Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

કોંગ્રેસે અલ્પેશ પર વિશ્વાસ કરી ટીકીટ આપી ધારાસભ્ય બનાવ્યા : રાજીનામાના શબ્દો દુર્ભાગ્ય પૂર્ણ

ઠાકોર સમાજે અનેકને રાજકીય નેતા બનાવ્યા : પક્ષ વ્યકિતગત સ્વાર્થ માટે નથી હોતા : અમિત ચાવડા : અલ્પેશ ઠાકોરના નિર્ણયથી સમાજ દુઃખી : પત્રની ભાષા કોંગ્રેસના કાર્યકરોનું અપમાન

અમદાવાદ તા. ૧૧ : અલ્પેશ ઠાકોરના રાજીનામા પત્રને લઇને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પત્રકાર પરિષદ યોજી કહ્યું કે, અલ્પેશ ઠાકોરે રાજીનામાનો પત્ર જે લખ્યો અને પત્રકાર પરિષદમાં જે વાત કરી તે દુર્ભાગ્યપૂર્ણ છે. ઠાકોર સમાજ ખુબ સમજુ અને સારો સમાજ છે. અનેક રાજકીય વ્યકિતને આ સમાજે નેતા બનાવ્યા છે. વિધાનસભા સુધી પહોચ્યા તેનું મુખ્ય કારણ ઠાકોર સમાજ જ છે. વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ પક્ષે તેમના પર વિશ્વાસ કર્યો અને તમને ટીકીટ આપી હતી. તેમના લોકોને ટીકીટ આપી અને ધારાસભ્ય બનાવ્યા હતા.ઙ્ગ

બિહાર જેવા મોટા પ્રદેશના તેમને પ્રભારી બનાવ્યા છતા તેમણે પક્ષની વિચારધારાને સાથ નથી આપ્યો. તમામ કાર્યકરોએ પક્ષના નિર્ણયને અનુસરવા પડે છે. પક્ષમાં આપણે કહીએ એવું કયારેક શકય ન પણ બને. અલ્પેશ ઠાકોર સાથે પક્ષે પ્રોત્સાહન આપ્યું છે. ઙ્ગઅલ્પેશ ઠાકોરે રાજીનામા પત્રમાં જે ભાષાનો ઉપયોગ કર્યો તે અયોગ્ય છે.

ઠાકોર સમાજના પાયાના લોકોને પણ અલ્પેશ ઠાકોરના આ નિર્ણયથી દુખી થયા છે. અલ્પેશ ઠાકોર પ્રદેશ અને પ્રભારી પર સીધા આક્ષેપ કર્યા હતા તેના જવાબમાં કહ્યું કે, અલ્પેશ ઠાકોરને પક્ષ દ્વારા ધણું મહત્વ આપવામાં આવ્યું છે. કોઇ પણ પક્ષ વ્યકિતગત સ્વાર્થ માટે નથી હોતો.

અલ્પેશ ઠાકોરના નિર્ણયથી અને પત્રમાં લખેલી ભાષાથી કોંગ્રેસના પાયાના કાર્યકરોનું અપમાન થયું છે. જે સમાજે આપણને આટલા મોટા કર્યો અને નેતા બનાવ્યા હોદ્દા આપાવ્યા તે સમાજનું અલ્પેશ ઠાકોરે અપમાન કર્યું છે. અમિત ચાવડાને પૂછવામાં આવ્યું કે લોકસભાની ચૂંટણીમાં અલ્પેશના રાજીનામાંની શું અસર થશે? આ અંગે જવાબ આપતા તેમણે કહ્યું કે, કોંગ્રેસના તમામ કાર્યકરો લોકસભાની ચૂંટણી માટે ભાજપને પડકાર આપવા માટે તૈયાર છે. કોંગ્રેસ પાર્ટી કાર્યકારોની પાર્ટી છે અને કાર્યકરો જ નેતા બનાવે છે.

(11:28 am IST)