Gujarati News

Gujarati News

News of Wednesday, 10th November 2021

રાજય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા કટીબધ્ધ આ ભગિરથ કાર્યમાં જનતાનો સહયોગ અત્યંત અનિવાર્ય હોવાનું જણાવતા ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી

રાજયમા એન.ડી.પી.સી. એક્ટ હેઠળ ગાંજો / અફિણ / ચરસ / હેરોઇન / બ્રાઉનસુગર / અન્ય સિન્થેટીક ડ્રગ્સ સંદર્ભે ૫૮ કેસો કરાયા : ૯૦ આરોપીઓની ધરપકડ કરીને આશરે કુલ રૂ. ૨૪૫.૧૫ કરોડનો ૫૭૫૬.૬૧૪ કિ. ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો

ગાંધીનગર : ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માગદર્શન હેઠળ રાજય સરકાર ડ્રગ્સ માફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક પગલા લેવા માટે કટીબધ્ધ છે . અને આ ભગિરથ કાર્યમાં જનતાનો સહયોગ પણ મળી રહેશે તો રાજ્યના યુવાધનને બરબાદ કરતા ડ્રગ્સના કારોબારને નાથવામાં ચોકકસ સફળતા પ્રાપ્ત થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે 

મંત્રીશ્રી એ ઉમેર્યુ કે, સમગ્ર વિશ્વમા આતંકવાદ અને ભ્રષ્ટાચારની માફક ડ્રગ્સના દુષણે પણ જાળ બિછાવી છે અને યુવા ધનને નશાના દલદલમાં ધકેલવા ડ્રગ્સ માફિયાઓ અવનવા પેતરા રચી હાઇટેક ટ્રીક અપનાવતા રહે છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી  અમિતભાઇ શાહ દ્વારા જે રીતે ડ્રગ્સના દુષણને નાથવા કડક વલણ અપનાવ્યું છે તે અંતર્ગત દુનિયાના અન્ય દેશો કરતા આપણા દેશમાં ડ્રગ્સના દુષણને નિયંત્રણમાં રાખવા મોટા પ્રમાણમાં સફળતા મળી છે. કેન્દ્ર સરકારના કડક વલણને અનુરૂપ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારના ગૃહવિભાગ દ્વારા ગુજરાતમાં પણ ડ્રગ્સના દુષણને મુળથી નાથવા માટે વિવિધ પગલાઓ લેવાઈ રહ્યા છે. આ માટે સમયાંતરે સમિક્ષા બેઠકો, પોલીસ જવાનોને પ્રોત્સાહન તથા સામાજીક સંગઠનો, રાજકીય પદાધિકારીઓ અને જનસમુદાયના સહયોગથી ગૃહવિભાગની સીધી દેખરેખ હેઠળ ડ્રગ્સ માફિયાઓના કારનામાઓનો અંત લાવી અને ડ્રગ્સ માફિયાઓને ઝબ્બે કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. 

ગૃહમંત્રી તરીકેની જવાબદારી સંભાળ્યા બાદ  ત્યારથી અત્યાર સુધીમા ડ્રગ્સના કેસોમાં અપ્રતિમ સફળતા મળી છે, જેની વિગતો આપતા તેમણે ઉમેર્થુ કે, એન.ડી.પી.સી. એક્ટ - ૧૯૮૫ હેઠળ તા ૧૬/૦૯ /૨૦૨૧ થી તા.૧૦/૧૧/૨૦૨૧ સુધીમા ગાંજો / અફિણ / ચરસ / હેરોઇન / બ્રાઉનસુગર / અન્ય સિન્થેટીક ડ્રગ્સ સંદર્ભે ૫૮ કેસો કરીને ૯૦ આરોપીઓની ધરપકડ કરીને આશરે કુલ રૂ. ૨૪૫.૧૫ કરોડનો ૫૭૫૬.૬૧૪ કિ.ગ્રામ જથ્થો જપ્ત કરાયો છે. 

મંથ્રીશ્રીએ ઉમેર્યુ કે, છેલ્લા બે - ત્રણ દિવસમાં જ દેવભૂમિ દ્વારકા , છોટાઉદેપુર, અમદાવાદ ગ્રામ્ય અને સુરત શહેરમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સના હેરફેરમાં NDPS કાયદા અંતર્ગત ગુના દાખલ કરવામાં આવેલ છે. આ ઉપરાંત પોલીસ વિભાગની સરાહનીય કામગીરી અને ગૃહવિભાગના માર્ગદર્શન હેઠળ નોંધનીય પ્રમાણમાં ઘણા અન્ય ગંભીર ગુનાઓ પણ ખુબ જ ટુંકા સમયગાળામાં સફળતાપુર્વક ઉકેલાયા છે. જેમાં સુરતના પાંડેસરામાં નાની બાળકીના અપહરણના કિસ્સામાં પોલીસ દ્વારા આરોપીઓને રાતોરાત પકડી પાડવામાં આવેલ છે અને ફક્ત ૯ દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી દેવામાં આવેલ છે. ભારતમાં પહેલી વાર માત્ર નવ જ દિવસમાં ચાર્જશીટ કરી હોય તેવો આ પ્રથમ કેસ છે. આ ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં નાની બાળકીઓ ઉપરના દુષકર્મના ગુનામાં સાંતેજ પોલીસ સ્ટેશનમાં બે બાળકીઓના અપહરણ બાબતના ગુનામાં રેંજ આઇજી તેમજ પોલીસ અધિક્ષક ગાંધીનગર દ્વારા તાત્કાલિક ટીમો બનાવી સીસીટીવીના ફુટેજ ના આધારે દુષ્કર્મના આરોપીને તાત્કાલિક પકડી પાડવામાં આવેલ છે. 

મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, આવા બનાવો સંદર્ભે ઝડપીમાં ઝડપી ચાર્જશીટ કોર્ટમાં રજૂ થાય તે માટે પોલીસ અધિક્ષકને સુચના આપવામા આવી છે. તેમજ આવા કેસોમાં સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક અંગે પણ નિર્ણય લેવામાં આવશે. ઘાટલોડિયામાં વૃધ્ધ દંપતીની લુંટના ઇરાદે થયેલ હત્યામાં પણ પોલીસે સરાહનીય કામગીરી કરતા ક્રાઇમ બ્રાન્ચની ૧૨ ટીમ અને ઝોન -૧ ની ૩ ટીમ મળીને સતત પાંચ દિવસ સુધી તપાસ કરી આરોપીઓને ઝડપી પાડ્યા છે આવી ઘટનાઓ ખુબ જ દુખદ બાબત છે પરંતુ રાજ્ય સરકાર આવા અમાનવિય કૃત્યોને ડામવા જરૂરી તમામ પ્રકારના પગલા લેશે. 

તેમણે ઉમેર્યુ કે,ભારત સરકાર દ્વારા ૨૦૨૧-૨૨ વર્ષને આઝાદીકા અમૃત મહોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરાયુ છે જે અંતર્ગત ગૃહવિભાગ દ્વારા ગંભીર ગુનાઓ અને મહિલા અત્યાચારના ગંભીર ગુનાઓને પસંદ કરીને કુલ ૧૫૦ ગુનાઓ શોધી કાઢયા છે. આ ગુનાઓમાં તપાસ અને ન્યાયિક પ્રક્રિયા ઝડપી રીતે પુર્ણ થાય જનમાનસમાં criminal justice system માં વિશ્વાસ વધે ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓને કડકમાં કડક સજા થાય અને ભોગ બનનારને યોગ્ય ન્યાય મળે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

(11:08 pm IST)