ લીધો હતો. બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મોડી રાત્રે બાવળા હાઇવે પર થોડીવાર માટે ટ્રાફિક ચક્કાજામ પણ થયો હતો.

(7:30 pm IST)