Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

સરખેજથી ચિલોડા નેશનલ હાઇવે ઉપર હવે ટોલટેક્સ નહી વસૂલાય

ચિલોડા હાઇવેને રૂ.૮૪૬ કરોડના ખર્ચે સીક્સ લેન બનાવાશે : દેશમાં આ સૌપ્રથમ ટોલ ફ્રી સીક્સ લેન હશે : સાણંદથી ઇન્ફોસીટી સુધીના સર્કલ જંકશન ઉપર છ ઓવરબ્રીજ બનાવાશે : સરકારના મહત્વના નિર્ણયો

અમદાવાદ,તા.૧૦ :     રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે આજે કેટલાક મહત્વના નિર્ણયોની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, સરખેજથી ચિલોડા નેશનલ હાઇવેના ૪૫ કિલોમીટરના રસ્તા પર હવે ટોલટેક્સ નહી વસૂલાય. એટલે કે, ગુજરાત દેશમાં નેશનલ હાઇવે પર સૌપ્રથમ ટોલ ફ્રી સીક્સ લેન ધરાવતું રાજય બનશે.  એટલું જ નહી, સરખેજથી ચિલોડા સુધીનો હાઇવે સિક્સ લેન બનાવાશે અને આ માટે રૂ.૮૪૬ કરોડ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. રાજયના નાયબ મુખ્યમંત્રીએ સરકારના મહત્વના નિર્ણયની જાહેરાત કરતાં વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દેશભરમાં નેશનલ હાઇવે પર ટોલટેક્સમાં માફી હોતી નથી પરંતુ ગુજરાતમાં સૌપ્રથમવાર સરખેજથી ચિલોડા સુધીના ૪૫ કિલોમીટરના હાઇવે પર ટોલમુકિત આપવાનો નિર્ણય લેવાયો છે. સાથે સાથે સરખેજથી ચિલોડા સુધીના હાઇવેને રૂ.૮૪૬ કરોડના ખર્ચે સિક્સ લેન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે ગુજરાતના રસ્તાઓના વિકાસ અને પ્રોજેકટ માટે રૂ.૧૬૭૭ કરોડની ગ્રાંટ મંજૂર કરી છે. સરખેજથી ચિલોડાના સિક્સ લેન પ્રોજેકટ માટે રૂ.૪૨૩ કરોડ કેન્દ્રની ગ્રાંટ અને રૂ.૪૨૩ કરોડ રાજય સરકારને મળતા સીઆરએફથી ચૂકવાશે, આમ સિક્સ લેનનો માર્ગ મોકળો થયો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સાણંદ ચોકડીથી ઉજાલા સર્કલ, પકવાન હોટલ, એસજીવીપીનું વૈષ્ણોદેવી સર્કલ, ઉવારસદ, સરગાસણ અને ઇન્ફોસીટી સર્કલ પર કુલ સાત જંકશપ પર જયાં મોટા ચાર રસ્તાઓ છે, ત્યાં કુલ છ ઓવરબ્રીજ બનાવવામાં આવશે. જેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ હળવી બનશે. આ સિવાય સોલા ભાગવત અને ખોડિયાર પર જે રેલ્વે બ્રીજ છે તેને પહોળા કરી સિક્સ લેન બનાવવામાં આવશે. તો, સોલાથી ઝાયડસ સર્કલ પર ૪.૧૮ કિલોમીટરનો એલિવેટેડ કોરિડોર બનશે, જેની ટેન્ડર પ્રક્રિયા હાલ ચાલી રહી છે. આ માર્ગ નિર્માણના કારણે નાગરિકો અને વાહનચાલકોને સૌરાષ્ટ્રથી ગાંધીનગર, અમદાવાદ અને ઉત્તર ગુજરાત તરફ જવામાં ભારે સરળતા અને સુગમતા રહશે તો ટ્રાફિક જામની સ્થિતિનું પણ કંઇક અંશે નિવારણ થશે.

દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે એ બાબતે  પણ ધ્યાન દોર્યું હતું કે, નર્મદા નદી પર વધારાનો બ્રીજ બનાવવા માટે રૂ.૫૨ કરોડની સહાય ઉપરાંત રાજયના ૨૩ જિલ્લાઓના રસ્તાઓ પણ રૂ.૭૮૦ કરોડના ખર્ચે પહોળા કરવામા આવશે. તેની ગ્રાંટ પણ મંજૂર થઇ ગઇ છે. આમ, રાજયમાં કુલ રૂ.૧૬૭૭ કરોડના  રસ્તાઓ અને માર્ગ નિર્માણના કામો બે વર્ષમાં પૂર્ણ કરાશે. નર્મદા નદી પરના રૂટ પર ટ્રાફિક સમસ્યા વધવાના કારણે ભવિષ્યને ધ્યાનમાં રાખી ગરૂડેશ્વર પાસે રૂ.૫૧.૭૩ કરોડના ખર્ચે ૬૫૧ મીટર લાંબો વધારાનો બ્રીજ નિર્માણ કરવામાં આવશે.

(12:07 pm IST)