Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

શક્‍તિપીઠ અંબાજી માતાજીના મંદિરે દિપાવલી તહેવારમાં પાંચ દિવસમાં 96 લાખની આવકઃ 80 જેટલા કર્મચારીઓ ભંડારાની ગણત્રીમાં લાગ્‍યાઃ નોટ ગણવાના મશીનનો પણ ઉપયોગ કરવો પડયો

119 ગ્રામ સોનુ અને 2032 ગ્રામ ચાંદીનું દાન પણ મળ્‍યુ

બનાસકાંઠાઃ ગત્ત વર્ષે કોરોના મહામારીને લઇ શક્તિપીઠ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યુ હતુ. તેજ રીતે સતત દોઢ વર્ષ સુધી લોકો કોરોના મહામારીના પ્રકોપના કારણે પોતાના વિસ્તારમાં જ ભરાઈ રહ્યા હતા. ત્યારે ચાલુ વર્ષે કોરોનાની એસ.ઓ.પી માં સરકારે છુટ છાટ આપતાં લોકો ધાર્મિક સ્થાનો ઉપર ઉમટ્યાં હતા. શક્તિપીઠ અંબાજીમાં પણ દિવાળીના તહેવારોમાં શ્રદ્ધાળુંઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. દિવાળીના તહેવારોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા મંદિરને મોટી આવક થઈ છે.

દિવાળીના દિવસથી સતત લાભ પાંચમ સુધી વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ પણ મીની વેકેશન માણ્યુ હોય તેમ લોકો વિવિધ સ્થળોની મુલાકાત લઇ કોરોના મહામારીને ભુલવાનો પ્રયાસ કર્યો હોય તેવું જોવા મળ્યુ હતુ. જોકે શક્તિપીઠ અંબાજી મંદિર ગત્ત વર્ષે કોરોના મહામારીને લઇ બંધ રહ્યુ હતુ. જેને લઇ મંદિરની આવકમાં પણ ઘટાડો થયો હતો. ચાલુ વર્ષે શ્રદ્ધાળુંઓનો ઘોડાપુર ઉમટી પડતાં દાન ભેટનાં ભંડાર પણ છલકાયેલાં જોવા મળ્યા હતા. સતત દિવાળીના તહેવારો બાદ આજે યાત્રાધામ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા મંદિરના ભંડારમાં આવેલી દાનભેટની ગણતરી હાથ ધરવામાં આવી હતી. જે વહેલી સવારથી શરૂ કરાતાં મોડી સાંજ સુધી આ ગણતરી ચાલી હતી.

માતાજીનું ભંડાર ગણવા 80 જેટલાં મંદિર ટ્રસ્ટના વિવિધ કર્મચારીઓ ભંડારાની ગણતરીમાં લાગ્યા હતા. સાથે નોટો ગણવાં મશીનનો પણ ઉપયોગ કરાયો હતો. મોડી સાંજ સુધી ચાલેલી આ ગણતરીમાં દિવાળીની સિઝન દરમીયાન મંદિર ટ્રસ્ટને રૂપીયા 96.36 લાખ રૂપિયા જેટલી માતબર રકમનું દાન શ્રદ્ધાળુંઓ દ્વારા મંદિર આપવામાં આવ્યું છે. જેમાં 67.19 છુટક ભંડારમાં જ્યારે 22.61 ભેટ કાઉન્ટર ઉપર અને 6.56 માતાજીની ગાદી ઉપર આમ કુલ 96.36 લાખનું દાન મંદિરને દિવાળી સિઝનમાં મળ્યુ છે. જ્યારે અંબાજી મંદિર ને સુવર્ણમય બનાવવાની પણ કામગીરી માટે સોના નું દાન સ્વીકારાઇ રહેલું છે ત્યારે દિવાળી ન સિઝન માં ભક્તો પોતાની આસ્થા પ્રમાણે મંદિર ટ્રસ્ટને દિવાળી ની સિઝન દરમીયાન 119 ગ્રામ સોનું તેમજ 2032 ગ્રામ ચાંદીનું દાન પણ મંદિરમાં ચઢાવાયું હતુ.

અંબાજી મંદિર ટ્રસ્ટમાં મોટી ભાગે ખોટી ચાંદીના દાગીના પણ મોટી સંખ્યા માં આવતાં હોય છે. ને પ્રસાદ પુજાપા નાં વેપારીઓ વિવિધ પ્રકાર ની ચાંદી ની ખોટી ખાખરો યાત્રીકો ને આપતાં હોય છે તે પણ મોટી માત્રા માં મંદિર માં ભરાવો થવા પામેલ છે. જે સાચી ચાંદી ના બદલે ખોટી ચાંદી ની ખાખર આવતાં મંદિર ટ્રસ્ટ ને મોટી નુકશાની નો સામનો કરવો પડે છે. એટલુંજ નહીં અંબાજી મંદિર માં તેટલીજ માત્રા માં પરચુરણ પણ શ્રદ્ધાળુંઓ ભંડાર માં નાખતાં હોય છે. તેનો પણ અંબાજી મંદિર ટ્રસ્ટ માં મોટો ભરાવો થવાં પામેલ છે. ને મંદિર ટ્રસ્ટ પાસે રૂપીયા 70 લાખ જેટલી પરચુરણ ભેગી થતાં જરૂરીયાત મંદોને ઘરે બેઠા પહોંચાડવાની પણ જાહેરાત કરાઇ છે.           

(4:58 pm IST)