Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

છત્તીસગઢમાં યોજાનારા રાષ્ટ્રિય આદિવાસી નૃત્ય મહોત્સવમાં અતિથિ પદે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને નિમંત્રણ પાઠવતા છત્તીસગઢના મુખ્યમંત્રી

છત્તીસગઢના સંસદીય સચિવે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને પ્રત્યક્ષ મળીને પાઠવ્યું આમંત્રણ

રાજકોટ તા.૧૧ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને છત્તીસગઢ રાજ્યમાં આગામી તા.ર૮ ઓકટોબરથી યોજાનારા રાષ્ટ્રિય આદિવાસી નૃત્ય મહોત્સવમાં અતિથિ પદે ઉપસ્થિત રહેવાનું નિમંત્રણ છત્તીસગઢના મુખ્યમંત્રી શ્રી ભૂપેશ બધેલે પાઠવ્યું છે. 

ભારતની પ્રાચીનત્તમ આદિવાસી સંસ્કૃતિ અને નૃત્યના આ દ્વિતીય મહોત્સવ સાથે છત્તીસગઢનો ર૧ મો રાજ્યોત્સવ પણ રાયપૂર ખાતે તા.ર૮ ઓકટોબરથી તા.૧ નવેમ્બર-ર૦ર૧ દરમ્યાન યોજાવાનો છે.

આ ઉત્સવમાં દેશના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આદિજાતિ પારંપારિક નૃત્યો વિવાહ સંસ્કાર અને અન્ય પારંપારિક વિધિઓ અંતર્ગત બે તબક્કામાં પ્રસ્તુત થવાના છે. 

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવાનું ભાવભર્યુ નિમંત્રણ છત્તીસગઢના સંસદીય સચિવ સુશ્રી શકુંતલા શાહુ અને વિધાયક શ્રીમતી ઉન્નતી ગણપત જાંગડે એ ગાંધીનગરમાં પ્રત્યક્ષ મળીને પાઠવ્યું હતું. 

તેમણે ગુજરાતના આદિજાતિ કલાકારો આ મહોત્સવમાં સહભાગી થાય તે માટે પણ મુખ્યમંત્રીશ્રીને અનુરોધ કર્યો હતો.  

(4:12 pm IST)