Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

ગરબા સ્થળો પર વધુ મહિલા પોલીસ કર્મચારીઓ ગોઠવાઈ

દશેરા સુધી અધિકારીઓને ઉપલબ્ધ રહેવા સૂચન : ગરબાના સ્થળોની બહાર ખેલૈયા એકઠા નહીં થાય તેનો પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય છે : ટ્રાફિક જામ ટાળવા પગલાં

અમદાવાદ, તા.૧૦ : અમદાવાદ શહેરમાં નવ દિવસના નવરાત્રી મહોત્સવની આજે પરંપરાગત રીતે શરૂઆત થઈ હતી. ઘરમાં અને જુદી જુદી સોસાયટીઓમાં, પોળમાં પણ માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. બીજી બાજુ અમદાવાદ શહેર પોલીસે પણ તકેદારી રાખવા માટે તમામ પગલાં લીધા છે. શહેર પોલીસે તમામ રેન્કના અધિકારીઓને દશેરા સુધી ઉપલબ્ધ રહેવા માટે કહેવામાં આવ્યું છે. તાજેતરમાં જ પાકિસ્તાન સાથે સંબંધો વણસી ગયા બાદ સાવચેતી રાખવામાં આવી રહી છે. શહેર પોલીસના અધિકારીઓએ કહ્યું છે કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ગરબાના સ્થળોની બહાર મોટી સંખ્યામાં ટોળા એકત્રિત ન થાય તે જોવાનો રહેશે. સાથે સાથે ઈમરજન્સીના કેસમાં બિનજરૂરી ટ્રાફિક ન નડે તેનો પણ હેતુ રાખવામાં આવ્યો છે. દર વર્ષે મહિલાઓની સુરક્ષા માટે પણ વિશેષ પગલાં લેવામાં આવે છે. આ વખતે સ્થળો ઉપર વધુ મહિલા પોલીસ કર્મચારીઓને તૈનાત રાખવામાં આવી છે. સુરક્ષાની બાબતને ધ્યાનમાં લઈને ખાસ ટીમો તમામ મોટા સ્થળો ઉપર તપાસ કરશે. કાર્યક્રમ પહેલા અને બાદમાં ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઓન રોડ પાર્કિંગ અને ટ્રાફિક જામની સ્થિતિને રોકવા માટે પણ વિવિધ પગલાં લેવાયા છે. જેમાં સ્થાનિક પોલીસ ટ્રાફિક પોલીસની સાથે જોડાઈ છે. ગરબાની પૂર્ણાહુતિ વેળા અંધાધૂંધી ન સર્જાય તે માટે પણ પગલાં લેવાયા છે. મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ તમામ મોટા સ્થળ પર ગોઠવાયા છે. પોલીસ કંટ્રોલ રૂમ, વેન અને ક્વીક રિસ્પોન્સ ટીમો પણ મોડી રાત સુધી અને વહેલી સવાર સુધી પેટ્રોલીગ ઉપર રહેશે. જજીસ બંગલા ક્રોસ રોડથી પકવાન ચાર રસ્તા સુધીના માર્ગો વન વે રહેશે. ટ્રાફિક એસજી રોડથી ડાયવર્ટ કરવામાં આવશે. આ ગાળો રાત્રે આઠ વાગ્યાથી લઈને વહેલી પરોઢ બે વાગ્યા વચ્ચેનો રહેશે. નહેરૂનગરથી ઈસ્કોન ચાર રસ્તાને નો પાર્કિંગ ઝોન જાહેર કરી સુવિધા વધારવામાં આવી છે.

(9:11 pm IST)