Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ગાંધીના વિચારો સમસ્યાના ઉકેલ માટે એટલા જ પ્રસ્તુત

ગાંધીજીની જન્મજ્યંતિ ઉજવણીનો પ્રસ્તાવ પાસ : સભ્યોએ પોતાના વિચારો રજૂ કરીને પ્રસ્તાવને પાસ કર્યો

અમદાવાદ,તા.૧૧ :  પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહના સભ્યોએ પોતાના વિચારો રજૂ કરી સર્વસંમતિથી પસાર કર્યો હતો. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીના મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજયંતીના પ્રસ્તાવને સમર્થન આપતાં જણાવ્યું કે, ગાંધીજીના વિચારો આજે પણ સાંપ્રત સમસ્યાઓના ઉકેલ માટે એટલા જ પ્રસ્તુત છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ગાંધીજી એવું દૃઢપણે માનતા કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓએ ગામડાંમાં જઇ સમસ્યાઓ ઉકેલવી જોઇએ. આ સરકારે શાળા પ્રવેશોત્સવ જેવી અનેક બાબતોને લઇ ગાંધીજીના આ વિચારોને સાચા અર્થમાં પ્રસ્તુત બનાવ્યા છે. શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, દેશમાં ગાંધીજી, લોહિયા અને દીનદયાલજીની અંત્યોદયની ભાવના, સામાજિક સમરસતા અને દેશની સુખ-સમૃદ્ધિ માટે આજે પણ તેમના વિચારો એટલા જ પ્રસ્તુત છે.

       તેઓના જીવનકવનને આજની પેઢી વધુ નજીકથી જાણી શકે, તે માટે 'ભારત ભાગ્ય વિધાતા' નાટક તૈયાર કરવામાં આવ્યું છે. જેના ૧૫૦થી વધુ શૉ અત્યાર સુધી થઇ ચૂક્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહિંસાનો સંદેશો લઇ સમગ્ર વિશ્વમાં પ્રવાસ કરી રહ્યા છે, ત્યારે આતંકવાદ જેવા મુદ્દા પર સમગ્ર વિશ્વએ પ્રધાનમંત્રીની સાથે રહી અહિંસાના આ શસ્ત્રોને ટેકો આપ્યો છે. ગાંધીજી જેવા મહાપુરુષના જીવનમાંથી સર્વ ધર્મ સમભાવ અને સાંપ્રત સમસ્યાઓનો ઉકેલનો સંદેશ આજની યુવા પેઢીને મળી રહ્યો છે. મહાત્મા ગાંધીજીએ આપેલાં 'મારું જીવન એ જ મારો સંદેશ' મંત્ર આપણને જીવન જીવવા પ્રેરણા આપે છે. ગાંધીજીની મહાત્મા સુધીની સફરમાં તેમના જીવનનાં મૂલ્યો અને સિદ્ધાંતો ખૂબ જ મોટી ભૂમિકા ભજવે છે.

         ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે ગુજરાતમાં સ્વચ્છતા સપ્તાહ, શાળા-કોલેજોમાં વિવિધ નિબંધ – ક્વિઝ સ્પર્ધા, ગાંધીભજન, ગાંધીકથા અને કવિ સંમેલન યોજવામાં આવી રહ્યાં છે તેમ ગાંધીજી ઉપર પોતાના વિચારો રજૂ કરતાં રાજયમંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું. ગાંધીજી તેમનું સંપૂર્ણ જીવન સેવા, સંવેદના અને સત્યના આધાર પર જીવ્યા હતા. વર્તમાન ગુજરાત સરકાર પણ ગાંધીજીના માર્ગે ચાલીને સામાન્ય લોકો માટે સંવેદનશીલ નિર્ણયો લઇ રહી છે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું. ગાંધીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિત ધારાસભ્ય સર્વ ડૉ. સીજે ચાવડા, લાખા ભરવાડ, બાબુ બોખીરિયા ઋત્વિક મકવાણા, મનીષાબેન વકીલ, કનુભાઇ બારૈયા, પ્રો.કુબેરભાઈ ડીંડોર, વિક્રમભાઈ માડમ, સુરેશભાઈ, જીતુભાઈ વાઘાણી, પીયૂષભાઈ દેસાઈ, પૂંજાભાઇ વંશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.

(9:55 pm IST)