Gujarati News

Gujarati News

News of Monday, 10th December 2018

PMO PRO જગદીશચંદ્ર મનુભાઈ ઠક્કરનું અવસાન

વડાપ્રધાન મોદીના અંગત વિશ્વાસુ હતા : ઠક્કરની કોઠાસૂઝને લઇ ગુજરાતના તોફાનો શમ્યા હતા ગુજરાતના આઠ મુખ્યમંત્રીઓના પીઆરઓ રહ્યા હતા

અમદાવાદ, તા.૧૦ : વડાપ્રધાન કાર્યાલય(પીએમઓ)ના પીઆરઓ જગદીશચંદ્ર મનુભાઈ ઠક્કરનું આજે દુઃખદ નિધન થતાં માત્ર રાજકીય પક્ષો જ નહી પરંતુ મીડિયાઆલમથી લઇ બ્યુરોક્રેટ્સમાં ઘેરા શોક અને દુઃખની લાગણી પ્રસરી ગઇ હતી. સ્વ.જગદીશચંદ્ર તેઓ ૨૮ વર્ષ સુધી માધવસિંહથી લઇ મોદી સુધીના ગુજરાતના આઠ મુખ્યમંત્રીઓના પીઆરઓ રહી ચૂક્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીઓથી લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધીના શાસનના અનેક રહસ્યોના સાક્ષી બનેલા જગદીશ ઠક્કરની વિદાય સાથે જ આ સિક્રેટ્સ કાયમ માટે ધરબાઇ ગયા છે. ગત તા.૨૮ ફેબ્રુઆરી ૧૯૪૬ના રોજ ભાવનગરમાં જન્મેલા જગદીશ ઠક્કરે ૧૯૬૭માં લોકસત્તા અખબારથી પત્રકાર તરીકેની કરિયર શરૂ કરી. ત્યાર બાદ ૧૯૭૨માં ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ સાથેજોડાયા હતા. ગુજરાતમાં ૧૯૭૫માં નવ નિર્માણ આંદોલન ચાલી રહ્યું હતું, આ સમયે તેઓ પીએમ મોદીના વતન મહેસાણા જિલ્લામાં જિલ્લા માહિતી અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. નવ નિર્માણ આંદોલન દરમિયાન રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગડી હોવાથી રાત્રે કર્ફ્યું લગાવવો જરૂરી હતો અને તેની માહિતી આકાશવાણીથી પ્રસારિત થવાની હતી. પરંતુ રાતના ૧૦.૫૦ વાગ્યા સુધી જગદીશ ઠક્કરનો એસપી અને કલેક્ટર સાથે સંપર્ક થઇ શક્યો નહીં. આમ છતાં તેમણે આકાશવાણીને કર્ફ્યું લગાવવાની જાહેરાત કરવા કહી દીધું. જેની રેડિયો સ્ટેશને ૧૧ વાગ્યે ઘોષણા કરી. ત્યારબાદ જિલ્લાના ટોચના અધિકારીઓને આ અંગે જાણકારી મળી તો તે ઠક્કરની પરિસ્થિતિનો તાગ મેળવવાની કોઠા સૂઝ જોઈ દંગ થયા હતા. વર્ષ ૨૦૦૪માં તેમની નિવૃત્તિનો સમય આવ્યો પરંતુ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેને મંજૂરી આપી નહીં અને ઠક્કરની સેવાને ૨૦૧૪ સુધી આગળ જ વધારતા રહ્યા હતા. ત્યાર બાદ મોદીએ મે, ૨૦૧૪માં મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને વડાપ્રધાન પદના શપથ લેવા માટે ગુજરાતમાંથી વિદાય થયા. જેમાં તેની સાથે બે અંગત મદદનીશો પ્રકાશસિંહ, દિનેશસિંહ બિષ્ટ તથા કૂક બદ્રી ઉપરાંત જગદીશ ઠક્કરને પણ સાથે લઇ ગયા. જ્યાં મોદીએ જગદીશ ઠક્કરને પીઆરઓ બનાવી દીધા. જગદીશ ઠક્કર ઉર્ફે દાદા ખૂબ જ લો પ્રાફાઈલ રહેતા હતા. તેઓ બેકસીટ પર રહીને પોતાના બોસની ઈમેજ ઘડતા હતા. મુખ્યમંત્રીના આવ્યા પહેલા સવારમાં ઓફિસ અથવા તેના ઘરે પહોંચી જતા અને જ્યારે મુખ્યમંત્રી આરામ કરવા ચાલ્યા જાય ત્યારે મોડી રાત્રે ઘરે જતા. તેઓ ભાગ્યે જ રજા લેતા. માત્ર એટલું જ નહીં, તબિયત ખરાબ હોય તો પણ ઓફિસ તો અચૂક જતા હતા અને મુખ્યમંત્રીઓના કાર્યક્રમમાં હાજરી આપતા હતાં. ગુજરાત છોડીને દિલ્હી ગયા બાદ પણ ઠક્કરના રૂટીનમાં કોઈ ફેરફાર થયો નહીં, ગુજરાત ભવનના રૂમ નંબર-૮માં રહેતા ઠક્કર સવારમાં સાડા સાત વાગ્યે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચી જતા અને મોદી સાથે સાઉથ બ્લોકની ઓફિસે અથવા ૭ આરસીઆર જતા હતા. તેઓ અડધીરાત્રે ઉંઘવા માટે જ પોતાના રૂમમાં જતા હતાં. તેઓ ગુજરાતી સિવાય હિન્દી અને અંગ્રેજી પર પણ સારી પકડ ધરાવતા હતા. જ્યારે મોદી કાર્યક્રમમાં ભાષણ આપી રહ્યા હોય ત્યારે ઠક્કર ભાષણ પુરું થતાં જ પ્રેસ રીલિઝ તૈયાર કરી પોતાના જુનિયરને સોંપી દેતા. માત્ર એકજ વાર કોઇ મુખ્યમંત્રીએ તેમની લખેલી પ્રેસ રીલિઝ ચેક કરી હતી અને તે બીજું કોઇ નહીં પણ ચીમનભાઇ પટેલ હતા. તેમણે એકવાર જ નજર કરી બસ ત્યારબાદ તેમને ક્યારેય ઠક્કરે લખેલી પ્રેસ રીલિઝ જોવાની જરૂર પડી નહીં. સમયના અભાવે ક્યારેય વ્યાયામ ન કરી શકનારા જગદીશ ઠક્કર ૧૮-૧૯ કલાક કામ કરી શકતા હતા. જો કે હવે તેમની વિદાયથી મોદીને જ નહીં, દેશ અને મીડિયાને એક વિશ્વાસુ અને કર્મનિષ્ઠ વ્યક્તિની ખોટ સાલશે, મોદી સહિતના તમામ મહાનુભાવોએ તેમને ભાવભીની શ્રધ્ધાંજલિ અર્પી હતી.

(9:11 pm IST)