Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

ગુજરાતમાં કોરોના બાદ મ્યુકરમાઇકોસિસનો કહેર વધ્યો : 800થી વધુ કેસ નોંધાયા : તંત્ર એલર્ટ મોડમાં

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 125 દર્દી અને રાજકોટમા 25 દર્દીઓ સારવાર હેઠળ

અમદાવાદ : રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થનારા લોકોમાં મ્યુકર માઇકોસિસ નામની બીમારી ફેલાઇ રહી છે. યોગ્ય સમયે સારવાર કરવામાં ના આવે તો આ બીમારી જીવલેણ સાબિત થઇ શકે છે. ગુજરાતમાં અનેક શહેરોમાં મ્યુકર માઇકોસિસનું પ્રમાણ વધતા લોકોએ પોતાની આંખો ગુમાવવાનો વારો આવ્યો છે. મ્યુકર માઇકોસિસની બીમારી એટલી ગંભીર છે કે દર્દીને સીધા આઇસીયુમાં શિફ્ટ કરવા પડે છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણની બીજી લહેર બાદ મ્યુકર માઇકોસિસનો ખતરો જોવા મળી રહ્યો છે. કોરોના વાયરસની બીજી લહેરમાં વધુ એક બીમારી પોતાનો કહેર મચાવી રહી છે જેનું નામ મ્યુકર માઇકોસિસ છે, તેને બ્લેક ફંગસ પણ કહેવામાં આવે છે. કોરોનાથી સ્વસ્થ થનારા લોકોમાં મ્યુકર માઇકોસિસની બીમારી જોવા મળી રહી છે. ગુજરાતમાં મ્યુકર માઇકોસિસના 800થી વધારે કેસ જોવા મળી રહ્યા છે. દેશ અત્યારે કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે ત્યારે મ્યુકર માઇકોસિસ નામના જીવલેણ વાયરસે કહેર મચાવવાનું શરૂ કર્યુ છે. કોરોના પછી મ્યુકર માઇકોસિસનો ખતરો વધી રહ્યો છે.

આ બીમારી કોરોનામાંથી સ્વસ્થ થનારા લોકોને થઇ રહી છે, જે દર્દીને કોરોનાના નજીકના સમયમાં બીમારી થઇ હોય તથા દર્દીને ડાયાબીટીસ હોય કે કોરોનાની સારવાર દરમિયાન દર્દીને સ્ટેરોઇડ આપવામાં આવ્યા હોય અને દર્દીનું બ્લડશુગર લેવલ કંટ્રોલમાં ના હોય તો દર્દીનું ઇમ્યુનિટી પ્રમાણ ઓછુ થવાથી મ્યુકોર માઇકોસિસ બીમારી થવાનો ભય રહે છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 125 દર્દી મ્યુકરમાઇકોસિસની સારવાર લઇ રહ્યા છે. અમદાવાદ સિવિલમાં દરરોજ 12 કેસ આ બીમારીના નોંધાઇ રહ્યા છે. મ્યુકર માઇકોસિસથી 30 ટકા દર્દીના મોત થાય છે. જોકે, દર્દી વહેલા સારવાર માટે પહોચી જાય તો મૃત્યુની ટકાવારી નહીવત છે.

બીજી તરફ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ મ્યુકર માઇકોસિસની બીમારીમાં વધારો થઇ રહ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં આ બીમારીના 25 કેસ નોંધાયા છે. રાજકોટમાં 150 જેટલા દર્દી અલગ અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.મ્યુકર માઇકોસિસ માટે 100 જેટલા બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

વડોદરામાં પણ આ બીમારી સામે લડવા માટે તંત્ર સજ્જ બન્યુ છે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસ સામે લડવા માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યો છે તેમજ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. ઇએનટી વિભાગના વોર્ડ નંબર-19ને મ્યુકર માઇકોસિસ વિભાગમાં ફેરવવામાં આવ્યો છે. ટાસ્ક ફોર્સમાં 9 તબીબોની નિમણૂંક કરવામાં આવી છે. મેડિસિન વિભાગના વડા રૂપલ દોશીને ટાસ્ક ફોર્સના નિયંત્રણ અધિકારીની જવાબદારી સોપવામાં આવી છે.

(12:43 pm IST)