Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

રાજ્ય સરકારની બિનસાંપ્રદાયિકતા પર પ્રશ્નાર્થ : હાઇકોર્ટે પૂછયું માત્ર મંદિરોનો જ વિકાસ કેમ?

અન્ય ધર્મોની અવગણના કેમ? : ૧૨ ડિસેમ્બરે થશે વધુ સુનાવણી

અમદાવાદ તા. ૧૧ : બુધવારે ગુજરાત હાઈકોર્ટે રાજય સરકાર પાસેથી સ્પષ્ટતા માગી કે, શા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ માત્ર હિંદુ ધર્મના જ પવિત્ર સ્થાનોનો વિકાસ કરવા માટે ફંડ આપે છે? ચીફ જસ્ટિસ આર. એસ. રેડ્ડી અને જસ્ટીસ વી.એમ પંચોલીની બેન્ચે સરકારના વકીલને આ મામલે સત્તાધિકારીઓ પાસેથી યોગ્ય સૂચનો મેળવી લાવવાનો આદેશ કર્યો છે. ગુજરાત સરકારની બિનસાંપ્રદાયિકતા સામે સવાલ ઉઠાવતી ભ્ત્ન્ના જવાબમાં હાઈકોર્ટે આ સ્પષ્ટતા માગી છે.

અરજીકર્તા મુજાહિદ નફીઝે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે ફંડ ફાળવણીમાં ઈસ્લામ, ખ્રિસ્તી, જૈન, શીખ, બુદ્ઘ અને જરથ્રુષ્ટ ધર્મને બાકાત રાખીને માત્ર હિંદુ ધર્મના ૩૫૮ પવિત્ર સ્થાનોના જ વિકાસ માટે ફંડ ફાળવ્યું હોવાની રજૂઆત કરી છે. અરજીકર્તાના વકીલ કે. આર. કોષ્ટીએ દલીલ કરી કે, માત્ર એક જ ધર્મના ધાર્મિક સ્થાનોને મહત્વ આપવું અને અન્ય ધર્મના ધાર્મિક સ્થાનોની અવગણના કરવી તે ગેરકાયદેસર અને ભારતના બંધારણનું હનન ગણાય.

ભ્ત્ન્માં રજૂઆત કરાઈ કે, રાજય સરકાર તરફથી બિનસાંપ્રદાયિકતાની આશા રાખવામાં આવી છે એટલે સરકાર રાજયના દરેક ધર્મના નાગરિકો દ્વારા ચૂકવવામાં આવેલા ટેકસને એક જ ધર્મના પવિત્ર સ્થાનોના વિકાસ અને મેનટેનન્સ પાછળ ન વાપરી શકે. જનતાના રૂપિયા કોઈ એક જ ધર્મના ધાર્મિક સ્થાનોના પ્રોત્સાહન અને જાળવણી પાછળ ન વપરાવવા જોઈએ. અરજીકર્તાએ રાજય સરકારે હિંદુ ધાર્મિક સ્થળો પાછળ કરેલા ખર્ચા પણ કોર્ટમાં રજૂ કર્યા છે, એક જ ધર્મના પવિત્ર સ્થળો પાછળ ખર્ચો કરવો બોર્ડના નિયમો વિરુદ્ઘ છે.

પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનું ફંડ યાત્રાળુઓ માટે ધાર્મિક સ્થાનો પર સુવિધા ઊભી કરવા માટે છે નહીં કે મંદિરની જાળવણી માટે. પવિત્ર યાત્રધામ વિકાસ બોર્ડની રચના ૧૯૯૫માં થઈ અને તેના બે વર્ષ બાદ અંબાજી, ડાકોર, ગિરનાર, પાલીતાણા, સોમનાથ અને દ્વારકાને 'પવિત્ર યાત્રાધામ' જાહેર કરવામાં આવ્યા. અને હવે લગભગ બે દાયકાથી વધુ સમય બાદ આ લિસ્ટમાં ૩૫૮ મંદિરોનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં અન્ય ધર્મના પવિત્ર સ્થળોને બાકાત રાખવામાં આવ્યા, જે સરકારના બિનસાંપ્રદાયિકતા સિદ્ઘાંતો પર પ્રશ્નાર્થ મૂકે છે. આ મામલે વધુ સુનાવણી ૧૨ ડિસેમ્બરે થશે.(૨૧.૨૫)

 

(3:56 pm IST)