Gujarati News

Gujarati News

News of Tuesday, 10th December 2019

કોંગીની વિધાનસભાની કૂચ વખોડવા પાત્ર જ છે

ભરત પંડ્યા દ્વારા પ્રતિક્રિયા

અમદાવાદ,તા.૯  :ગુજરાત ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ કોંગ્રસના દેખાવો અંગે તીવ્ર પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે આજે પોતાની વિધાનસભા કૂચને હિંસક કૂચ બનાવવાં પ્રયાસ કર્યો તે નિંદનીય છે. કોંગ્રેસ દ્વારા એકબાજુ તોડફોડ કરવી, તોફાન અને હિંસક વરવું પ્રદર્શન કરવું. બીજી બાજુ લોકશાહીની વાત કરવી અને સરકાર સામે લોકશાહી વિરૂદ્ધના આક્ષેપો કરવાં એ તો "ગાંડી ડાહીને શિખામણ આપે" તેવો ઘાટ કોંગ્રેસે કર્યો છે. પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને સભા કરવાની મંજુરી આપી હતી અને બધાંને ખબર છે કે વિધાનસભા તરફ કૂચ કરવાની કયારેય કોઈપણ પાર્ટીને કોઈપણ સરકારને મંજુરી આપવામાં આવતી નથી.

        તેમ છતાંય પોલીસવાન પર પથ્થરમારો કરીને પોલીસને ઉશ્કેરવાં પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે માત્ર વોટરકેનનો ઉપયોગ કરીને સંયમ જાળવ્યો તે મીડિયાનાં માધ્યમથી ગુજરાતની જનતાએ જોયું છે. કોંગ્રેસ ભીડ ભેગી કરી શકી નહીં એટલે તોડફોડનો સહારો લઈને આંદોલનને હિંસક બનાવીને અશાંતિ ઊભી કરવાનો નિરર્થક પ્રયાસ કર્યો છે. એકબાજુ ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી દિલીપ પરીખ અને વિઠ્ઠલ રાદડીયાને શ્રધ્ધાંજલિ અપાતી હતી ત્યારે તેમનો મોતનો મલાજો સાચવીને પહેલાં તેમને શ્રધ્ધાંજલિ આપવાનું કામ કર્યુ હોત તો વધુ સારું હતું. કોંગ્રેસ હિંસા દ્વારા અશાંતિ ફેલાવવાનો પ્રયાસ ન કરે કોંગ્રેસને અપીલ કરૃં છું કે, ગુજરાતની શાંતિ, એકતા અને વિકાસની ઓળખને બદનામ કરવાનું બંધ કરે તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.

(9:26 pm IST)