Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

પીડિયાટ્રીક વોર્ડનો ડોકટર પીધેલી હાલતમાં ઝડપાયો

એલજીમાં સારવાર વેળા બાળકીનું મોત થતાં ચકચાર : ડોક્ટર જયંત પટેલની ધરપકડ કરાઈ : આરોપી ડોકટરે પરિવારજનો સામે ક્રોસ ફરિયાદ દાખલ કરાતા ચકાસણી

અમદાવાદ,તા.૧૧ : શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી એલ.જી.હોસ્પિટલમાં પીડિયાટ્રીક વોર્ડમાં સારવાર લઇ રહેલી બે વર્ષીય માસૂમ બાળકીનું મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખુદ પીડિયાટ્રીક વોર્ડનો જ ડોકટર ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં ઝડપાતાં બાળકીના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. પીધેલા ડોકટર ડો.જયંત પટેલને પરિવારજનો અને અન્ય દર્દીના સગાવ્હાલાઓએ ધોલધપાટ કરી પોલીસને હવાલે કર્યો હતો. બીજીબાજુ, પીડિયાટ્રીક વોર્ડના ડોકટર ડો.જયંત પટેલે પણ આ પ્રકરણમાં ત્રણેક જણાં વિરૂધ્ધ ક્રોસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે મણિનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શહેરના અમરાઇવાડી વિસ્તારમાં નાગરવેલ મહારાજ ટ્રસ્ટુી ચાલીમાં રહેતા દિપેશ સુરેશભાઇ પાલે એલ.જી.હોસ્પિટલના ડોકટર વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ, ફરિયાદી દિપેશ પાલની બે વર્ષની ભઆણી રૂહીને તાવ અને સ્વાસમાં તકલીફ હોવાના કારણે એલજી હોસ્પિટલમાં લઇ જવા હતી, જયાં તેણીને આઉટડોર સારવાર આપી રજા અપાઇ હતી. રૂહીને ઘરે લાવ્યા બાદ તેણીની તબિયત વધુ લથડતાં તેને ફરી એલજી હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જયાં તેને એક દિવસ આઇસીયુમાં વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી અને ગઇકાલે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ સારવાર દરમ્યાન ડોકટરે ફરિયાદ દિપેશ પાલ અને તેના પરિવારજનોને રૂહીનું મૃત્યુ થયુ હોવાના સમાચાર આપ્યા હતા. આ સાંભળી ગરીબ પરિવારજનો પર આભ તૂટી પડયું હતું. બીજીબાજુ, રૂહીના મોતના સમાચાર આપવા આવેલો ડો.જયંત પટેલ દારૂ પીધેલી હાલતમાં જણાંતાં તે લથડિયા ખાતો હતો, જેથી પરિવારજનો રોષે ભરાયા હતા અને તપાસ કરી તો, ડોકટરના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. આ ડો.જયંત પટેલ છેલ્લા દોઢ વર્ષથી પીડિયાટ્રીક વોર્ડમાં રેસીડેન્ટ ડોકટર છે. જેથી મૃતકના પરિવારજનો એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને દારૂ પીધેલી હાલતમાં બાળકીની સારવાર કરી હોવાથી તેનું મૃત્યુ થયું હોવાના આક્ષેપ કરી જોરદાર હોબાળો મચાવ્યો હતો. આ હોબાળામાં અન્ય દર્દીઓના સગાવ્હાલા પણ જોડાઇ ગયા હતા. જેના કારણે રાત્રિના સમયે એલજી હોસ્પિટલમાં ભારે ગરમાગરમીનું વાતાવરણ સર્જાઇ ગયું હતું. રોષે ભરાયેલા દર્દીઓના સગાવ્હાલાઓએ દારૂ પીધેલી હાલતમાં પકડાયેલા ડોકટરને ધોલધપાટ કરી પોલીસને જાણ કરી બોલાવતાં મણિનગર પોલીસે ડો.જયંત પટેલની ધરપકડ કરી હતી. બીજીબાજુ, ડો.જયંત પટેલે પણ રવિ ભરત ગુપ્તા, સુનીલ ભરત ગુપ્તા અને ભાવેશ વિષ્ણુભાઇ કોરી નામના ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ કરી હતી કે, રૂહીના મોતની જાણ કરાતાં તેના સગાવ્હાલાઓએ ઉશ્કેરાઇ તેમને બિભત્સ ગાળો આપી હતી અને તેમની સાથે મારઝુડ કરી હતી. મણિનગર પોલીસે બંને પક્ષની સામસામી ફરિયાદો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ એલજી હોસ્પિટલમાં ઇસનપુર પોલીસ મથકનો પોલીસ કોન્સ્ટેબલ દારૂ પીધેલી હાલતમાં ઝડપાઇ જતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ત્યારબાદ આ બીજા બનાવને પગલે હોસ્પિટલના વાતાવરણ અને ગરિમા સામે પણ સવાલો ઉભા થયા છે.

 

(8:11 pm IST)