Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

વકીલોની વિવિધ માંગને લઇ કલેકટરને આવેદનપત્ર સુપ્રત

ગુજરાત બાર કાઉન્સીલ હોદ્દેદારોનું આવેદનપત્ર : બજેટમાં વકીલોના કલ્યાણ માટે ફાળવણી સહિત માંગણી આજે ૧૨મીએ રાજયપાલ કોહલીને આવેનદપત્ર અપાશે

અમદાવાદ,તા.૧૧ : રાજયના બજેટમાં વકીલોના વેલ્ફેર માટે બજેટની વિશેષ ફાળવણી સહિતની વિવિધ માંગણીઓને લઇ બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સહિત દેશભરના વકીલઆલમ તરફથી તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં નવી દિલ્હી ખાતે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાના ચેરમેન મનનકુમાર મિશ્રાના અધ્યક્ષસ્થાન હેઠળ મળેલી દેશના વિવિધ રાજયોની બાર કાઉન્સીલના ચેરમેન, વાઇસ ચેરમેન, દેશની તમામ હાઇકોર્ટ એસોસીએશનના પ્રમુખ સહિતના પદાધિકારીઓની મળેલી બેઠકમાં રાજયકક્ષાએ વકીલઆલમની વિવિધ માંગણીઓ સંદર્ભે સ્થાનિક સત્તાવાળાઓને આવેદનપત્ર સુપ્રત કરવા સહિતના કાર્યક્રમોના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જેના અનુસંધાનમાં આજે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને ભરત ભગત સહિતના આગેવાનોના નેજા હેઠળ અમદાવાદ જિલ્લા કલેકટર સહિતના સત્તાધીશોને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ જ પ્રકારે રાજયના વિવિધ જિલ્લા-તાલુકા કક્ષાએ પણ કલેકટર, મામલતદાર સહિતના સત્તાધીશોને આવેદનપત્ર અપાયા હતા. હવે આવતીકાલે તા.૧૨મી ફેબ્રુઆરીએ, ગુજરાત બાર કાઉન્સીલના પ્રતિનિધિમંડળ દ્વારા ગુજરાત રાજયના રાજયપાલને આવેદનપત્ર સુપ્રત કરી પોતાની માંગણી બળવત્તર બનાવાશે.  આ અંગે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને ભરત ભગતે જણાવ્યું હતું કે, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયાની તાજેતરમાં મળેલી મહત્વની બેઠકમાં દેશના પંદર લાખ વકીલો માટે કોર્ટમાં જરૂરી બેઠક વ્યવસ્થા, ચેમ્બરની સુવિધા, લાઇબ્રેરી, ઇ-લાઇબ્રેરી, મહિલા અને પુરૂષ વકીલો માટે અલાયદા શૌચાલયની વ્યવસ્થા, રાજયના બજેટમાં વકીલો માટે જોગવાઇ, વકીલો અને તેમના વારસદારોને વીમાકવચની સુરક્ષા, જુનીયર ધારાશાસ્ત્રીઓને પાંચ વર્ષ સુધી માસિક રૂ.દસ હજારનું લઘુત્તમ વેતન સહિતની માંગણીઓ પરત્વે વડાપ્રધાન સુધી રજૂઆત પહોંચાડવાનું નક્કી થયું હતું. વડાપ્રધાનને વકીલોની આ માંગણીઓ અંગે જાણ તો કરી જ દેવાઇ છે પરંતુ દેશના વિવિધ રાજયોમાં વકીલઆલમ દ્વારા આ માંગણીઓ સંદર્ભે જરૂરી ઠરાવ પસાર કરી અને તે પણ જે તે રાજયના મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાનને ઉદ્દેશતું આવેદનપત્ર સ્થાનિક સત્તાવાળાને સુપ્રત કરવાનું નક્કી થયું હતું. જેના અનુસંધાનમાં આજે ગુજરાત બાર કાઉન્સીલના ચેરમેન દિપેન દવે, પૂર્વ ચેરમેન અનિલ સી.કેલ્લા અને ભરત ભગત સહિતના પદાધિકારીઓના નેજા હેઠળ અમદાવાદ જિલ્લા કલેકટરને વિગતવાર આવેદનપત્ર સુપ્રત કરાયું હતું. આ સાથે જ સમગ્ર ગુજરાતમાં વિવિધ વકીલમંડળો દ્વારા વકીલઆલમની ઉપરોકત માંગણીઓ અંગે ઠરાવ પસાર કરી જે તે જિલ્લા કલેકટરો અને તાલુકા કક્ષાએ સ્થાનિક મામલતદારોને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આ ઠરાવની નકલ જે તે સંસદસભ્યો, ડિસ્ટ્રીકટ જજ, બાર કાઉન્સીલ ઓફ ઇન્ડિયા અને ગુજરાત બાર કાઉન્સીલને પણ મોકલી અપાઇ હતી. હવે આવતીકાલે તા.૧૨મી ફેબ્રુઆરીના રોજ  હાઇકોર્ટ બાર એસોસીએશન સહિતના તમામ બાર એસોસીએશનના હોદ્દેદારોતરફથી રાજયના રાજયપાલને ઉપરોકત માંગણીઓ સંદર્ભે ઠરાવ પસાર કરી રજૂઆત પહોંચાડાશે.

(9:39 pm IST)