Gujarati News

Gujarati News

News of Thursday, 10th October 2019

હાઇકોર્ટની સાથે નોમીની કોર્ટોમાં પણ ન્યાયાધીશોની નિયુકતી થતી ન હોય આવતીકાલે વકીલોની એક દિવસીય હડતાલ

સહકારી ક્ષેત્રની ૧૮ કોર્ટમાંથી ફકત એકમાં જ નિમણુંકઃ ૧૭ કોર્ટોની કામગીરી ઠપ્પઃ 'સૌનો સાથ સૌનો વિકાસ'ની સરકારની વાતો પોકળ સાબિત થઇ છે

અમદાવાદ તા. ૧૦ :.. ગુજરાતની ૧૮ બોર્ડ ઓફ નોમિની કોર્ટના તમામ વકીલો આગામી તા. ૧૧ મી  ઓકટોબરના શુક્રવારે એક દિવસની હડતાલ પડશે. ફેબ્રુઆરી ર૦૧૯ થી બોર્ડ ઓફ નોમિની કોર્ટ ચલાવવા માટે કરવાની થતી નિમણુક કરવામાં અવી નથી. પરિણામે સહકારી ક્ષેત્રનાં હજારો કેસો ટલ્લે ચઢી ગયા છે. સહકારી ક્ષેત્રના લોકોની ફરીયાદોનું નિવારણ આવતું નથી. સહકારી બેન્કો, ક્રેડિટ સોસાયટીઓ, ખરીદ વેચાણ સંઘો, દૂધ સહકારી મંડળીઓ, કોઓપરેટીવ હાઉસીંગ સોસાયટીઓ, કૃષિ સહકારી મંડળીઓના લાખો કેસો પર કોઇ જ કાર્યવાહી થઇ શકતી નથી. લોકોને ન્યાય મળતો જ નથી. સહકારી સંસ્થાઓની ચૂંટણીને લગતા વિવાદો પણ વણઉકલ્યા રહ્યા છે.

ગુજરાત કોઓપરેટીવ બાર એસોસીએશને આજે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે છેલ્લા સાત મહીનાથી બોર્ડ ઓફ નોમીનીઝ કોર્ટ સભ્યોની નિમણુક વિના ખાલી પડી છે. ૧૮ કોર્ટમાંથી માત્ર ૧ જ કોર્ટમાં નિમણુક થયેલી છે. બોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં ચુકાદો આવે તો તેને ગુજરાત કોઓપરેટીવ એપેલેટ ટ્રિબ્યુનલમાં પડકારી શકાય છે પરંતુ ગુજરાત કોઓપરેટીવ ટ્રીબ્યુનલમાં પણ એક દોઢ મહિનાથી પ્રમુખ નથી. તેથી તેમાં પણ જઇ શકાતું નથી.

ગુજરાત સરકાર બોર્ડ ઓફ નોમિનીની કોર્ટમાં તેમના નિવૃત અધિકારીઓને મુકવા માગે છે. પરંતુ કાયદેસર જોગવાઇ મુજબ કાયદાનું બેકગ્રાઉન્ડ ધરાવતી કોઇ નિવૃત કે વર્તમાન સમયમાં સક્રિય વ્યકિતને નિયુકત કરવી જરૂરી છે. આ મુદે ગુજરાત સરકાર અને બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટના વકીલો વચ્ચે વર્ષોથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. તેથી સુપ્રીમ કોર્ટ પણ ગુજરાત સરકારને ત્રણ માસમાં જજોની નિમણુક કરી દેવા ર૦૧પ માં આદેશ કર્યો હોવા છતાંય તેનું પાલન કરવામાં આવેલ નથી. બીજી તરફ આ નિણુક ન કરવામાં આવતી હોવાને મુદે પ્રધાનમંત્રી કાર્યાલય ફેબ્રુઆરી ર૦૧૯ માં કરેલી લેખિત રજૂઆતના જવાબમાં પ્રધાન મંત્રી કાર્યાલયે રજુઆતના તત્કાળ પગલા લેવા આદેશ કર્યો હતો. પ્રધાનમંત્રીના કાર્યાલયના આદેશ અને સુચનાની પણ વર્તમાન સરકાર અવગણના કરી રહી હોવાનું જોવા મળી રહ્યું છે.

ગુજરાત હાઇકોર્ટમાં પણ આ મુદે રજૂઆત કરવામાં આવી હોવા છતાંય કોઇ જ પ્રતિભાવ ન મળ્યો હોવાનું ગુજરાત કોઓપરેટીવ બારે કરેલી રજૂઆતમાં જણાવવામાં આવેલું છે.

જુલાઇ ર૦૧૬, માર્ચ ર૦૧૭ અને એપ્રિલ ર૦૧૮ માં પણ નિમણુક કરવાને મુદે ગુજરાત કોઓપરેટીવ બારે પત્ર લખવા પડયો છે.

બોર્ડ ઓફ નોમિની અને ગુજરાત કોઓપરેટીવ એપેલેટ ટ્રીબ્યુનલમાં નિમણુક કરવા માટે શા પગલા લેવાયા તે અંગે કોઓપરેટીવ બારે માહિતી અધિકાર હેઠળ કરેલી અરજીના સંદર્ભમાં તેમને આ માહિતી મળી શકે નહિ તેવો લેખિત જવાબ ગુજરાત સરકારના વિભાગ તરફથી આપવામાં આવ્યો હતો. આ જવાબમાં માહિતી કમિશનર સમક્ષ અપીલમાં પડકારવામાં આવ્યો હતો ત્યારે ગુજરાત સરકારને આ માહિતી આપવાની ફરજ પડી હતી. આ સ્થિતીમાં સબકા સાથ અને સબકા વિકાસની સરકારની વાતો માત્ર પોકળ જ હોવાની લાગણી બળવતર બની રહી હોવાનું જણાવવામાં આવ્યું છે.  મુખ્યમંત્રી, સહકાર મંત્રી તરફથી આ મુદ્ે કોઇ જ જવાબ આપવામાં આવતો નથી. તે જ બતાવે છે કે બોર્ડ ઓફ નોમિનીઝમાં નિમણુક કરવાની બાબતમાં સરકાર સુસ્ત અને નિષ્ક્રિય છે. ગુજરાતની જુદી જુદી કોર્ટના બાર એસોસીએશનોએ પણ કોઓપરેટીવ બારના વકીલોની હડતાલને ટેકો આપવાની અને તેમના સમર્થનમાં તેમની સાથે જોડાવાની ખાતરી આપી છે.

રાજકોટ નોમીની કોર્ટના વકીલો પણ હડતાલ પાડશે

રાજકોટઃ સીનીયર એડવોકેટ શ્રી મહેન્દ્રભાઇ ફળદુ, રાજકોટએ જણાવેલ છે કે, આવતિકાલે રાજકોટ બોર્ડ ઓફ નોમીનીઝ, લવાદ કોર્ટ બંધ રાખવા માં આવશે, કોઇ વકીલો દ્વારા કોર્ટની કામગીરીમાં ભાગ લેવામાં આવશે નહિ.

(11:44 am IST)