Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

અનૈતિક સંબંધમાં સુરતના કતારગામમાં પતિએ પિત્રાઇની મદદ લઇને પત્નીની હત્યા કરીઃ લૂંટના ઇરાદે મહિલાની હત્યા થયાનું નાટક કર્યુ હતુ

સુરતઃ સુરતમાં કતારગામ ખાતે આવેલા રણછોડનગરમાં ગુરુવારે થયેલી હત્યામાં પતિ હત્યારો હોવાનો ખુલાસો થયો છે. મળી રહેલી માહિતી પ્રમાણે 28 વર્ષીય મહિલાની પતિએ તેના પિતરાઇ સાથે મળીને હત્યા કરી નાખી હતી. ક્રાઇમ બ્રાંચની પૂછપરછ દરમિયાન પતિના પિતરાઇએ પોતાનો ગૂનો કબૂલ કરી લીધો છે. જોકે, મહિલાનો પતિ મનોજ ચોટલિયા હજી હત્યા કર્યાનો ઇન્કાર કરી રહ્યો છે.

કેસમાં એવી વિગત ખુલી છે કે અનૈતિક સંબંધને લઈને રિયા અને મનોજ (પતિ-પત્ની) વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. મનોજ બપોરે જમવા આવ્યો ત્યારે હત્યાકાંડને અંજામ આપ્યો હતો. બાદમાં તે ઘરેથી નાસી છૂટ્યો હતો. મનોજે તેની પત્ની રિયાને ગળેફાંસો આપ્યો હતો જ્યારે તેના પિતરાઇએ તેનું મોઢું પકડી રાખ્યું હતું.

શું હતો બનાવ?: ગુરુવારે સુરત શહેરમાં લૂંટના ઇરાદે એક મહિલાની હત્યા કરી નાખવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો. એવી માહિતી સામે આવી હતી કે કોઈ અજાણ્યા શખ્સોએ મહિલાના ઘરમાં ઘૂસીને તેનું ગળું દબાવી દીધું હતું. મહિલાના મોત બાદ તેની બે વર્ષની દીકરીએ માતાની મમતા ગુમાવી દીધી હતી. કેસમાં પોલીસ ઘરકંકાસના પાસાને ધ્યાનમાં રાખીને ઘરના કોઈ સભ્યએ હત્યા નથી કરીને તે દિશામાં તપાસ કરી હતી.

રોકડ અને ઘરેણાની લૂંટઃ ગુરુવારે કતારગામના રણછોડનગરમાં બાલાજી કોમ્પ્લેક્સના ફ્લેટ નંબર 303માં રહેતી રિયા (ઉ.વ.28)ની તેના ઘરમાં ગળું દબાવીને હત્યા કરી નાખવામાં આવી હતી. અજાણ્યા શખ્સોએ રિયાની હત્યા કરી ઘરમાં રૂ. 15 હજારની રોકડ અને ઘરેણાની લૂંટ ચલાવી હતી. રિયા તેમજ તેનો પતિ મનોજ ચોટલિયા મૂળ સાવરકુંડલાના વતની હતા.

પતિ ઘરે આવતા મોતનો ખુલાસો થયોઃ રિયાનો પતિ મનોજ સુરતમાં રહીને કડિયાકામ કરે છે. ગુરુવારે તે ઘરે આવ્યો ત્યારે તેને ખબર પડી હતી કે તેની પત્નીની કોઈ અજાણ્યા શખ્સોએ હત્યા કરી નાખી છે. પતિ બપોરે ઘરેથી નીકળ્યો હતો તેમજ સાંજે સાત વાગ્યે ઘરે પરત ફર્યો હતો. જોકે, અંતે તેણે હત્યા કર્યાનો ખુલાસો થયો છે.

(5:31 pm IST)