Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

વિફરેલી એક ગાયે શિંગડાથી મારતા વૃદ્ધનું કરૂણ મોત થયું

શહેરમાં રખડતા ઢોરોના ત્રાસના કિસ્સા વધ્યા :મૃતકના પરિવારને તાત્કાલિક યોગ્ય વળતર ચૂકવવા માટે વિપક્ષ કોંગ્રેસની માંગ : જવાબદાર સામે પગલાંની ખાતરી

અમદાવાદ,તા. ૧૧ : અમદાવાદમાં રખડતા ઢોરના ત્રાસથી સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. એવો જ એક કિસ્સો શહેરના વિનોબાભાવેનગરમાં બન્યા છે. જ્યાં એક વિફરેલી ગાયે વૃદ્ધને શિંગડાથી ઉછાળી-ઉછાળીને જીવ લીધો હતો. ૬૨ વર્ષીય ગોપીનાથ તિવારી તેમના પરિવારના સભ્યો સાથે બસ સ્ટેન્ડ તરફ જઈ રહ્યા હતા તે સમયે એક ગાયે તેમને અડફેટે લીધા હતા. ગાયે ૧૫થી ૨૦ મિનિટ સુધી સતત તેમના પર હુમલો કરતી રહી હતી. ગોપીનાથના પુત્રએ અને આસપાસના લોકો તેમને બચાવવા માટેના કેટલાક પ્રયાસો કર્યા હતા. વિફરેલી ગાયે વૃદ્ધને શિંગડાથી ઉછાળતાં અને જોરદાર રીતે જમીન પર પટકાતા વૃદ્ધને ગંભીર ઈજાઓ થતાં તેમનું કરૂણ મોત નીપજયું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી. હજુ ચાર દિવસ પહેલાં જ ઓઢવ રબારી વસાહતમાં રહેતી એક વૃધ્ધાને ગાયે શિંગડુ ભરાવી ઉછાળતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી ત્યાં આજે આ બીજો ગંભીર બનાવ સામે આવતાં શહેરભરમાં ફરી એકવાર રખડતા ઢોરોના ત્રાસનો મુદ્દો ચગ્યો હતો અને નગરજનોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ખુદ ગુજરાત હાઇકોર્ટના તત્કાલીન વરિષ્ઠ ન્યાયમૂર્તિ જસ્ટિસ એમ.આર.શાહે રખડતા ઢોરાના ત્રાસના મુદ્દે કાયમી નિરાકરણ લાવવા અમ્યુકો તંત્ર અને રાજય સરકારને મહત્વના નિર્દેશો જારી કરેલા છે પરંતુ તેનું સાચા અર્થમાં પાલન નહી થતાં આજે આ પરિસ્થિતિ આવીને ઉભી છે. શહેરના વિનોબાભાવેનગર ખાતે આજે ૬૨ વર્ષીય ગોપીનાથ તિવારીને એક ગાયે આજે અચાનક તેના શિંગડામાં ભેરવી ઉંચે ઉછાળી જમીન પર જોરથી પટકયા હતા, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થતાં તેઓને તાત્કાલિક નજીકની મણિનગરની એલજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કયાહતા. ત્યારબાદ તેમનો મૃતદેહને પીએમ માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અમદાવાદમાં રખડતા ઢોરનો ત્રાસ એક કાયમી સમસ્યા છે. જેના નિરાકરણ માટે તંત્ર હમેશા નિષ્ફળ રહ્યું છે. ગોપીનાથ તિવારીના પુત્રએ જણાવ્યાં મુજબ તેના બહેન અને જીજાજી ગામડે જઈ રહ્યાં હતા. જેથી બધા તેમને બસ સ્ટેન્ડ પર મુકવા ગયા હતા. તેમને મુકીને પરત ઘરે જઈ રહ્યાં હતા તે સમયે એક ગાય તેમના પર પાછળથી હુમલો કર્યો હતો. તેમને નીચે પાડીને તેમના પર સતત હુમલો કરતી રહી હતી. ગાયના હુમલાથી વૃદ્ધના મૃત્યુ મામલે હેલ્થ કમિટી ચેરમેન પરેશ પટેલે વિવાદ ખાળવાના પ્રયાસ કરતાં જણાવ્યું હતું કે, આ ઘટના ગંભીર છે. સમગ્ર તપાસ બાદ જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાશે, તો બીજી તરફ અમ્યુકો વિપક્ષ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ ભાજપ સરકાર પર ગંભીર આરોપ કરતા જણાવ્યું હતું કે આ ઘટનામાં ભાજપના શાસકો અને તંત્રની ઘોર બેદરકારી છે. ખુદ ગુજરાત હાઇકોર્ટની ફટકાર અને વારંવારના મહ્ત્વના આદેશો બાદ પણ તંત્ર ઉંઘી રહ્યું છે. જવાબદાર અધિકારી સામે પગલા લેવાની અને મૃતકના પરિવારને વળતર આપવા પણ તેમણે માંગ કરી હતી.

(8:23 pm IST)