Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

આરોપીઓ ઈસ્ટોનીયા પહોંચી સ્પેન જવાના હતા, સ્પેનની એમ્બેસીમાં પૂછપરછ

સ્પેનના એ બોગસ પાસપોર્ટ બેંગ્લોરમાં તૈયાર થયેલઃ વડોદરાના પાસપોર્ટ કૌભાંડમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત ટીમની પૂછપરછમાં ધડાકા જેવી વિગતો ખુલ્લી : હિતેષ પટેલ પાસેથી રિપબ્લીક ઓફ ઇસ્ટોનીયાનું ઓળખપત્ર મળ્યું: એક પણ આરોપી વડોદરાના ન હોવા છતા એક ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં કાવત્રાને અંજામ કેમ અપાયો? રહસ્ય ખોલવા એસઓજી દ્વારા ધમધમાટ

રાજકોટ, તા.,  ૧૦: પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના સીધા માર્ગદર્શન અને તેમની સુચના મુજબ વડોદરા એસઓજીએ મસમોટા બોગસ પાસપોર્ટ કૌભાંડના રેકેટનો પર્દાફાશ કરવા સાથે ૮ આરોપીઓની ધરપકડ કરી તેની પૂછપરછ   શરૂ કરતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે, આરોપીઓની પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે પણ બનાવની ગંભીર પૂછપરછ કરતા સ્પેનના પાસપોર્ટ બેંગ્લોરથી  લાવવામાં આવ્યાનો ધડાકો થયો છે.

ઉકત બાબતે પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે અકિલા સાથેની વાતચીતમાં એવું જણાવેલ કે આ મામલે સ્પેનની એમ્બેસીમાં પાસપોર્ટની ખરાઇ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. પકડાયેલ આરોપીઓ પહેલા ઇસ્ટોનીયા દેશમાં જઇ  ત્યાંથી સ્પેન જવાનું પ્લાનીંગ કર્યુ હતું. આ ટોળકી પાસેથી સ્પેનના પ અને ભારતના ૧૭ પાસપોર્ટ મળ્યાનું તથા હિતેષભાઇ ભરતભાઇ પટેલના નામનું રીપબ્લીક ઓફ  ઇસ્ટોનીયાનું ઓળખપત્ર મળ્યાનું પણ પોલીસ કમિશ્નરે વિશેષમાં જણાવ્યું હતું.

એસઓજી સૂત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ ઉકત ઠગ ટોળકીએ વડોદરાની શ્રીજી ટુર્સમાં મીટીંગ શા માટે રાખેલી ? તે બાબતે પણ તપાસનો ધમધમાટ ચાલી રહયો છે. અત્રે યાદ રહે કે એસઓજીના હેડ કોન્સ્ટેબલ રોહીતકુમાર રામભાઇને એવી માહિતી મળી હતી કે કાળા ઘોડા સર્કલ સામે આવેલ રાજેશ્રી ટોકીઝ સામે, ગેલોડ ટી પોસ્ટ સામે  કેટલાક લોકો ભેગા થઇને કંઇક શંકાસ્પદ  પ્રવૃતિ કરી રહયા છે.

યોગાનુયોગ પોલીસ કમિશ્નરને પણ પોતાના સુત્રો તરફથી કંઇક આવી જ પ્રકારની માહિતી મળ્યાનું ચર્ચાય છે. ઉપરોકત બાતમીના આધારે એસઓજી ટીમ ત્રાટકી  અને આરોપીઓ દેવેન નાયક (અમદાવાદ), કિર્તીકુમાર ચૌધરી (વિસનગર), હિતેષભાઇ પટેલ (મહેસાણા જીલ્લો), રાકેશ પ્રજાપતી (ખેરાલુ), પ્રિયાંક પટેલ (વીજાપુર), પાર્થ પટેલ (જોટાણા) અને અલ્પેશકુમાર પટેલ (માણસા) તથા નિલેશ પંડયા (અમદાવાદ)ને ઝડપી લઇ તેઓની પાસે રહેલી કાળી બેગની તલાશી કરતા બનાવટી પાસપોર્ટનું આખુ રેકેટ ખુલવા પામ્યું હતું. નવાઇની વાત એ છે કે આરોપીઓ પૈકી એક પણ શખ્સ વડોદરાનો નથી. અમુક આરોપીઓ આ અગાઉ પણ આ પ્રકારના કૌભાંડમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.  સમગ્ર કાર્યવાહી એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ એચ.એમ.ચૌહાણ, એએસઆઇ શાંતીલાલ વાલજીભાઇ તથા અબ્દુલ રજાક, હેડ કોન્સ્ટેબલ હેમંતભાઇ તથા રોહીતભાઇ, કમાલુદીન તથા પોલીસમેન હેમરાજસિંહ, જયકિશનભાઇ, આશીષપુરી અને રાજેશભાઇ આ કાર્યવાહીમાં સક્રિય રહયા હતા.

(12:18 pm IST)