Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ગેસ સબસીડી ખાતામાં જમા થવામાં ધાંધિયા થઈ રહ્યા છે

રાજયભરના ગ્રાહકોમાં ઉઠી રહેલી વ્યાપક ફરિયાદોઃ લાખો ગ્રાહકોના હિતમાં સબસીડીની રકમ ત્વરિત ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવા માટેની માંગણી કરાઈ

અમદાવાદ, તા.૧૧: કેન્દ્ર સરકારની ઓઇલ કંપનીઓ એકબાજુ દર મહિને રસોઇ ગેસના બાટલામાં અસહ્ય ભાવવધારો ઝીંકી રહી છે ત્યારે તા.૧લી ઓગસ્ટથી એલપીજી સિલિન્ડરનો નવો ભાવ રૂ.૭૮૭.૫૦એ પહોંચ્યો છે, જેને લઇ રાજયભરના લાખો ગ્રાહકો ખાસ કરીને મહિલાઓ-ગૃહિણીઓ ઓઇલકંપનીઓની આ ઉઘાડી લૂંટથી ત્રસ્ત બની છે. બીજીબાજુ, એલપીજી સિલિન્ડરમાં અપાતી રૂ.૨૮૪ની સબસીડી બારોબાર ગ્રાહકોના ખાતામાં જમા નિયમિત રીતે જમા થતી નહી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. અમદાવાદ સહિત રાજયભરમાં એલપીજી સિલિન્ડરની સબસીડીની રકમ ગ્રાહકોના ખાતામાં જમા થવામાં ધાંધિયા સર્જાયા છે, જેને લઇ ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આ મામલે રાજય સરકારને તાત્કાલિક દરમ્યાનગીરી કરી રાજયના લાખો ગ્રાહકોના હિતમાં રસોઇ ગેસની સબસીડીની રકમ ત્વરિત ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવા ઉગ્ર માંગણી કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગેસ એજન્સીઓ દ્વારા ગ્રાહકોના એલપીજી આઇડીનો ૧૭ ડીજીટના નંબરનું ફોર્મ ભરી, આધારકાર્ડ સાથે લીંક કરી જે તે બેંકમાં સબમીટ કરાવવાનું હોય છે, પરંતુ તેમછતાં વિવિધ કારણોસર બેંકોમાં ગ્રાહકોના ખાતામાં નિયમિત રીતે સબસીડીની રકમ જમા થતી નથી. જેના કારણે ગ્રાહકોને ભારે નુકસાની ભોગવવી પડી રહી છે. વળી, રાજયભરમાં આ પ્રકારે ગ્રાહકદીઠ સબસીડીની રકમ જમા થતી નહી હોવાનો આંક ગણવા જઇએ તો, લાખો રૂપિયાની રકમ થવા જાય છે, તો તેની ભરપાઇ માટે કોની જવાબદારી ઠરે છે. સરકારી એજન્સી વચ્ચે સંકલનના અભાવે ઓઇલ કંપનીઓ, બેંકો અને ગેસ એજન્સીઓના ધરમધક્કા ખાવા ગ્રાહકો મજબૂર બન્યા છે, ખાસ કરીને ગૃહિણીઓ-મહિલાઓની હાલત ભારે કફોડી બની છે. ગ્રાહક સુરક્ષા અને પગલા સમિતિના પ્રમુખ મુકેશ પરીખે આ સમગ્ર મામલે રાજય સરકાર સમક્ષ તાત્કાલિક દરમ્યાનગીરી કરી રાજયના લાખો ગ્રાહકોના હિતમાં રસોઇ ગેસની સબસીડીની રકમ ત્વરિત ખાતામાં જમા થાય તેવી વ્યવસ્થા ગોઠવવા ઉગ્ર માંગણી કરી છે. તેમણે એ બાબતે પણ સરકારનું ધ્યાન દોર્યું છે કે, રસોઇ ગેસનો બાટલો કાળાબજારમાં રૂ.એક હજાર કે તેનાથી પણ વધુ રકમમાં ખુલ્લેઆમ વેચાય છે અને બીજીબાજુ, સીલંબંધ બોટલમાંથી પેન્સિલ કે બંસરી વડે બેથી ત્રણ કિલો ગેસની ચોરી તોલમાપમાં બેફામ લૂંટ ચલાવાય છે. આ અંગે રાજયના પુરવઠા વિભાગ, જિલ્લા કલેકટર, ફુડ કન્ટ્રોલર કે કાનૂની માપવિજ્ઞાન તંત્ર સહિતના સત્તાધીશોને પણ ફરિયાદ કરવા છતાં કોઇ પગલાં લેવાતા નથી તો આ મામલે પણ સરકારે અસરકારક અને પરિણામલક્ષી વ્યવસ્થા તંત્ર ગોઠવવું જોઇએ કે જેથી ગ્રાહકો છેતરામણીનો ભોગ ના બને. સમિતના પ્રમુખ મુકેશ પરીખે ગ્રાહક સુરક્ષા ધારા અન્વયે રસોઇ ગેસની વિવિધ ફરિયાદોને લઇ ગ્રાહકો આર્થિક નુકસાની બાબતે વળતર અને ન્યાય મેળવી શકે તે માટે ગ્રાહક કોર્ટોનો સહારો લેવા ગ્રાહકોને અનુરોધ કર્યો હતો.

(10:09 pm IST)