Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

સાબરમતી જેલની મહિલા કેદીઓને રોજગારી મળશે

હવે મહિલા કેદીઓ સેનેટરી નેપકીન બનાવશે; મહિલા કેદીનું રચનાત્મક કાર્ય : કર્મા ફાઉન્ડેશનના નેજા હેઠળ નવજીવન ટ્રસ્ટ દ્વારા મહિલા કેદીને રોજગારી મળી

અમદાવાદ,તા. ૧૧, ગુજરાતની જેલોના ઇતિહાસમાં સૌપ્રથમવાર સાબરમતી સેન્ટ્રલ જેલની મહિલા કેદીઓ હવે સેેનેટરી નેપકીન બનાવશે. જાણીતી સ્વૈચ્છિક સંસ્થા કર્મા ફાઉન્ડેશનના નેજા હેઠળ નવજીવન ટ્રસ્ટ અને જેલ સત્તાધીશોના સહયોગથી સાબરમતી જેલની મહિલા કેદીઓને રોજગારી મળી છે. સાબરમતી જેલની મહિલા કેદીઓ દ્વારા ઉત્પાદિત આ સેનેટરી નેપકીન આરોગ્યપ્રદ અને હાયજેનીક હોવાની સાથે સાથે બાયોડિગ્રેડેબલ પણ હશે. એટલું જ નહી, આ સેનેટરી નેપકીન રાજયની તમામ જેલોમાં મહિલા કેદીઓને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. બાદમાં તબક્કાવાર રીતે ગુજરાતના ૧૪ હજાર ગામડાઓમાં મહિલાઓને આ સેનેટરી નેપકીન એકદમ નજીવા દરે ઉપલબ્ધ બનાવવામાં આવશે એમ અત્રે કર્મા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રિયાંશી પટેલ, નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇ અને સાબરમતી જેલ સુપ્રિટેન્ડન્ટ વી.એચ.ડિંડોરે જણાવ્યું હતું. સાબરમતી જેલમાં સેનેટરી નેપકીન બનાવવાના પ્રોજેકટનું ઉદ્દઘાટન તા. ૭મી મેના રોજ ગુજરાતની જેલોના વડા ટી.એસ.બીસ્ટના હસ્તે કરવામાં આવ્યુ હતું. કર્મા ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી પ્રિયાંશી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, છ મહિના પહેલા જયારે હું પહેલી વખત અમદાવાદની સાબરમતી જેલની મહિલા બેરેકની મુલાકાતે ગઈ ત્યારે મને બહુ આધાત લાગ્યો હતો, કારણ  મહિલા બેરેકમાં રહેલી મહિલા કેદીઓ પાસે કહી શકાય તેવુ કોઈ ખાસ કામ જ નહોતુ. ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ દ્વારા મને એક વિચાર આપવામાં આવ્યો હતો કે કર્મા ફાઉન્ડેશન મહિલા બેરેકમાં રહેલી મહિલા કેદીઓ તાલીમ અને રોજગાર આપી શકે છે. મહિલા બેરેકમાં રહેલી મહિલાઓ સેનેટરી  નેપકીન બનાવવાનું યુનિટ શરૂ કરવામાં આવે તો મહિલા કેદીઓની પ્રવૃત્તિની સાથે રોજગારી પણ મળશે, બીજી તરફ માસીક ધર્મ વખતે સામાન્યમાં સામાન્ય સ્ત્રીઓને સ્વચ્છ સેનેટરી નેપકીન મળે તે દીશામાં પણ કામ થશે. જેથી અમે સાબરમતી જેલમાં મહિલા કેદીઓને સેનેટરી નેપકીન બનાવવાનું કામ આપી રોજગારી અને પગભર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. રૂ.૫.૫૦ લાખના ખર્ચે નેશનલ ઇનોવેટીવ ફાઉન્ડેશન પાસેથી સેનેટરી નેપકીન બનાવવાનું મશીન ખરીદવામાં આવ્યું. હાલ પ્રાથમિક તબક્કે આ યુનિટમાં સાબરમતી જેલની ૧૨ મહિલા કેદીઓ સેનેટરી નેપકીન બનાવવાનું કામ કરશે. મહિલા કેદીઓ દ્વારા પ્રતિદિન ચાર હજાર સેનેટરી નેપકીન બનાવી શકાશે. આ કામ માટે તેમને કર્મા ફાઉન્ડેશન દ્વારા યોગ્ય મહેનતાણું પણ ચૂકવવામાં આવશે અને તેમને જીવનમાં પગભર બનવાની તક પૂરી પડાશે. રાજયની તમામ જેલોની મહિલા કેદીઓને આ સેનેટરી નેપકીન મફત અપાશે. બાદમાં આ સેનેટરી નેપકીન ગુજરાતના ૧૪ હજાર ગામોમાં મહિલાઓને આઠ સેનેટરી પેડનું એક પેકેટ માત્ર રૂ.૧૭માં ઉપલબ્ધ બનાવવામાં આવશે. સંસ્થા દ્વારા મહિલાઓને પહેલા તો એ વાતની જાગૃતિ અપાશે કે, તેઓ સેનેટરી પેડનો ઉપયોગ કેમ કરે, કેવી રીતે કરે અને તેનો નિકાલ કેવી રીતે કરે. તેની પૂરતી સમજ બાદ મહિલાઓને તે વિતરણ કરાશે. દરમ્યાન જેલ સુપ્રિટેન્ડન્ટ વી.એચ.િંડંડોર અને નવજીવન ટ્રસ્ટના વિવેક દેસાઇએ જણાવ્યું કે, સાબરમતી જેલમાં હાલ ૧૫૦ જેટલી મહિલા કેદીઓ છે. જેલમાં રહેલી મહિલાઓને માત્ર જેલમાં જ કામ મળે તે આ પ્રોજેકટનો ઉદ્દેશ નથી, પણ જેલમાંથી પોતાની સજા પુરી કરી બહાર આવનાર મહિલા પગભર થાય અને પોતે પણ આ પ્રકારનો વ્યવસાય કરી શકે છે, તેવો આત્મવિશ્વાસ તેમનામાં  ઉભો થાય તેવો પ્રયાસ છે. ગુજરાતની જેલોના ઇતિહાસમાં મહિલા કેદીઓના રચનાત્મક કાર્યની આ સૌપ્રથમ ઘટના છે. ભવિષ્યમાં રાજયની અન્ય જેલોમાં પણ સેનેટરી નેપકીન બનાવવાના યુનિટ સ્થાપી ત્યાંની જેલોની મહિલા કેદીઓને પણ રોજગારી પૂરી પાડી પગભર બનાવાશે.

(10:35 pm IST)