Gujarati News

Gujarati News

News of Wednesday, 10th October 2018

પરપ્રાંતિયોની હિજરતને પગલે ઉદ્યોગ ધંધાઓને મોટો ફટકો

ફરસાણ, મીઠાઇ, રિયલ એસ્ટેટ પર માઠી અસરઃ ગુજરાતીના દિવાળી-દશેરા બગડે તેવી દહેશત : સરકારે પરપ્રાંતિયોની સુરક્ષા અને પરત લાવવા પ્રયાસો તેજ કર્યા

અમદાવાદ,તા.૯: રાજ્યમાં છેલ્લા ૭ દિવસથી પરપ્રાંતીયો પર હુમલાઓની ઘટનાઓ બની રહી છે. જેને પગલે ગુજરાતમાં ફરીવાર દહેશતનો માહોલ ઊભો થયો છે.  પરપ્રાંતીયોની હિજરતને પગલે ગુજરાતમાં વેપાર-ધંધા, ઉદ્યોગને ફટકો પડયો છે. ખાસ કરીને ફરસાણ, મીઠાઇ, રિયલ એસ્ટેટ અને ગૃહઉદ્યોગ પર માઠી અસર પડી રહી છે ત્યારે રાજય સરકારે પણ હવે પરપ્રાંતીયોની સુરક્ષા અને પરત લાવવાના પ્રયાસો તેજ કર્યા છે. રાજયમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતિ વચ્ચે મજૂરો-કામદારો માટે કાર્યરત વિવિધ સંગઠનોના દાવા મુજબ, અત્યાર સુધીમાં ગુજરાતના વિવિધ સ્થળેથી લગભગ ૧ લાખ પરપ્રાંતીયો રોજીરોટી છોડી હિજરત કરી ગયા હોવાનું મનાઇ રહ્યું છે. આ સંજોગોમાં કામદારોના રોજગારને તો ફટકો પડયો જ છે સાથે સાથે ગુજરાતના વેપાર-ઉદ્યોગને પણ મોટો ફટકો પડી રહ્યો છે. ગુજરાતમાં અસંગઠીત ક્ષેત્રના બે કરોડ કામદારો છે, જેમાંથી લગભગ ૫૦ લાખ પરપ્રાંતીય કામદારો છે. માત્ર એટલું જ નહીં, ફરસાણ, મીઠાઈ, રિયલ એસ્ટેટ તથા ગૃહ ઉદ્યોગો પર પણ તેની માઠી અસર થઈ છે. આમ પરપ્રાંતીયોની હિજરતને કારણે લોકોના દશેરા-દિવાળી બગડી શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે. શહેરથી લઈ ગામડાઓમાં પાણીપુરી અને પકોડીના ધંધાઓ પણ બંધ થઈ રહ્યા છે. જેના કારણે પકોડીના સ્વાદ પ્રેમીઓ પણ મુંઝવણમાં મુકાયા છે. તો બીજી તરફ દશેરા અને દિવાળી આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, પરંતુ હાલ મીઠાઈના દુકાનદારોએ માલ ભરી લીધો છે, પરંતુ કારીગરોના અભાવે મીઠાઈ બનવી મુશ્કેલ છે. રાજ્યના ધંધા-રોજગારને અસર થતાં સ્થાનિક અને પરપ્રાંતીય મળીને અત્યારે ૧૫ લાખ કામદારો અસરગ્રસ્ત બન્યા છે. એક તરફ ગુજરાત સરકાર ઉદ્યોગોને આકર્ષવા માટે વાઈબ્રન્ટ સમિટ યોજે છે, તો બીજી તરફ કામદારોની સલામતી જાળવવામાં નિષ્ફળ જઈ રહી છે. સોશિયલ મીડિયા પર સોમવારે બંધના એલાનની અફવા ફેલાતા છેલ્લા બે દિવસમાં મોટી સંખ્યામાં સાણંદ, બાવળા, ચાંગોદરમાં આવેલાં ઔદ્યોગિક વિસ્તારોની નજીકના ગામોમાંથી મોટી સંખ્યામાં પરપ્રાંતીયો પોતાના વતન તરફ પલાયન કરી ગયા છે. જોકે, પરપ્રાંતીયોને રોકવા માટે રાજય સરકાર અને તંત્રના અધિકારીઓની સાથે સાથે સ્થાનિક અગ્રણીઓએ પણ કવાયત શરૂ કરી દીધી છે. બોળ, મોતીપુરા, ચરણ, છારોડી જેવા ગામોમાં પરપ્રાંતીયોની સંખ્યા આશરે ૨૫ હજારની આસપાસ હતી, જેમાં ૬૦ ટકા જેટલો ઘટાડો થયો છે અને વતન જતાં રહ્યા છે. નવરાત્રિ, દશેરા અને દિવાળી જેવા તહેવારો નજીક આવી ગયા છે અને રિયલ એસ્ટેટ ઉદ્યોગ શુભ દિવસોમાં લોકોને સપનાનું ઘર આપવા ફ્લોરિંગ, કલરકામ સહિતની છેલ્લા તબક્કાની તડામાર કામગીરી ચાલી રહી હતી ત્યારે જ ડરનો માહોલ ઉભો થતાં પરપ્રાંતીયોનું પલાયન શરૂ થઇ જતાં બિલ્ડર- ડેવલપર્સમાં તહેવારો બગડે તેવી ભીતિ ઉભી થઇ છે. તહેવારોમાં નવી દુકાનો, શો રૂમ, બંગલાનુ કામ પૂર્ણ કરી ગ્રાહકોને સોંપવાના હોય છે. સપનાનું ઘર અને નવી દૂકાનોમાં શ્રેષ્ઠ તહેવારોમાં પ્રવેશ કરવાના સપના ઉત્તર ભારતીય કારીગરો પરત ફરવાને કારણે રોળાઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ છે. સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ હવે સરકારે તમામ પ્રયાસો વેગવંતા બનાવ્યા છે.

(9:00 am IST)