Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

મહીસાગરના ઉમેટા બ્રિજ પરથી વડોદરાના યુવાને નદીમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કરતા અરેરાટી

મહિસાગર:નદી પરના ઉમેટા બ્રીજ પરથી ગત સાંજે એક યુવાને તેના પિતાને ફોન દ્વારા પોતે જીવી લીધાનું અને હવે આત્મહત્યા કરવા જઇ રહ્યાનું જણાવ્યા બાદ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. ઘટનાથી હતપ્રભ યુવકનો પરિવાર નદી કિનારે દોડી આવ્યો હતો. પોલીસ અને તરવૈયા દ્વારા તપાસ કરવા છતાંયે યુવકની ભાળ મળી ન હતી. દરમયાન આજે સવારે તેનો મૃતદેહ મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધર્યાનું જાણવા મળે છે.
પ્રાપ્ત વિગતોમાં વડોદરાના કલાલી ફાટક વિસ્તારના વુડાના મકાનમાં રહેતો ર૧ વર્ષીય મિતેષ ચીમનભાઇ પરમાર પિત્ઝા રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. ગતરોજ સવારે તે દસેક વાગ્યે ઘરેથી બાઇક લઇને નીકળ્યો હતો. બપોર બાદ તેણે પોતાના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, મેં જીવી લીધું છે અને હવે સ્યુસાઇડ કરવા જઇ રહ્યો છું. મોબાઇલ ગાડીમાં મૂકું છે તેટલું જણાવીને ફોન કાપી નાંખ્યો હતો. આ વાત સાંભળીને મિતેષના પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા અને તેની તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન ઉમેટા બ્રિજ પરથી પસાર થઇ રહેલા બે બાઇક ચાલકોએ મિતેષને નદી તરફ પગ લટકાવીને બ્રીજ પર બેઠેલો જોયો હતો. જેઓને મિતેષની વર્તણૂંક શંકાસ્પદ લાગતા તેઓ તેની નજીક પહોંચે તે પહેલા મિતેષ નદીમાં કૂદી પડયો હતો. દરમયાન તેના બાઇકની ડેકીમાં સતત રણકતા મોબાઇલને ઉપાડીને આ યુવાનોએ તેના પરિવારજનો સાથે ઘટના અંગે વાત કરી હતી. દરમયાન મિતેષના પરિવારજનો, મિત્રો ઉમેટા બ્રિજે દોડી આવ્યા હતા. બનાવ અંગે જાણ કરતા ફાયરબ્રિગેડની ટીમે સાંજે ત્રણ કલાક સુધી નદીના પાણીમાં તપાસ હાથ ધરી હતી. પરંતુ મિતેષની કોઇ ભાળ મળી ન હતી. દરમ્યાન આજે સવારે તેનો મૃતદેહ સિંઘરોટ પાસેથી મળી આવ્યો હતો. બનાવ અંગે પોલીસે મિતેષની આત્મહત્યાનું કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધર્યાનુ ંજાણવા મળે છે.

(2:25 pm IST)