Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ગાંધીનગરના પેથાપુરમાં પિતાએ તરછોડેલ સ્‍મીત નામના બાળકને દત્તક લેવાનો માર્ગ મોકળોઃ દત્તકની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશેઃ મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરપર્સન જાગૃતિબેન પંડયા

આખા ગુજરાતનું મન મોહી લેનાર માસુમ બાળકને કોણ દત્તક લેશે ? તે તરફ સૌનું ધ્‍યાન કેન્‍દ્રીત

ગાંધીનગર: ગાંધીનાગરના પેથાપુરમાં પિતા દ્વારા તરછોડી દેવાયેલા સ્મિત નામના બાળકે આખા ગુજરાતનું મન મોહી લીધુ હતું. તેના માસુમ ચહેરાને જોઈને અનેક લોકોએ તેને દત્તક લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે હવે લોકોની આ ઈચ્છા પૂરી થાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગરના પેથાપુરમાં ત્યજી દેવામાં આવેલા બાળક સ્મિતને દત્તક લેવાનો માર્ગ મોકળો થયો છે. સ્મિતને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ થશે તેવી માહિતી મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યાએ આપી છે. ત્યારે માસુમ સ્મિત કોના કુળદિપક બનશે તે ચર્ચાનો વિષય છે.

આરોપી પિતાએ બાળકને સરેન્ડર કર્યો

આરોપી પિતા સચિને બાળકને સરેન્ડર કરતા સ્મિતને નવો પરિવાર મળી શકે છે. જાગૃતિ પંડ્યાએ સ્મિત મામલે માહિતી આપી કે, ગાંધીનગરના પેથાપુરમાંથી મળેલા બાળકને દત્તક લેવાની પ્રક્રિયા આગામી દિવસોમાં શરૂ કરાશે. પિતા સચિન દીક્ષિતે બાળકને તેની માતાના સંબંધીઓને સોંપવા ઈન્કાર કર્યો છે. પિતા સચિને બાળકને સરેન્ડર કર્યું છે. તેથી હવે બાળકને દત્તક લઈ શકાશે.

સ્મિતને મૂકીને પિતા ફરાર થઈ ગયો હતો

પેથાપુરનો બાળકનો કિસ્સો બહુચર્ચિત છે. નવરાત્રિની રાત્રે એક તરફ ગરબા રમાતા હતા, ત્યાં બીજી તરફ બાળકને તેના જ પિતા દ્વારા તરછોડવામાં આવ્યો હતો. જેમાં ગાંધીનગર પોલીસે તેના માતાપિતાને શોધવા માટે આકાશપાતળ એક કરી દીધા હતા. આ મામલે ખુલાસો થયો હતો કે, પિતા સચિન દક્ષિતે પહેલા વડોદરામાં પત્નીની હત્યા કરી હતી, અને તેનો મૃતદેહ ફ્લેટમાં જ સંતાડ્યો હતો. તેના બાદ તે સ્મિતને લઈને ગાંધીનગરમાં આવ્યો હતો અને પેથાપુરમાં તેને તરછોડીને ભાગી ગયો હતો. સચિન દિક્ષિતને બીજો પણ પરિવાર હોવાથી તેણે પત્નીની હત્યા કરી હતી.

આજે નડિયાદમાં બાળક તરછોડાયું

જોકે, આજે ગુરુવારે સવારે નડિયા અનાથ આશ્રમ બહાર બાળકને તરછોડી દેવાની ઘટના બની છે. જેમાં બાળકની તબિયત નાદુરસ્ત હોવાથી તેને અમદાવાદની યુએન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. આ બાળકને હૃદયમાં કાણું હોવાની પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે. આ અંગે મહિલા અને બાળ વિકાસ આયોગના ચેરપર્સન જાગૃતિ પંડ્યાએ જણાવ્યું કે, આવી ઘટનાઓ વખોડવા લાયક છે. બાળકને સ્વાસ્થ્યના કારણે ત્યજ્યું હોઈ શકે છે. આવી ઘટનાઓ સમાજ માટે ચિંતાનો વિષય છે.

નડિયાદમાં બાળક તરછોડવાનો મામલે નડિયાદ ડિવિઝન પોલીસે 5 ટીમ બનાવી તપાસ હાથ ધરી છે. નડિયાદ શહેરના તમામ પીડિયાટ્રીક હોસ્પિટલમાં બાળકના ટેગ મામલે તપાસ કરાશે. બાળકના પગનું ટેગ કઈ હોસ્પિટલનું છે જાણવા પોલીસ મથી રહી છે. સમગ્ર મામલાની પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે.

(4:53 pm IST)