Gujarati News

Gujarati News

News of Sunday, 10th November 2019

અમન-શાંતિના પૈગામ સાથે ઇદે મિલાદુન્નબીની ઉજવણી

મસ્જિદોમાં વિશેષ નમાઝ અદા કરવામાં આવી : અયોધ્યા કેસના ચુકાદા બાદ રાજયમાં શાંતિ-ભાઇચારાનું વાતાવરણ જળવાયેલું રહે તે માટે અનેક સ્થળે જુલુસ રદ

અમદાવાદ, તા.૧૦ : સમગ્ર રાજયમાં અમન અને શાંતિના પૈગામ સાથે ઇદે મિલાદના પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જો કે, ગઇકાલે અયોધ્યા કેસમાં સુપ્રીમકોર્ટના ઐતિહાસિક ચુકાદા બાદ કોમી એકતા અને ભાઇચારાનું વાતાવરણ જળવાયેલુ રહે તે હેતુથી અમદાવાદ શહેરમાં આજે ઇદે મિલાદના જુલુસ રદ કરવામાં આવ્યા હતા. તો, રાજયમાં વિવિધ સ્થળોએ ઇદે મિલાદના જુલુસ કાઢવામાં આવ્યાં હતાં. મુસ્લિમ બિરાદરોએ આજે મસ્જિદોમાં  ઇદની વિશેષ નમાઝ અદા કરી હતી અને એકબીજાને ઇદે મિલાદુન્નબીની શુભેચ્છાઓ પાઠવી હતી.

                      જો કે, અયોધ્યા કેસના ચુકાદા બાદ રાજયમાં શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ જળવાયેલું રહે તે હેતુથી મુસ્લિમ સમાજે પણ ભારે સંયમ રાખી કેટલાક સ્થળે ઇદે મિલાદના જુલુસ રદ કર્યા હતા. મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે અદાવાદ શહેર સહિત સમગ્ર રાજયમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મહંમદ પયંગબર સાહેબના જન્મદિવસની ઇદે મિલાદ તરીકે ઉજવણી કરવામાં આવે છે. મહંમદ પયંગબર સાહેબની શીખ સંદેશ અને ઈસ્લામના ઉસુલોનું મુસ્લિમ બિરાદરો અનુકરણ કરી તેને જીવનમાં ઉતારે તેવી હાકલ ધર્મગુરૂઓએ કરી હતી. ઈન્સાનીયત માનવતા, પ્રેમ, દયાભાવના સાથે બુરી આદતોનો ત્યાગ કરી નેક કાર્યો કરવામાં આવે તો ખુદા રાજી થાય છે, તેવા ઉમદા સંદેશ અને ઇબાદત સાથે આજે ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદમાં આજે ઇદ નિમિતના જૂલુસ રદ કરાયા હતા પરંતુ કચ્છ, ભરૂચ, પાલેજ સહિતના સ્થળોએ ઇદે મિલાદની ઉજવણી કરી ભવ્ય જૂલુસ કાઢવામાં આવ્યા હતા.

(9:39 pm IST)