News of Monday, 11th February 2019
અમદાવાદઃ વેપારીઓને રીઝવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટીની ટર્નઓવર લિમિટ ર૦ લાખથી વધારીને ૪૦ લાખ કરાઈ હતી, પરંતુ નોટિફિકેશન હજુ સુધી જાહેર નહીં કરાતાં વેપારીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા છે. રૂપિયા ૪૦ લાખની લિમિટની અંદર આવતા વેપારીઓ જીએસટી નંબર રદ કરાવવો કે નહીં એ અંગેનું માર્ગદર્શન ટેક્સ કન્સલ્ટન્ટ અને સીએ પાસે માગી રહ્યા છે.
જીએસટી કાઉન્સિલની બેઠકમાં કમ્પોઝિશન સ્કીમની લિમિટ ૧.પ૦ લાખ કરવાની અને રિટર્નમાં સુધારા-વધારા કરી શકવાની જાહેરાત કરાઈ હતી. આ અંગેનાં નોટિફિકેશન પણ જાહેર થઈ ગયાં છે, જેથી તેનું અમલીકરણ પણ શરૂ થઈ રહ્યું છે, પરંતુ ટર્નઓવરના મામલે હજુ સુધી કોઈ નિર્ણય જાહેર કરાયો નથી. ટેક્સ કન્સલ્ટન્ટ સંદીપ શાહે જણાવ્યું હતું કે અનેક વેપારીઓ આ નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે. આ મુદ્દે એસોસિયેશને પણ રજૂઆત કરી છે.
વેપારીઓ રિટર્નની ઝંઝટમાંથી મુક્ત થવા માગે છે. ઉપરાંત કેટલાક તો નંબર પણ રદ કરાવવા માટે રાહ જોઈ રહ્યા છે. આથી તેઓ નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા છે. ઉપરાંત ટર્નઓવર લિમિટનો અમલ થતાં જ આઇટીસીની પ્રોસેસમાં પણ પસાર થવાનું નથી. 1૦ જાન્યુઆરીમાં મળેલી જીએસટી કાઉન્સિલની ૩રમી બેઠકમાં નાના વેપારીઓ અને નાના ઉદ્યોગોને રાહત આપવાની દિશામાં મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યાં હતાં.