Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામે પરિણીતાનું બે શખ્સોએ અપહરણ કરી 25 દિવસ સુધી અત્યાચાર ગુજારતા પોલીસ ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી

આણંદ:જિલ્લાના ઉમરેઠ તાલુકાના રતનપુરા તાબે આવેલ દેવરામપુરાની એક પરિણીતાનું બે શખ્શોએ ઈકો કારમાં અપહરણ કરી કચ્છના રાપર ખાતે લઈ જઈ એક ઓરડીમાં ગોંધી રાખી ૨૫ દિવસ સુધી જાતીય અત્યાચાર ગુજાર્યો હોવાના બનાવે નાનકડા ગામમાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે ઉમરેઠ પોલીસે બે શખ્શો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રતનપુરા તાબેના દેવરામપુરા ખાતે રહેતી એક ૨૦ વર્ષીય યુવતીના લગ્ન એક વર્ષ પૂર્વે ઓડ ગામે થયા હતા. દરમ્યાન પરિણીતા પોતાના પિયર આવતા ગત તા.૨૯મી જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ દેવરામપુરા ખાતે રહેતો મહેશ શંકરભાઈ રાઠોડ તથા તેનો મિત્ર હસમુખ રાવજીભાઈ ભોઈ ઈકો કાર લઈને આવી પહોંચ્યા હતા અને પરિણીતાની છેડતી કરી જબરદસ્તીથી કારમાં બેસાડી અપહરણ કરી લઈ ગયા હતા. અપહરણ કર્યા બાદ આ બંને શખ્શો તેણીને કચ્છના રાપર મુકામે લઈ ગયા હતા. જ્યાં એક ઓરડીમાં ૨૫ દિલસ ગોંધી રાખી મહેશભાઈ રાઠોડે તેણીની સાથે અનેકવાર જાતીય અત્યાચાર ગુજાર્યો હતો. બીજી તરફ પરિવારજનોએ પરિણીતાની શોધખોળ કરતા તેણી કચ્છ ખાતે હોવાની માહિતી મળતા પરિવારના સભ્યો ત્યાં પહોંચ્યા હતા. જો કે મહેશ રાઠોડે પરિણીતાને તુ તારા પતિ પાસેથી છુટાછેડા લઈ લેજે નહી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી છોડી દીધી હતી. જે તે વખતે આ યુવતીએ આ અંગે કોઈ ફરિયાદ કરી ન હતી. પરંતુ ગતરોજ પરિણીતાએ ઉમરેઠ પોલીસ મથકે પહોંચી ફરિયાદ આપતા પોલીસે મહેશ રાઠોડ અને મદદગારી કરનાર હસમુખ ભોઈ વિરૂધ્ધ ગુનો નોંધી બંનેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:32 pm IST)