Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ઉત્તરાયણ પર્વ પર અકસ્માત કેસોને લઇ ૧૦૮ એલર્ટ પર

૧૦૮ના સ્ટાફ કર્મચારી-અધિકારીઓ હાઇએલર્ટ : ગયા વર્ષે ઉત્તરાયણ પર્વ પર દોરી વાગવાથી ગળા કપાવા, ઇજા, ધાબેથી પડવા સહિતના ૩૫૦૦થી વધુ કેસો નોંધાયા

અમદાવાદ,તા.૧૧ : ઉત્તરાયણના તહેવારને લઇ અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ઇમરન્જસી સારવારની સેવા ૧૦૮ને હાઇએલર્ટ પર રાખવામાં આવી છે. તંત્ર દ્વારા ૧૦૮ના તમામ સ્ટાફ કર્મચારીઓને એકદમ એલર્ટ અને કોઇપણ ઇમરજન્સીની પરસ્થિતિને પહોંચી વળવા ખડેપગે તૈનાત રહેવા કડક તાકીદ કરી દેવાઇ છે. ગુજરાતમાં ગત વર્ષે ઉત્તરાયણના દિવસે પતંગ દોરા વાગવાથી ઇજા થયાના ૩૫ કેસ ઇમરજન્સી સેવા ૧૦૮માં આવ્યા હતા. વાસી ઉત્તરાયણમાં ૨૩ લોકોના ગળા કપાયા હતા. જેમાં અમદાવાદમાં અનુક્રમે ૨૫ અને ૨૮ કેસો પતંગના દોરા વાગવાથી ગંભીર ઇજા થઇ હોય તેવા આવ્યા હતા. ગત વર્ષ ૨૦૧૮માં ઉત્તરાયણના દિવસે ૩,૫૨૭ અને વાસી ઉત્તરાયણમાં ૩,૫૯૬ કેસો ઇમરજન્સીને લગતા આવ્યા હતા. નોંધનીય છે કે, ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં બે લોકોના મોત થઇ ચૂક્યા છે. હાટકેશ્વર બ્રિજ પર યુવકને પતંગની દોરી ગળામાં વાગતા તેમજ નરોડામાં પતંગ ચગાવતા ધાબા પરથી પટકાતા કિશોરનું મોત ગત અઠવાડીયે જ થઇ ગયું હતું. ચાલુ વર્ષે હવે ઉત્તરાયણને આડે ત્રણ જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે પગંત દોરાથી ઘવાયેલા કે ધાબા પરથી પટકાયેલા લોકોને સત્વરે સારવાર આપવા માટે ઇમરજન્સી સેવા ૧૦૮ને ખડેપગે રખાશે. આ વખતે સામાન્ય દિવસની તુલનામાં ઉત્તરાયણમાં ૨૧ ટકા અને વાસી ઉત્તરાયણમાં ૧૯ ટકા ઇમરજન્સી કેસો વધવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. ૧૦૮ની કુલ ૫૮૭ વાન તેના તાલીમબદ્ધ સ્ટાફ સાથે તૈનાત કરાઇ છે. વધુ ઇમરજન્સીવાળા સંભવિત વિસ્તારોમાં વધારાની ૧૦ વાન પણ ઉપલબ્ધ કરાવાઇ હોવાનું જાણવા મળે છે. ચાલુ વર્ષે ઉત્તરાયણના દિવસે ૩,૭૩૦ અને વાસી ઉત્તરાયણમાં ૩,૬૫૯ ઇમરજન્સી કોલ આવવાની શક્યતા વ્યક્ત કરાઇ છે. ઉપરાંત વાહન અકસ્માતના અનુક્રમે ૮૨૭ અને ૫૨૫ કેસો આવવાની શક્યતા છે. અમદાવાદ શહેરમાં ૬૪૩ અને ૬૫૯ કેસો આ બે દિવસ દરમિયાન આવવાની શક્યતા જોવાઇ રહી છે.

પતંગ ચગાવતી વખતે ખાસ સલામતી રાખવાની અપીલ ઇમજરન્સી સેવા ૧૦૮ દ્વારા કરાઇ છે. જેમાં લીસી, ખરબચડી, તૂટેલી, નબળી છત કે ધાબા પર ઉભા ન રહેવું જોઇએ. નબળા, જર્જરિત બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ન ચઢવું, ઉંચાઇએથી જમીન પર કૂદવું નહીં, જાહેર રસ્તાઓ પર પતંગ પકડવા દોડવું નહીં, ઇલેક્ટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવા નહીં વગેરે તકેદારી રાખવાની અપીલ કરાઇ છે.

(8:06 pm IST)