Gujarati News

Gujarati News

News of Monday, 11th December 2017

પુણા-કડોદરા રોડ પર ધુમ્મસના કારણે ટ્રક પિલર સાથે અથડાતા ગોઝાર અકસ્માતમાં ચાલક સહીત પાંચના મોત

સુરત: પુણા-કડોદરા રોડ પર આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે ટ્રક પીલર સાથે ભટકાયા બાદ પલ્ટી જતાં ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ડ્રાઈવર સહિત પાંચના મોત થયા હતા. જ્યારે ૫ વ્યક્તિને ઈજા થતા સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ મહારાષ્ટ્રના ધુલીયા ખાતે આઝાદ નગરમાં રહેતો ડ્રાઈવર ઈકબાલ અહેમદ ગુલામખાન કાઝી (ઉ.વ.૪૦) આજે વહેલી સવારે ધૂલીયાથી પશુનો આહાર ભરેલી ગુણો ટ્રકમાં લઈને સુરત આવી રહ્યો હતો. ધુલીયાથી ૧૦ મુસાફરો પણ ટ્રકમાં બેસીને સુરત આવી રહ્યા હતા. દરમિયાન સવારે ૬ વાગ્યા આસપાસ પુણા-કડોદરા રોડ પર પુણાગામ નજીક શ્યામ સંગીની માર્કેટ પાસે ગાઢ ધુમ્મસમાં ટ્રક પીલક સાથે અથડાયા બાદ પલ્ટી ગઈ હતી. જેમાં ટ્રકની બધી ગુણીઓ નીચે પડી ગઈ હતી. જેમાં ડ્રાઈવર ઈકબાલ કાઝી અને મુસાફરો ચિન્ધા શંકર ઠાકુર (ઉ.વ.૬૬) તેના ભાઈની પત્ની વિઠ્ઠાભાઈ સુરેશ ઠાકુર (ઉ.વ.૪૦) અને ભત્રીજો પ્રવિણ સુરેશ ઠાકુર (ઉ.વ.૧૯, રહે- વાધાસ્તી ગામ, ધૂલીયા) તથા આબીદ સૈયદ (ઉ.વ.૪૦, રહે. ધૂલીયા) ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા. આ અંગે ફાયરબ્રિગ્રેડને જાણ થતા ઘટના સ્થળે પહોંચી ગેસ કટરથી બોનેટ કાપીને ટ્રક નીચે દબાયેલા ત્રણ મૃતદેહને બહાર કાઢ્યા હતા. દરમિયાન ઈજા પામેલા સલીમ મોઉદ્દીન અન્સારી (ઉ.વ.૬૦), આમીન સલીમ ખટીક (ઉ.વ.૨૧), આબીદ આરીફખાન પઠાણ (ઉ.વ.૨૪, ત્રણે રહે- દેવપુર, ધુલીયા), મુખ્તાર ખલીલુર રહેમાન અન્સારી (ઉ.વ.૫૨, રહે- મિલનનગર, ધૂલીયા), અને ફારૃક આસીન મન્સુરી (ઉ.વ.૪૭, રહે- મંદિના મસ્જીદ, લિંબાયત) ને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે પૂણા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસ બાદ આબીદ સૈયદની લાશ મળી આવતા મૃત્યુઆંક પાંચ થયો હતો.
 

(2:23 pm IST)