Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

જન્માષ્ટમી, ગણેશોત્સવ અને તાજીયા જુલુસ ઉપર પ્રતિબંધ

અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા જાહેરનામુ : શ્રાવણ મહિનામાં તહેવારોની ઉજવણી સામાન્ય વર્ષોમાં થતી હોય તેવો માહોલ આ વર્ષે અમદાવાદમાં નહીં દેખાય

અમદાવાદ, તા.૧૧ : શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો માનવામાં આવે છે પરંતુ વર્ષે કોરોના વાયરસની મહામારીની અસર તહેવારો પર પણ વર્તાઈ રહી છે. હવે આગામી સમયમાં આવી રહેલા જન્માષ્ટમી, ગણેશોત્સવ, રામાપીરનો મેળો, તાજીયા વગેરે તહેવારોમાં યાત્રા, સરઘસ તથા શોભાયાત્રા જેવી પ્રવૃત્તિઓ પર શહેરના પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામાનો ભંગ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરશે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, શહેરમાં કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને સંક્રમણ વધારે ફેલાતું અટકાવવા માટે તથા લોકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

           કમિશનરે જણાવ્યું છે કે જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આદેશનું ઉલ્લંઘન કરનારી વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે. મહત્વનું છે કે, આગામી દિવસોમાં જન્માષ્ટમી, ગણેશોત્સવ, રામાપીરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો, મહોરમના તહેવારો વગેરે આવી રહ્યા છે જેમાં લોકો ભેગા થાય તેવી પ્રવૃત્તિઓ ટાળવા માટે જણાવવામાં આવ્યું છે. સાથે પદયાત્રિકો માટે સેવા કેમ્પો બનાવવામાં આવતા હોય છે તેના પર પણ પ્રતિંબધ લાદવામાં આવ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું છે કે, પ્રતિબંધોમાં ગણેશ પંડાલનો પણ સમાવેશ થાય છે. એટલે કે જાહેરમાં ગણેશ પંડાલ ઉભા નહીં કરી શકાય. સાથે ફૂટથી મોટી ગણેશ મૂર્તિની સ્થાપના નહીં કરી શકાય અને મૂર્તિનું વિસર્જન પણ ઘરમાં કરવું પડશે. પૂજા પછી મૂર્તિને રસ્તા પર પર બિનવારસી હાલતમાં છોડનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.

(7:35 pm IST)