Gujarati News

Gujarati News

News of Monday, 11th February 2019

કિસાન સન્માન નિધિનો ૭૦ લાખ ખેડૂતોને રાજ્યમાં લાભ

જુલાઈ સુધી પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ : સરદાર સરોવરનું કામ પૂર્ણ થતાં ૧૩૮ સુધી પાણી ભરાયું

અમદાવાદ,તા.૧૧ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને સરદાર સરોવર નર્મદા યોજના મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ચોમાસામાં ઓછા વરસાદને કારણે ડેમોમાં નહિવત પાણી ભરાયું છે. સરદાર સરોવરનું કામ પૂર્ણ થતાં ૧૩૮ મીટર સુધી પાણી ભરી શક્યા છીએ, આ ઉપરાંત મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર સરોવરમાંથી ગુજરાતને ભાગે પડતું પાણી મળે છે. રાજ્યમાં આગામી જુલાઇ સુધી પીવાના પાણીનો પુરતો જથ્થો ઉપલબ્ધ હોવાનું તેમણે ઉમેર્યું હતુ. તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં મહેસૂલ-કૃષિ વિભાગ દ્વારા ખેડૂત લાભાર્થીઓનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. રાજ્યના અંદાજે ૭૦ લાખ જેટલા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. આ યોજના હેઠળ ૨ હેકટર જમીન ધરાવતા પ્રત્યેક ખેડૂત ખાતેદારને દર વર્ષે ૬૦૦૦/-ની ઇનપુટ સહાય સીધે સીધી તેમના ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા જમા કરવામાં આવશે. આ યોજના અંગે વિરોધીઓ કેટલી ગેરસમજો ઊભી કરી રહ્યા છે. પરંતુ ખેડૂતોએ તેનાથી ભરમાવાની જરૂર નથી. ભારત સરકારના ધારાધોરણો હેઠળ મહત્તમ ખેડૂતોને યોજનાનો લાભ મળવાનો છે. રાજ્યમાં યોજનાના લાભો આપવા માટે ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતુ. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં સ્વાઇન ફ્લુને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતમાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ સરકારી હોસ્પિટલોમાં આઇશોલેશન વોર્ડ શરૂ કરવા સાથે દરદીઓને વિનામૂલ્યે નિદાન-સારવાર અને દવાઓ પુરી પાડવામાં આવે છે.

(9:35 pm IST)