Gujarati News

Gujarati News

News of Monday, 10th September 2018

રામદેવ નવરાત્રિ મહોત્સવનો આરંભ : શ્રદ્ધાળુઓ ઉત્સાહિત

નવરાત્રિ ઉત્સવને લઇને શ્રદ્ધાળુઓ ભક્તિમય :નવરાત્રિ મહોત્સવ દરમ્યાન હોમ-હવન, સંતવાણી અને ડાયરો સહિતના અનેકિવધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી

અમદાવાદ, તા.૧૦ :  શ્રી રામદેવ નિકલંક મંદિર ઘીકાંટા, નવતાડ ખાતે આજે તા.૧૦-૦૯-૨૦૧૮ના રોજ સોમવારથી શ્રી રામદેવ નવરાત્રિ મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે. આજથી શરૂ થયેલા રામદેવ નવરાત્રિ મહોત્સવને લઇ હજારો શ્રધ્ધાળુ ભકતોમાં ભારે ઉત્સાહ અને ભકિતનો માહોલ છવાયો છે. ઉલ્લેખનીય છે, દર વર્ષે ભરાતા શ્રી રામદેવ નવરાત્રિ મહોત્સવમાં અમદાવાદ શહેર સહિત રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટતા હોય છે. આ વખતે પણ મહોત્સવમાં ભકતોની ભારે ભીડ જામી રહી છે એમ શ્રી રામદેવ નિકલંક મંદિર, ઘી કાંટા મહંતશ્રી ધનસુખનાથજી મહારાજએ વધુમાં જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઘીકાંટા નવતાડ ખાતે આવેલ શ્રી રામદેવ નિકલંક મંદિર શ્રી રામદેવપીર ભગવાને આપેલ ૨૪ પરચાઓને કાચની કલાત્મક કામગીરીથી કંડારવામાં આવેલું છે. જે ગુજરાતનું સૌ પ્રથમ અને ૬૦ વર્ષ પહેલા કાચકામની કલાત્મક કારીગરીવાળું જોવાલાયક યાત્રાધામ છે. શ્રી રામદેવ નિકલંક મંદિર તરફથી દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રામદેવ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભાદરવા સુદ-૧ એટલે કે, તા. ૧૦-૦૯-૨૦૧૮ સોમવારથી ભાદરવા સુદ -૯ તા. ૧૮-૦૯-૨૦૧૮ મંગળવાર સુધી શ્રી રામદેવ નવરાત્રિ મહોત્સવ (સંતવાણી) ચાલશે. આ મહોત્સવમાં ગુજરાત સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો, ભજનીકો, તેમજ સંતો, મહંતો ઉપસ્થિત રહી સંતવાણી તથા લોકસાહિત્યની રસલહાણ કરાવશે. મંદિરના મહંતશ્રી ધનસુખનાથ બાપુએ વધુમાં ઉમેર્યું હતું કે, મહોત્સવમાં આજે સવારે ૧૦-૧૫ કલાકે કુંભ સ્થાપન કરાયું હતું. તો, રાત્રે ૯-૩૦ વાગે મંગળદીપ પ્રગટાવી સંતવાણીની શુભ શરૂઆત કરાઇ હતી. તા. ૧૭-૦૯-૨૦૧૮ને સોમવાર સવારે ૯-૧૫ વાગે હવન ચાલુ થશે અને બપોરે ૧૨-૩૯ વાગે શ્રીફળ હોમાશે. શ્રી રામદેવપીર ભગવાનના નેજા તા. ૧૮-૦૯-૨૦૧૮ મંગળવારે ભાદરવા સુદ-૯ને સવારે ૧૦-૧૫ કલાકે ચઢશે અને કુંભ ઉથાપન તારીખ ૨૦-૦૯-૨૦૧૮ ગુરૂવારે ૧૦-૩૫ કલાકે થશે. નવરાત્રિ મહોત્સવ દરમ્યાન હોમ-હવન, સંતવાણી, ડાયરો સહિતના અનેકિવધ ધાર્મિક કાર્યક્રમો અને ઉજવણી ચાલશે, જેમાં શહેર સહિત રાજયભરમાંથી હજારો શ્રદ્ધાળુ ભકતો ઉમટશે, જેને લઇ ભારે ભકિતનો માહોલ છવાશે.

(7:27 pm IST)