Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

એસપી અંતરીપ સુદની 'રો'માં પસંદગી : અંતે કેન્દ્ર દ્વારા ગુજરાતને સતાવાર જાણ

કેન્દ્ર-રાજય સરકાર પોતાના ટ્રબલ શુટર : આઇપીએસ હિમાંશુ શુકલાને કેન્દ્રમાં નહિ મોકલે

રાજકોટ, તા., ૧૦: દેશની સૌથી વધુ પ્રતિષ્ઠીત જાસુસી સંસ્થા 'રો' માં ગુજરાત કેડરના એટીએસના ર૦૦પ બેચના ટ્રબલ શુટર આઇપીએસ હિમાંશુ શુકલાના બદલે હવે એટીએસના એસપી અને સ્વચ્છ છબી ધરાવતા તરવરીયા આઇપીએસ અને ભુતકાળમાં રાજકોટ રૂરલ એસપી તરીકે ફરજ બજાવી ચુકેલા અંતરીપ સુદની 'રો'માં  પસંદગી થયાનું કેન્દ્રીય ગૃહ મંત્રાલયે અંતે સતાવાર રીતે ગુજરાતના ગૃહ ખાતાને જાણ કર્યાનું ટોચના સૂત્રો જણાવે છે.

રાજય સરકાર અને કેન્દ્ર સરકારની નજીકના અને કોઇ પણ સમસ્યા વખતે યેનકેન પ્રકારે હલ શોધવામાં માહીર જે.કે.ભટ્ટ નિવૃત થયા બાદ કેન્દ્ર અને રાજય સરકાર માટે એટીએસના ડીઆઇજી કક્ષાના હિમાંશુ શુકલા એક માત્ર આધાર રહયા હતા. આવા સંજોગોમાં તેમને ગુજરાતમાંથી દિલ્હી મોકલવું કેન્દ્ર અને ગુજરાત સરકારને યોગ્ય ન લાગતા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

એસપી કક્ષાના અંતરીપ સુદને રોમાં મોકલવાનું જાણે કેન્દ્ર તથા ગુજરાત સરકારે નક્કી કરી રાખ્યું હોય તેમ રાજકોટ રૂરલમાંથી તેઓની વડોદરા બદલી થયા બાદ આ હુકમમાં ફેરફાર કરી ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળમાં પોષ્ટીંગ આપવામાં આવ્યું હતું. ધીર-ગંભીર અને શાંતિથી છતા મક્કમતાથી કામ લેવા ટેવાયેલા આ અધિકારી ખુબ જ ડાઉન ટુ અર્થ પ્રકૃતી ધરાવે છે.

નવાઇની વાત એ છે કે એટીએસને વધુ  મજબુત અને સુદ્રઢ બનાવવા માટે તાજેતરમાં જ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા ૪ પોલીસ ઇન્સ્પેકટર કક્ષાના અને ૭ પીએસઆઇ કક્ષાના સ્ટાફને એટીએસમાં  પોષ્ટીંગ આપવામાં આવ્યા છે. આમ  એટીએસને સક્ષમ બનાવવા રાજય સરકાર  કૃતનિશ્ચિયી બની છે.

(1:16 pm IST)