Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વચનામૃત માનવીને જીવન જીવવાનો રસ્તો દર્શાવે છે

વચનામૃત મહોત્સવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક હાજરી : વડતાલનો પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અંતર્ગત વિકાસ કરવા ખાતરી : મંદિર ચુકાદાથી સાંસ્કૃતિક ચેતના મજબૂત

અમદાવાદ,તા.૧૦ : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, ભગવાન સ્વામિનારાયણે સ્વંય ભક્તો સાથે સંવાદ કરીને વચનામૃતની રચના કરી હતી. વચનામૃત માનવીને જીવન જીવવાની દિશા આપે છે. વચનામૃત ગ્રંથ ગદ્ય સાહિત્ય સ્વરૂપે ગુજરાતને પ્રાપ્ત થયો છે, જે કાયમ માટે ગુંજતો રહેશે અને માનવ માત્રને તેમાથી પ્રેરણા મળતી રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા પ્રસિધ્ધ સ્વામિનારાયણ તીર્થધામ વડતાલ ખાતે કાર્તિકી સમૈયાના અવસરે વચનામૃત દ્ભિશતાબ્દી મહોત્સવમાં સહભાગી થયા હતા. મુખ્યમંત્રીએ વડતાલ મંદિરમાં શ્રી હરિકૃષ્ણ મહારાજના શ્રધ્ધા અને ભાવભક્તિ પૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીએ જ્ઞાન બાગ તેમજ ભગવાન સ્વામિનારાયણના જીવન પ્રસંગો, લીલા ચરિત્રો દર્શાવતા પ્રદર્શનને પણ ભાવપૂર્વક નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડતાલ માત્ર સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે પાવન પવિત્ર યાત્રાધામ નગરી છે. ભગવાન સ્વામિનારાયણે અહીં શિક્ષાપત્રીનું લેખન કર્યું હતું,

                 તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડતાલની ભૂમિ પર વર્ષો પહેલા ભગવાને વચનામૃતની રચના કરી એ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે. મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, ભગવાન સ્વામિનારાયણ રચિત વચનામૃત દ્ધારા દિવ્ય અને આધ્યાત્મિક ચેતના પ્રગટશે જેનું મહિમા ગાન સમગ્ર માનવજાત અને માનવ કલ્યાણ માટે ઉપકારક બની રહેશે. વચનામૃતના અલગ-અલગ ભાષામાં થઇ રહેલા રૂપાંતરને તેમણે સરાહનીય ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ પવિત્ર યાત્રાધામો અંબાજી, ડાકોર, સોમનાથ, દ્ધારિકા અને પાલિતાણાની જેમ વડતાલનો પવિત્ર યાત્રાધામમાં સમાવેશ થતાં રાજય સરકાર દ્ધારા વડતાલધામનો વિકાસ હાથ ધરવામાં આવ્યો છે. વડતાલનો પવિત્ર યાત્રાધામ હેઠળ વિકાસ હાથ ધરાતાં આવનાર સમયમાં વડતાલ સમગ્ર દેશ સહિત વિદેશોમાં રહેતા સ્વામિનારાયણ સંપ્રદાયના હરિ ભક્તો માટે આગવું તીર્થ સ્થળ બની રહેશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો હતો. મુખ્યમંત્રીએ સ્વને બદલે સમષ્ટિ, આત્માથી પરમાત્મા અને જીવથી શિવ સુધી આધ્યાત્મિક ચેતના પ્રગટે તે માટે સૌને નેક બની શ્રેષ્ઠ બની વિશ્વ ફલક ઉપર ગુજરાતની પ્રતિષ્ઠા-માન વધે તે માટે આગળ આવવા અનુરોધ કર્યો હતો.

(9:45 pm IST)